રંગ દે બસંતી.
*બ્રહ્મચર્ય યૌવનનું વ્રત છે ,એમ અહિંસા ની વાતો ત્યારે જ વધુ પ્રાસંગિક લાગે જ્યારે હિંસા કરવા ની ત્રેવડ હોય…!!*
(ભાગ-૧૪ )
રમેશ ગોસ્વામી “સારથિ”
નિર્ધન માણસ બધું ત્યાગવા ની વાતો કરે તો એનો કોઈ અર્થ નીકળે નહીં. મુફલિસ માણસ દાતારી ની પોકળ વાતો કરે તો કોણ નોંધ લે? અહિંસા ની વાતો કરવા માટે પણ હિંસા કરવા ની ત્રેવડ જોઈએ. દુબળો પાતળો માણસ, જે કોઈ ને ડારો પણ ન આપી શકે, એ અહિંસા ની જ વાતો કરી જાણે. હિંસા કરવા માટે પણ જોમ જોઈએ. ફન્ના થઈ જવા નું, ખપી જવા નું પણ એક મર્દ માંટી નું કામ છે. આપણે ઇતિહાસ માં કંઈ કેટલાય રણબંકાઓ જોયા, જે યુદ્ધ મેદાને માથાં પડ્યાં તોય ધડ લડયાં…અહિંસા ની વાતો દરેક વખતે લાગુ પડે નહીં. ચિક્કાર હિંસા નો જવાબ હિંસા થી જ આપી શકાય. અહિંસા થી યુદ્ધ થાય નહીં. અહિંસા થી દુશ્મન ડરે જ નહીં.એ દુશ્મન, જે તમારા ઘર માં બસો વર્ષ થી કબજો જમાવી ને બેઠા હતા, એવા નઠારા દુશ્મનો અહિંસા ની વાતો થી ડરતા હોય એવા કોમળ હ્રદય નાં હોત તો તમારા ઘર પર કબજો જ ન જમાવ્યો હોત. અહિંસા પુસ્તક અને પ્રવચનો માં રૂડી અને રૂપાળી લાગે.કોઈ એક ગાલ પર થપ્પડ મારે તો બીજો ગાલ શા માટે ધરવો? ગાંધીત્વ અથવા ગાંધીગીરી અહીં જ છતી થઇ જાય છે. કોઈ ગાંધીવાદી અહિંસા ની પોકળ વાતો કર્યા કરે, પણ પોતાનાં હિત ની વાત આવે એટલે ઉકળી ઉઠે. કોઈ થપ્પડ મારે અથવા મારવા ની વાત કરે તો ય ધુંવાં ફુંવા થઈ જાય. સૌ થી મોટી વાત એ કે કોઈ થપ્પડ શા માટે મારે? કંઈ પણ જાણ્યા વગર, દુશ્મન કોણ છે તે જાણ્યા વગર બીજો ગાલ ધરી દેવા નો..?? ઓકે. ચાલો, ધરી દીધો બીજો ગાલ. પણ બીજી અડબોથ પણ મારે તો? અને બસો વર્ષ થી અડબોથ શું, લાશો ના ઢગલા કરી નાખ્યા… તોય બીજો ગાલ ધરવાનો..? દુશ્મન નો પ્રતિકાર હિંસા થી જ થઈ શકે. ડાહ્યી ડાહ્યી વાતો ચોપડી નાં પાને સારી લાગે. રિયલ લાઈફ માં હિંસા નો જવાબ સૌ કોઈ પોત પોતાની શકિત મુજબ હિંસા થી જ આપતા હોય છે.
ઘણી બધી બાબત માં ગાંધી વિરૂદ્ધ ખુદ ગાંધી લાગે છે.યૌવન જ્યારે ઉફાળા મારતું હતું ત્યારે મરણ પથારી એ પડેલા પિતાની સેવા ચાકરી કરવા ને બદલે સ્ત્રી સંગ સેવ્યો. પોતાની પત્ની – કસ્તુરબા સાથે ઓરડા માં બંધ થઈ ગયા હતા. આ ઉંમર ની જરૂરિયાત હોય છે. યૌવન નું કામ જ આનંદ પ્રોમદ નો જુવાળ પેદા કરવા નું. એમાં ગાંધી શું, ઋષિ મુનિઓ પણ બાકાત નથી રહી શક્યા. ઉંમર થતાં બ્રહ્મચર્ય ની વાત, વ્રત કેટલું પ્રાસંગિક લાગે તે પણ સવાલ છે જ.
