“સ્વજન” અંગેની સાંસારિક સમજણ આધ્યાત્મિક કે શાસ્ત્રોની સમજણથી બીલકુલ ભિન્ન છે. સામાન્ય રીતે આપણે આપણા પોતાના લોકો, સગા-સંબંધીઓ કે જેની સાથે આપણાં લોહીના સંબંધ હોય તેને “સ્વજન” તરીકે ઓળખીએ છીએ અથવા આપણા દૈનિક જીવન કે દિનચર્યામાં ઉપયોગી અથવા સહાયક લોકોને પોતાના સમજીએ છીએ અને સ્વજન તરીકે સ્વીકારીએ છીએ. ઘણીવાર અતિ અંગત કે લોહીના સંબંધો ધરાવતા અત્યંત નજીકના સગાસંબંધીઓ પણ જો આપણને તકલીફ કે મુશ્કેલીના સમયે ઉપયોગી ન નીવડે, ઇચ્છિત મદદ ન કરે કે સહાયક ન બને તો તેઓ સ્વજન હોવા છતાં આપણને પોતાના લાગતા નથી.
શબ્દને આધારે જોઈએ તો “સ્વજન” શબ્દમાં બે શબ્દોનું અસ્તિત્વ છે કે જોડાણ છે, જેમાં “સ્વ” એટલે “પોતાના” અને “જન” એટલે માણસ કે વ્યક્તિ. આમ સામાન્ય કે સાંસારિક સમજણ અનુસાર પોતાના વ્યક્તિ એટલે સ્વજન. જેની સાથે અંગત સંબંધ હોય તેને સ્વજન કહેવાય. એ સંબંધ લોહીનો સંબંધ પણ હોઈ શકે, પ્રેમનો સંબંધ પણ હોઈ શકે, સહાયક માર્ગદર્શક મદદગાર કે ઉપકારીનો સંબંધ પણ હોઈ શકે. પરંતુ શાસ્ત્રોની દૃષ્ટિએ અથવા આધ્યાત્મિક દ્રષ્ટિએ આવા અંગત સગાસંબંધી કે જેની સાથે લોહીના કે સ્વાર્થના સંબંધ હોય તેવા લોકોને “સ્વજન” ગણવામાં આવતા નથી. પરંતુ “જે ભગવાનનો ભાવ આપણામાં જગાડે અથવા આપણાંમાં રહેલો ભગવદ્ ભાવને વધારે તેને સાચો સ્વજન ગણવામાં આવે છે”. શ્રીમદ ભાગવત પુરાણમાં સ્વજનની વિગતે વ્યાખ્યા અપાયેલ છે જે અનુસાર ઇશ્વર સાક્ષાત્કાર કરવામાં જે સહાયક બને તેને સ્વજન તરીકે ઓળખવામાં આવે છે.
હવે પ્રશ્ન થાય કે ભગવદ ભાવ કે ભગવાન પ્રતિ ભાવ આપણામાં જગાડવો કે વધારવો એટલે શું અથવા ઇશ્વર સાક્ષાત્કારમાં સહાયક થવું એટલે શું? વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોઈએ તો ઇશ્વર એટલે પરમચેતના કે અસ્તિત્વ. પરમચેતના કે દિવ્યઉર્જાનો અંશ પહેલેથી જ આપણામાં છે. ઉર્જા એટલે બીજું કાંઇ નહીં પરંતુ શક્તિ જે શક્તિ શારીરિક માનસિક અને આત્મિક હોઈ શકે. એવી વ્યક્તિ કે જે આપણામાં શારીરિક માનસિક અને આધ્યાત્મિક શક્તિનો સંચાર કરે તેને સ્વજન કહેવાય. આધ્યાત્મિક દ્રષ્ટિએ ઈશ્વરનો સાક્ષાત્કાર એટલે આત્મા પરમાત્મા કે સમગ્ર પ્રકૃતિના (અસ્તિત્વના) વાસ્તવિક સ્વરૂપને સમજવું જે સામાન્ય રીતે યોગ-ધ્યાન-ભક્તિ જેવા સાધનો દ્વારા શક્ય બને. આપણી પોતાની જાતમાં અર્થાત સ્વમાં એ દિવ્યશક્તિ, પરમઉર્જા કે અસ્તિત્વનો અનુભવ કરવો (કેમ કે આત્મા પરમાત્માનો અંશ છે) એટલે ઈશ્વર સાક્ષાત્કાર અને આવા સાક્ષાત્કાર કરવામાં જે સહાયક બને તેને સ્વજન કહેવાય.
