નાગપુરથી મુંબઈ જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં સવાર એક મહિલા મુસાફરને વીંછીએ ડંખ માર્યો હતો. 23 એપ્રિલે બનેલી ઘટનાની પુષ્ટિ કરતા એર ઈન્ડિયાએ શનિવારના રોજ જણાવ્યું હતું કે પેસેન્જરની સારવાર કરવામાં આવી હતી અને તે હવે ખતરાની બહાર છે. જ્યારે AI 630 એરક્રાફ્ટ ટેક ઓફ કરી રહ્યું હતું ત્યારે મહિલાને વીંછીએ ડંખ માર્યો હતો.
ક્રૂ મેમ્બરોએ મુંબઈ એરપોર્ટ પર એલર્ટ કર્યું અને મહિલાને વહેલી તકે હોસ્પિટલ લઈ જવામાં આવી. એરલાઈને શનિવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે પેસેન્જરને એરપોર્ટ પર ઉતર્યા બાદ ડોક્ટરે તેમની તપાસ કરી અને ત્યારબાદમાં હોસ્પિટલમાં સારવાર બાદ રજા આપવામાં આવી હતી. એર ઈન્ડિયાએ કહ્યું કે મહિલાને રજા ન મળી ત્યાં સુધી અધિકારીઓ તેની સાથે જ રહ્યા હતા. વિમાનની ટેકનિકલ ટીમે સંપૂર્ણ તપાસ કરી છે. આ માટે તેણે માફી પણ માંગી હતી.
એર ઈન્ડિયાએ શું કહ્યું?
એર ઈન્ડિયાએ કહ્યું કે 23 એપ્રિલ, 2023ના રોજ અમારી ફ્લાઈટ નંબર AI-630 પર એક પેસેન્જરને વીંછી કરડવાની અત્યંત દુર્લભ અને દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની હતી. એરલાઈન્સ અનુસાર, પછી પ્રોટોકોલનું પાલન કરવામાં આવ્યું અને વિમાનની સંપૂર્ણ તપાસ કર્યા બાદ વીંછી મળી આવ્યો. આ પછી જંતુ નિયંત્રણની યોગ્ય પ્રક્રિયા કરવામાં આવી હતી.
પહેલા પ્લેનમાં સાપ જોવા મળ્યો હતો
એર ઈન્ડિયાના એક અધિકારીએ જણાવ્યું કે આ ઘટનાને પગલે એર ઈન્ડિયાએ કેટરિંગ વિભાગને લોન્ડ્રી સર્વિસ પ્રોવાઈડર્સને કોઈ ઉપદ્રવ છે કે કેમ તેની તપાસ કરવા અને જો જરૂરી હોય તો તેને સાફ કરવા અને જંતુઓને નિયંત્રણમાં લેવા માટે સલાહ આપવા જણાવ્યું છે. આ પહેલા પણ એરક્રાફ્ટમાં સાપ મળી આવવાનો કિસ્સો સામે આવ્યો છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં દુબઈ એરપોર્ટ પર ઉતર્યા બાદ એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટમાં એક સાપ જોવા મળ્યો હતો.
Suresh vadher
9712193266