આપણો રાષ્ટ્રધ્વજ ભારત દેશની આઝાદીનું પ્રતીક છે.તિરંગો લહેરાવવો એ આપણા સૌ માટે ગૌરવની વાત છે. આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે આપણે બધા 13મી ઓગસ્ટ થી 15મી ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગા લહેરાવીશું.ચાલો ,આપને તિરંગાની વાત કહું-
*1904* -*1906* ના સમયગાળામાં સ્વામી વિવેકાનંદના આયરિશ શિષ્યા સિસ્ટર નિવેદિતાએ એક ધ્વજ નિર્માણ કર્યો હતો- જેમાં પીળો અને લાલ રંગ હતા. વળી બંગાળી ભાષામાં ‘વંદેમાતરમ્ ‘લખવામાં આવ્યું હતું. તેના ઉપર ઈન્દ્રનું વ્રજ-શસ્ત્ર અને કમળનું ફૂલ અંકિત કરવામાં આવ્યાં હતાં.
*1906* માં ફરી નવો ધ્વજ બનાવવામાં આવ્યો. તેમાં ઉપર વાદળી,પછી પીળો અને નીચે લાલ-એમ ત્રણ રંગો હતા. વાદળી પટ્ટામાં આઠ તારા,લાલ પટ્ટામાં એક બાજુ સૂર્ય અને અડધો ચંદ્ર તથા બીજી બાજુ એક તારો હતો. પીળા પટ્ટામાં દેવનાગરી લિપિમાં વંદેમાતરમ્ લખવામાં આવ્યું હતું. આ વર્ષમાં સચિન્દ્રપ્રસાદ બોઝ અને સુકુમાર મિત્રાએ ધ્વજના રંગોમાં ફેરફાર કરી કેસરી, પીળો અને લીલા રંગનો ધ્વજ બનાવ્યો.ઉપરના લીલા રંગમાં આઠ કમળ હતા.સુરેન્દ્રનાથ બેનરજીએ આ ધ્વજ બ્રિટિશ સરકારના બંગભંગના વિરોધમાં સાતમી ઓગસ્ટ 1906ના રોજ કલકત્તામાં ફરકાવ્યો હતો.
*1907* માં જર્મનીમાં વિશ્વના સમાજવાદીઓની પરિષદમાં શ્રીમતી ભીખાજી રુસ્તમજી કામાએ ધ્વજ બનાવીને 22મી ઓગસ્ટના રોજ ફરકાવ્યો હતો. જેમાં કેસરી અને લીલા રંગના પટ્ટા વચ્ચે સફેદ પટ્ટામાં વંદેમાતરમ્ લખ્યું હતું. કેસરી પટ્ટામાં આઠ કમળ અને લીલા પટ્ટામાં સૂર્ય ચંદ્રના નિશાન મૂક્યા હતા. આ ધ્વજ નિર્માણમાં એમણે શ્યામજી વર્મા અને વિનાયક દામોદર સાવરકરની મદદ લીધી હતી.
*1916* માં પીંગલી વકૈંયાએ મહાત્મા ગાંધીજીને મળીને અને તેમનો અભિપ્રાય લઈને લાલ અને લીલા રંગના ધ્વજમાં ચરખો મૂક્યો હતો. પરંતુ ગાંધીજીએ એ ધ્વજ મંજૂર કર્યો ન હતો.
*1917* માં બાળ ગંગાધર તિલકે ધ્વજની ડિઝાઇનમાં યુરોપિયન ધ્વજની ડિઝાઇનની સાથે લાલ લીલા રંગના નવ પટ્ટામાં સપ્તર્ષિ તારા અને અર્ધચંદ્ર સમાવ્યા હતા.
*1921*: મહાત્મા ગાંધીજીએ દેશમાં એકતા ઉભી થાય એવા આશયથી ઉપર સફેદ,વચ્ચે લીલો અને નીચે લાલ રંગ પસંદ કરી તેમાં ચરખો મુકાવ્યો. ખાદીમાં બનાવેલો ચરખાવાળો પ્રથમ ધ્વજ ગાંધીજીએ અમદાવાદમાં ભરાયેલા કોંગ્રેસ અધિવેશનમાં 27મી ડિસેમ્બરના રોજ લહેરાવ્યો હતો.
*1931* માં પીંગલીએ નવો ધ્વજ બનાવ્યો. ઉપર કેસરી અને નીચે લીલા રંગના પટ્ટા વચ્ચેના સફેદ રંગમાં ચરખો મૂક્યો. કોંગ્રેસ પક્ષે આ ધ્વજ પસંદ કર્યો અને તે કોંગ્રેસનો સત્તાવાર ધ્વજ બની ગયો હતો.
*1947* માં દેશ આઝાદ થતાં ધ્વજ સમિતિએ પિંગલીના ધ્વજમાં સફેદ રંગમાં ચરખાને બદલે મધ્યમાં અશોકચક્ર મુકવાનું સ્વીકાર્યું . તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નેહરુએ 15 મી ઓગસ્ટ 1947ના રોજ આ તિરંગો લહેરાવ્યો હતો.
છેલ્લા બાર વર્ષથી આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી લાલકિલ્લા ઉપરથી તિરંગો લહેરાવી રહ્યા છે. ચાલો,આપણે સૌ હર ઘર તિરંગા લહેરાવીએ.
આઝાદીની લડતમાં અમદાવાદ શહેરે મહાયોગદાન આપ્યું હતું. *13મી* *ઓગસ્ટ* ના રોજ સાંજે *5:30* વાગ્યે પ્રકાશ હાઇસ્કૂલ હોલમાં ‘આઝાદીની લડતમાં અમદાવાદનું પ્રદાન’વિશે હું વ્યાખ્યાન આપવાનો છું. આપને આમંત્રણ છે.
હર ઘર તિરંગા -જયહિન્દ.