હવે વિચારો વાસ્તવમાં કહેવાતા પ્રેમના સગા કે લોહીના સગાસંબંધી આમાંનું કશું કરવામાં ઉપયોગી ખરા? જો જવાબ “હા” માં હોય તો એનો અર્થ છે કે તમે અતિ નશીબદાર છો કે તમને સાચા સ્વજન મળ્યા છે પરંતુ જો જવાબ “ના” હોય તો એનો અર્થ એ છે કે આપણે જેને સ્વજન સમજીએ છે તે વાસ્તવમાં સ્વજન નથી. એ તો સર્વવિદિત છે કે કહેવાતા સગાસંબંધીઓ કે સ્વજનો તો વાસ્તવમાં આપણાં જીવનમાં શક્તિસંચાર કરવાને બદલે સામાન્ય રીતે અતિશય પીડા કે તણાવ પેદા કરી શક્તિ હણી લેતા હોય છે. પછી ભલે તે સંબંધ પતિ-પત્નીનો હોય, માતા-પિતા અને સંતાનોનો હોય, અન્ય સગાસંબંધી સાથેનો હોય કે ભાઈ-બહેનનો હોય. લગભગ દરેક સંબંધો જીવનમાં અનેક વેદના અને સમસ્યાઓ માટે કારણભૂત બનતા હોય છે. એટલે જ કદાચ સંબંધવિચ્છેદ આજના યુગમાં સામાન્ય બનીરહ્યું છે. મનુષ્ય શક્તિસંચાર કે શક્તિસંચયના ઉમદા હેતુસર જ સંબંધોમાં જોડાતો હોય છે અને સ્વજનોને જીવનમાં ઇચ્છતો હોય છે. પરંતુ પૂર્વનિર્ધારિત હેતુમાં સફળતા ન મળતા તે નિરાશ થાય છે અને સંબંધવિચ્છેદ તરફ અગ્રેસર બને છે.
વળી ઇશ્વર સાક્ષાત્કાર અથવા ભગવદ્ ભાવની જાગૃતિ માટે જો સંન્યાસ કે દીક્ષા લેવા જેવી ઈચ્છા કે ભાવના સંદર્ભે શું કહેવાતા સ્વજનો કે સંબંધીઓ સહાયક ખરા, એ પણ એક પ્રશ્ન તો છે. એવા અનેક માતા પિતાને હું ઓળખું છું કે જેમના આધ્યાત્મિક ભાવનાયુક્ત સંતાનો સંન્યાસ લેવા કે દીક્ષા લેવાની વિનંતી કે ઇચ્છા વ્યક્ત કરે તો માતા-પિતા તેમને મદદરૂપ થવાને બદલે બાધક બનતા હોય છે. કેમ કે તેમણે સંતાનો પાસેથી જે અનેક વિભિન્ન પ્રકારની અપેક્ષાઓ રાખી છે જેવી કે ઘડપણમાં સંતાનો સહાયક થશે, મદદ કરશે, સેવા કરશે વગેરે તૂટવાનો ભય વડીલોને સતાવે છે, અનેક સ્વપ્ન કે જે તેવોએ સંતાન થકી જોયા છે તે અસંભવ બનતા જણાય છે અને તેઓ સંતાનને દીક્ષાને મંજૂરી આપતા નથી. ભાગવત પુરાણની સ્વજનની વ્યાખ્યાના સંદર્ભમાં આવા માતા-પિતા બાળકના હિતેચ્છુ નહીં પરંતુ સંતાનોની પ્રગતિમાં બાધારૂપ ગણી શકાય.