ગાંધી નો અનેક બાબત માં વિરોધાભાસ જોવા મળે છે. ઉંમર સાથે વિચાર વધુ પરિપકવ થાય. એગ્રી, પણ ઘણું બધું એવું પણ હોય છે જે અમુક ઉંમરે જ શોભે અને સોહે. જેમ બાળપણ માં બાલવાડી, પછી સ્કુલ, હાઇસ્કુલ, એમ જીવન નાં હર તબક્કા માં યથા ઉંમર કાર્ય, કર્મ, વર્તન, વાણી શોભતું હોય છે અથવા કરવા નું હોય છે એમ દરેક બાબત ની એક ચોક્કસ મર્યાદાઓ હોય છે.
પાછલી ઉંમરે બહ્મચર્ય પાળવું શારીરિક જરૂરિયાત પણ બની જાય છે. ભરપુર જવાની માં આ વ્રત પાળવું વધુ કઠિન અને મહાત્માઓ ને શોભે એવું કાર્ય – તપ હોય છે. અનેક સંતો, મહંતો,મહાત્માઓ સ્ત્રી સંગ થી આજીવન દૂર રહ્યા. બ્રહ્મચર્ય એ ભારતીય વૈદિક પરંપરા નો એક હિસ્સો છે, આ વ્રત પાળવા થી શરીર, મગજ, ઓજસ્વી બને છે. મહાત્માઓ એટલે જ મોટી ઉંમરે પણ તેજસ્વી હોય છે. સ્ત્રી સંગ ખોટો નથી જ, સંસાર પરંપરા પણ એટલી જ મહત્વની અને પવિત્ર છે. પણ ઘણાં કર્મ ઉચિત સમયે થાય તો જ એનું મહાત્મ્ય જળવાય. પણ મોહનદાસ ના કિસ્સા માં એમ કહી શકાય કે,જવાની માં જે ગાંધી કામુકતા ને વશ થઈને મરણ પથારી એ પડેલા પિતા ની સાર સંભાળ કરવા ની છોડી ને સ્ત્રી નો સંગ સેવવા દરવાજા ભીડી નાખ્યા હતા, એ જ ગાંધી ઉંમર થતાં બ્રહ્મચર્ય ની વાતો કરતા…!!
બ્રહ્મચર્ય અનિવાર્ય નથી જ. સૌ ની મુનસફી પર આધારિત છે. સ્ત્રી નો સંગ સેવવો પણ પવિત્ર બાબત છે, બલ્કે પુરુષ -ધર્મ છે. પણ બધું જ યોગ્ય સમયે વધુ યોગ્ય લાગે. જીવન માં યૌવન નો ભરપૂર આનંદ માણ્યા બાદ એક ઉંમરે આવી ને બ્રહ્મચર્ય ની વાતો કરવી, ઈવન, પાલન કરવું એ કોઈ મોટી વાત તો નથી જ. આ જ વાત ભરપુર યૌવન હિલોળા મારતું હોય ત્યારે જ સન્દેશાત્મક લાગે અને હોય. ભરપેટ થઈ ને ઉપવાસ નો સંદેશ આપવો, પ્રવચન આપવું આ એવું હતું. તો વધુ તીવ્રતા થી મેસેજ જાય. એક જગ્યા એ ગાંધી લખે છે કે કોઈ સ્ત્રી એ કહ્યું કે એનો દીકરો ગોળ બહુ ખાય છે ,તેને બીજે દિવસે આવવા નું કહ્યું. બીજે દિવસે ગાંધીજી એ ગોળ ન ખાવા નું સમજાવ્યું અને કહ્યું કે ગઈ કાલે હું ગોળ ખાતો હતો, આજે છોડી દીધો છે.( આ ટુચકા માં ગોળ શબ્દ સાંકેતિક લાગ્યો. આ એવો દૌર હતો, જ્યારે સ્વદેશી ગોળ ને બદલે વિદેશી ખાંડ ની એન્ટ્રી થઈ ગઈ હતી. આ તો અમસ્તું ! ).
