*કુમકુમ મંદિર ખાતે સંત સંમેલન યોજાયું.*
*સંતોને સાથે અને ભગવાનને માથે રાખવા જોઈએ.” – પ્રેમવત્સલદાસજી સ્વામી*

શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણિનગર દ્વારા સાંજે ૬ – ૦૦ થી ૮ – ૦૦ સંત સંમેલન યોજાયું હતું.જેની અંદર વિવિધ સંસ્થાના સંતો પધાર્યા હતા અને સૌ સંતોએ તેમની અમૃતવાણીનો લાભ આપ્યો હતો.
આ પ્રસંગે શાસ્ત્રી શ્રી હરિકૃષ્ણસ્વરૂપદાસજી સ્વામી, શાસ્ત્રી શ્રી સત્યસંકલ્પદાસજી સ્વામી આદિ સંતોએ તેમની વાણીનો લાભ આપ્યો હતો. આ પ્રસંગે શ્રી પ્રેમવત્સલદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે, માનવીઓને જીવનનો સાચો પથ બતાવવો એ સંતોનું મુખ્ય કાર્ય છે. તેથી જ સંતોને માનવ જીવનના પથદર્શક કહેવાય છે. નેતા શહેરનો ચહેરો તો બદલી શકે છે. પરંતુ સંતો તો વ્યક્તિનો ચહેરો અને ચારિત્ર્ય બદલવાનું કાર્ય કરે છે. કાનૂન અને દંડના ભયથી સમાજને યથાર્થ રીતે નથી સુધારી શકાતો. સમાજને સુધારવાનું કાર્ય સંતો કરે છે. તેથી સંસ્કારોનું જતન થાય,તમારા સંતાનોમાં સુસંસ્કારો આવે તે માટે સાચા સંતોનો સમાગમ અવશ્ય કરવો જોઈએ.
તેથી જીવનમાં સંતોની સાથે રાખવા જોઈએ અને ભગવાનને માથે રાખવા જોઈએ. ભગવાનને માથે રાખીએ તો કોઈ ખરાબ કાર્ય ના કરી શકાય. ભગવાનનો ડર આપણને રહે તો પાપ થઈ જ ના શકે અને ભગવાનના હાથ માથે હોય તો,તેમના આશીર્વાદ સાથે હોય તો સદાય સુખ સુખ ને સુખ રહે.
– સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