યુદ્ધમાં તમે કેટલીવાર ભોંયભેગા થયા એ અગત્યનું નથી ,પણ કેટલી ઝડપથી ઊભાં થઇ ગયા એ મહત્વનું છે .
મારી સમજ્ણશક્તિનો આશ્રય લઈ ને લખું છું …જે સમસ્ત બ્રહ્માંડને પોતાની તરફ આકર્ષે છે તે છે કૃષ્ણ .કૃષ એટલે કોઈને પોતાના તરફ ખેંચવું .વિવિધરંગી વ્યક્તિત્વનો સમૂહ એટલે કૃષ્ણ .જેના નામ માત્રમાં ખેંચાણ છે …એવા શ્રી કૃષ્ણ પૃથ્વી પર માનવજાતિનું કલ્યાણ કરવાં અવતર્યા .એમનું જીવન જ એક એવી યાત્રા છે કે જેને સમજવા દરેક વિચાર ટૂંકો પડે .ચમત્કારોથી મઢેલું એમનું જીવન આપણને દરેક પગલે સંતોષકારક સમાધાન જરૂર આપે
છે .જીવનના દરેક રંગમાં કેવી રીતે તરબોળ બનીને પણ સ્થિતપ્રજ્ઞ રહેવું એ સમજાવવામાં શ્રી કૃષ્ણ સફળ રહ્યાં એવું જરૂર લાગે છે .એક સામાન્ય વ્યક્તિએ માટે શરૂઆતમાં એમને સમજવા અઘરા તો છે જ ,પણ અશક્ય નથી .
આ એક અવિસ્મરણીય ઇતિહાસ છે ,કે જેની પૂજા અને સ્તુતિ દુનિયાના ખૂણે ખૂણે વર્ષો થી થયા કરે છે ,આવું ત્યારેજ શક્ય બને જયારે સામે કરિશ્માઈ વ્યક્તિત્વ હોય .શ્રી કૃષ્ણ નું સંપૂર્ણ જીવન યોગમય છે જે માનવજાતિને એક અનોખુ દ્રષ્ટાંત પૂરું પાડે છે .એમના નિર્ણયો અને પ્રતિભાવો અનુકરણીય છે .તેમના વિચારો હીરાના દરેક પાસાની જેમ દરેક પરિસ્થિતિમાં અલગ ચમક દર્શાવે છે .એજ એમની લાક્ષણિકતા છે .
શ્રી કૃષ્ણનો પવિત્ર અને અપેક્ષારહિત પ્રેમ ,દુષ્ટતાનું દમન ,ગુરુસેવા ,ભારોભાર વિવેક ,ગૌભક્તિ અને શરણે આવેલાની રક્ષા ….આવા કેટલાંય ગુણો ને લીધે શ્રી કૃષ્ણ કહેવાયા …
પૂર્ણ પુરષોતમ .
શ્રી કૃષ્ણ એ “ગીતા “ના રૂપમાં
માનવજાતિને એક એવો વારસો આપ્યો છે જેની સરખામણી કોઈ હીરા- માણેક સાથે પણ ના કરી શકાય એવી એ અમૂલ્ય ધરોહર છે .ભારતીય સંસ્કૃતિ અને સાહિત્ય માં “ગીતા ” નામના અતિ પવિત્ર પુસ્તક નું સ્થાન અજોડ છે અને રહેશે ,તેથી જ તે દુનિયામાં સૌથી મહત્વ નું અને કિંમતી પુસ્તક બનીને ઉભર્યું છે .
શ્રી કૃષ્ણ એ કોઈ કાલ્પનિક પાત્ર નથી તે વાસ્તવિક વ્યક્તિત્વ છે .અનોખા દેવત્વના સ્વામી વાસુદેવ અને દેવકીના પુત્ર થઈને અવતર્યા ગોપીઓ અને રાધાના પ્રેમમાં તરબોળ બન્યા , આવા શ્રી કૃષ્ણ દરેક માનવીય સંબંધમાં ખરા ઉતર્યા એ માનવું પડે .
પહેલાંના સમયમાં ધર્મ ને અનુસરતા નિર્લેપ ભાવ ,અલિપ્ત ભાવ અને વૈરાગ્યની જ વાતો થતી ….પણ શ્રી કૃષ્ણ ના અવતરણ પછી ધર્મ ને અનુસરતા માનવ પોતાના જીવનને કેવી રીતે ખુશી સાથે આનંદમય જીવન વિતાવી શકે એનો સચોટ તાદ્શ્ય વિવરણ પ્રભુએ હરેક વ્યક્તિને બતાવ્યું .જીવનમાં ત્યજવા કરતાં અપનાવવું કઈ રીતે યોગ્ય છે એ બતાવ્યું.
જીવનના દરેક તબક્કાઓ માં દિલની સાથે સાથે દિમાગથી પણ વિચારી આગળ વધવું એવું જરૂર શીખવ્યું . કોઈ પણ પરિસ્થિતિ આવે તો પ્રેક્ટિકલી શું ઉકેલ લાવી શકાય એમની એ કુનેહ નીતિ સૌને વિચારતા કરી મૂકે છે .જયારે જીવનમાં વિપરીત પરિસ્થિતિ આવે ત્યારે કેટલું નુકશાન થયું એ ન વિચારતા હવે કેટલું બચાવી શકીશું ….એ પગલું ઘણું બધું કહી જાય છે .જે જતું રહ્યું છે એનો શોક ન કરતા આવનાર સમય માં મજબુતીથી આગળ વધો …પ્રભુનો એ વિચાર હરેક મનુષ્યને જીવન જીવવા માટે નું એક અનોખું પ્રેરકબળ આપે છે .હરેક સુખ અને દુઃખ માં સામાન્ય જીવન જીવો એજ એમનો સાચો ઉપદેશ છે .
રણભૂમિમાં એમના મુખમાંથી સરેલી “ગીતા “કર્મ ના સિધ્ધાંતનો સંદેશો આપે છે .શ્રી કૃષ્ણનું સંપૂર્ણ જીવન વ્યક્તિએ સારા કર્મ કરવા અને સત્યને પડખે રહેવું એ સીખ આપે છે .એમના વિચારોનો અર્થ માનવજાતિના આચાર – વિચાર ના ધરોહર છે .મહાભારત નામના મહાનગ્રંથ માં એક “ગેઇમ ચેન્જર ” ની ભૂમિકા માં એ ઝળહળી ગયા .રણભૂમિમાં એમના વિરાટ રૂપના દર્શન કરી સૌ ધન્ય થઇ ગયા …કેટલાંય વ્યક્તિત્વ નો અનોખો સંગમ એટલે ભગવાન શ્રી કૃષ્ણ .
મનુષ્યે પોતાના જીવનમાં સારા અને સાચા કર્મ કરવા અને ફળની ચિંતા પ્રભુ પર છોડી દેવી …..એજ આ લેખનો સાર છે .પૂર્ણ પુરષોતમ શ્રી કૃષ્ણ નું યોગમય જીવન માનવજાતિ ને આપેલો અમૂલ્ય વારસો છે ,જેને આપણે સૌએ સાચવવો રહ્યો .
-બીના પટેલ