ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સ ધ્વારા આજરોજ ૨૩મી માર્ચ ‘શહીદ દિન’ નિમીત્તે શ્રધ્ધાંજલી આપવાનો કાર્યક્રમ યોજાયો હતો. સ્વાતંત્ર્ય સેનાની ભગતસિંહ, સુખદેવ તથા રાજગુરૂને એક સાથે લાહોરની સેન્ટ્રલ જેલમાં ફાંસી આપવામાં આવી હતી. કોલેજના પ્રિન્સીપાલ સંજય વકીલે કહ્યું હતુ કે ખુબજ નાની ઉમરમાં દેશને આઝાદ કરવા માટેની તમન્ના તથા દેશદાઝ સાથે ફના થવાની તૈયારી તેઓએ રાખી હતી. સમગ્ર દેશમાં જયારે સ્વતંત્રતા ચળવળ ચરમસીમાએ હતી ત્યારે પોતાનું યોગદાન આપી તેઓએ શહીદી વ્હોરી હતી. ૧૯૧૯માં થયેલી જલીયાવાલા બાગ હત્યાકાંડ તથા સાયમન કમીશનનો રેલી ધ્વારા વિરોધ કરી રહેલા લાલ લજપત રાય ઉપર બેફામ લાઠીચાર્જ કરવાની ઘટના ભગતસિંહ ઉપર અસર કરી ગઈ હતી. ભારતને સ્વતંત્રતા અપાવવામાં સતત પ્રયત્નશીલ આવા ત્રણેય શહીદોને ભાવપૂર્વક શ્રધ્ધાંજલી આપી કોલેજના વિદ્યાર્થીઓએ મૌન રાખ્યુ હતુ. કોલેજના પ્રા.મહેશ સોનારાએ પ્રાસંગોચિત વક્તવ્ય આપ્યુ હતુ. આ શ્રધ્ધાંજલી કાર્યક્રમનું સંચાલન પ્રા.ચેતન મેવાડાએ કર્યું હતુ. કોલેજના વિદ્યાર્થીઓ હાજર રહી પોતાનો દેશપ્રેમ વ્યક્ત કર્યો હતો.