મૃત્યુ સમયે પણ જે સ્વજનો યથાર્થ જ્ઞાનને સહારે મૃતકની શાંતિ અને કલ્યાણ ઈચ્છે તે જ તેના સાચા સ્વજન ગણાય. અજ્ઞાનવશ જે સગાસંબંધીઓ આક્રંદ રડારોળ કે શોક કરે તેને સ્વજન ગણી શકાય નહીં કારણ કે આવી ક્રિયા મૃતકની સદગતિમાં બાધક બને છે એવું શાસ્ત્રોનું વિધાન છે. સાચું પૂછો તો આક્રાંદ, શોક કે રોકકળ પાછળ પણ મૃતકના જવાથી પોતાની જિંદગીમાં જે મુશ્કેલીઓ પડશે એટલે કે જે વ્યક્તિ જતો રહ્યો તેના અભાવે હયાત સભ્યોને જીવનમાં જે વિટંબણા કે મુશ્કેલીઓ સહન કરવાની આવશે તેની કલ્પના માત્ર જવાબદાર હોય છે. વાસ્તવમાં મૃતકની પાછળ ખૂબ ધીરજથી અને શાંતિથી ચિરાયેલા હૃદયમાંથી નીકળતી પ્રાર્થના આત્માની શાંતિ માટે ઉપકારક છે અને એ જ સાચી સેવા છે. આવી સેવા કરનાર જ સાચા સ્વજનો ગણાય.
થોડી જુદી રીતે કહીએ તો મનુષ્યની “જીવદશા” બદલવામાં જે સહાયક છે તે સાચો સ્વજન છે. ઈચ્છા અને અહંકારવાળી દશાને જીવદશા કહેવામાં આવે છે. જીવદશા પરિવર્તનમાં જે સહાયક છે તે સ્વજન છે. જીવદશા એટલે વાસના. ઈચ્છા અને અહંકારને વશ થઈ જીવવાની દશા એટલે જીવદશા. આપણા સૌનો અનુભવ હશે જ કે આજીવન આપણે ઈચ્છાના ગુલામ બનીને જીવીએ છીએ અને અજ્ઞાનયુક્ત અહંકારમાં જ વ્યસ્ત રહીએ છીએ. વાસના કે ઈચ્છા હોય ત્યાં અહંકારનું હોવું સ્વાભાવિક છે. અહંકારથી મુક્ત થવા ઈચ્છા કે વાસનાથી મુક્ત થવું જ પડે. ઈચ્છા જીવનમાંથી ગઈ એટલે સમજો અહંકાર પણ જવાનો કેમકે ઈચ્છા અને અહંકારનું અસ્તિત્વ સાપેક્ષ છે. એક હોય તો બીજો પણ અવશ્ય હોવાનો અને એક જાય તો બીજો આપોઆપ ખતમ થઈ જવાનો. ઈચ્છા અને અહંકારવાળી દશા એ જ જીવદશા. જેમાંથી મુક્ત થવામાં જે સંબંધી ઉપકારક છે તે સાચા સ્વજન કહેવાય. ઈચ્છા અને અહંકારની પકડમાંથી મુક્ત થતાં જ સામાન્ય જીવ પણ શિવ બની જાય છે એટલે કે પોતાની વાસ્તવિક શક્તિ સામર્થ્ય ઉર્જા અને પરમચેતનાને પામી લે છે. આવી ઉર્જાશક્તિ પ્રાપ્ત કરવામાં જે સહાયક નીવડે છે, મદદગાર બને છે, માર્ગદર્શક બને છે તે તમામ મનુષ્ય આપણા સાચા સ્વજન છે. જો કોઈને જીવનમાં એકપણ સાચો સ્વજન મળી જાય તો તેની જીવનયાત્રા અવશ્ય સફળ થાય છે. તો આવો દરેકના સાચા સ્વજન બનીએ, સાચા સ્વજનને ઓળખીએ અને સાચા સ્વજન મેળવવા કટિબદ્ધ બનીએ.