આદર્શ આચારસંહિતાના અમલીકરણ અંગેની
નર્મદા જિલ્લા સેવાસદનમાં યોજાયેલી તાલીમ
ચૂંટણી આચારસંહિતાના સમય દરમિયાન સ્ટાફ મેનેજમેન્ટ, કાયદો-વ્યવસ્થા તેમજ ડેમોસ્ટ્રેશન પર માર્ગદર્શન
રાજપીપલા,તા24
આગામી ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૨ને અનુલક્ષીને નર્મદા જિલ્લા ચૂંટણી અધિકારી શ્વેતા તેવતિયાના માર્ગદર્શન હેઠળ આદર્શ આચારસંહિતા અમલીકરણ ( MCC ) ના જિલ્લા નોડલ ઓફીસર અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે.કે.જાદવની અધ્યક્ષતા અને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી જિજ્ઞાબેન દલાલની ઉપસ્થિતિમાં જિલ્લા સેવાસદનના સભાખંડમાં તા. ૨૧ મી ઓકટોબર, ૨૦૨૨ ને શુક્રવારના રોજ તાલીમ અને સમીક્ષા બેઠક યોજાઇ હતી. લોકશાહીના આ મહાપર્વમાં લોકોને મતદાન માટે જાગૃત કરવાની સરાહનીય કામગીરી જિલ્લામાં વિવિધ સ્તરે થઈ છે, પરંતુ તે ઉપરાંત ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન કરવા તેમજ સંબંધિત અધિકારીઓને ચૂંટણી દરમિયાન હાથ ધરવાની કામગીરી અંગે આદર્શ આચારસંહિતાના અમલીકરણ માટે રચાયેલી ( MCC )ના જિલ્લા નોડલ ઓફીસરજે.કે.જાદવે મતદાન જાગૃતિ, સ્ટાફ મેનેજમેન્ટ, કાયદો-વ્યવસ્થા તેમજ ડેમોસ્ટ્રેશન પર માર્ગદર્શન આપી તૈયારીઓની સમીક્ષા જરૂરી કરી હતી. વધુમાં તમામ નોડલ ઓફીસરઓને તેમના કાર્યક્ષેત્ર અંતર્ગત આવતી કામગીરીનું સંચાલન આગોતરા આયોજન, આચારસંહિતાને લગતી તમામ સુચનાઓ-આદેશો ધ્યાને લઇને ચુસ્તપણે તેનો અમલ સુનિશ્ચિત થાય તે માટે પાવરપોઇન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી તાલીમ આપી હતી. નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી જિજ્ઞાબેન દલાલે પણ તાલીમમાં ઉપસ્થિત તમામ અધિકારી-કર્મચારીઓ દ્વારા આદર્શ આચાર સંહિતાનો ચુસ્તપણે અમલ થાય તે માટે કેટલાક રચનાત્મક સૂચનો સાથે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ તાલીમમાં મામલતદાર- ચુંટણી શાખા, જિલ્લાના પાંચ તાલુકાના નોડલ ઓફીસસરો,રાજપીપળા શહેરી વિસ્તારના નોડલ ઓફિસર સહિત ચૂંટણી કામગીરી સાથે સંકળાયેલા અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
તસવીર :દીપક જગતાપ, રાજપીપલા