ગાંધી નો દેખાવ પણ સામાન્ય હતો. પ્રભાવશાળી વ્યક્તિત્વ નહોતું. જ્યાં જાય ત્યાં છવાઈ જાય એવો રૂતબો પણ નહોતો.સ્પીચ ની ઢબ પણ અતિ એવરેજ હતી. અન્ય કેટલાય પ્રભાવશાળી નેતાઓ, ક્રાંતિકારીઓ હતા જ, જે ભાષણો માં મેદાન મારી જતા અને જીવન પણ રાષ્ટ્ર ને અર્પણ હતું.તેજાબી વક્તાઓ શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દેતા.સૌ સૌ નું સમૂહ હતું.આજ ની ભાષા માં કહીએ તો ફોલોવર્સ હતા. નેતાજી સુભાષચંદ્ર બોઝ સૌ થી વધુ ફોલોવર્સ ધરાવતા. એક અવાજ સાથે હજારો યુવાનો જાન ની પરવા કર્યા વગર કોઈ પણ પરિસ્થિતિ ને પહોંચી વળવા સક્ષમ હતા.વીર સાવરકર, શ્યામજી કૃષ્ણ વર્મા…સૌ થી વધુ પ્રબળ જુવાળ ઉઠ્યો હતો ભગત સિંહ બાબતે. આવું ઝનૂન કહો કે સમર્પણ,ગાંધી નાં ટોળા માં નહોતું. એક બાજુ હતા એવા મરજિવા જુવાનિયાઓ ,જે સામી છાતીએ ગોળીઓ ઝીલતા અને ઇન્કલાબ જિંદાબાદ નાં નારા થી વાતાવરણ ગુંજી ઉઠતું, બીજી તરફ હતું ગાંધી નું ટોળું, જે ધુનો, સ્તવનો ગાયા કરતું. પણ જ્યારે ગાંધી ની છાતી માં ગોળીઓ ધરબવા માં આવી ત્યારે કોઈ એક પણ ગાંધી નાં અનુયાયી આગળ નહોતા આવ્યા. ગાંધીની અસંખ્ય લોકો નાં ટોળા વચ્ચે સરેઆમ હત્યા કરવા માં આવી હતી. આ પણ સૂચક છે. છુપાઈ ને, કોઈ ન હોય ત્યારે મર્ડર નો ફૂલપ્રૂફ પ્લાન તૈયાર કરી ને હત્યા થઈ શકી હોત. એવા મોકા શોધી શકાયા હોત. તો ધરપકડ ના ડર થી બચી શકાયું હોત અને અંતે ફાંસી થી પણ ભાગી શકાયું હોત. પણ એને બદલે સૌ ની વચ્ચે પ્રાર્થના માં જતી વખતે સામી છાતીએ ઉભા રહી ને ગોળીઓ વછૂટી હતી. ત્યારે ગાંધીવાદીઓ નું ટોળું ચિચિયારીઓ પાડતું ભાગ્યું હતું. અહિંસા ને હિંસા થી શાંત કરી દેવાઈ હતી. કોઈ એક ની પણ ગોડસે તરફ જવા ની હિંમત નહોતી ચાલી. ત્રણ ગોળીઓ છૂટી અને ધડાકાઓ વચ્ચે લોકો મન ફાવે ત્યાં ભાગવા લાગ્યા હતા. ગાંધી ની હત્યા માં અન્ય કોઈ ને પણ નુકશાન ન થાય એની ખાસ કાળજી રાખવા માં આવી હતી. ગોડસે એ ગાંધીવાદીઓ ની જેમ ભાગવા ના પ્રયત્નો નહોતા કર્યાં. હથિયાર બદ્ધ પોલીસ પણ દશ કદમ દૂર હટી ગઈ હતી. ગોડસે એ બાદ માં કહ્યું હતું – ” કોઈ ની હિમંત નહોતી કે મારી નજીક પણ ફરકી શકે, પોલીસ ની પણ નહીં. મેં જ પોલીસ ને બૂમ પાડીને બોલાવ્યા અને ધરપકડ આપી.”
જેમ મદનલાલ પાહવા,૨૦ જાન્યુઆરી નાં બૉમ ફોડ્યો, એમાં ઝડપાઈ ગયેલા,ઉશ્કેરાયેલા ટોળાએ ધબેડી નાખેલ, એમ ગોડસે સાથે નહોતું બન્યું. ગોડસે નું રૌદ્ર રૂપ જોઈ ને સૌ આઘાપાછા થઈ ગયા હતા. સત્વનો, ભજનો, બધું ભુલી ને ટોળું, અહિંસક ટોળું સુરક્ષિત અંતર સાથે દૂર ખસતું ગયું હતું. આ હતા ગાંધી નાં ફોલોવર્સ. હવે જસ્ટ ઇમેજિન, આવો કોઈ બનાવ નેતાજી, ભગત, સાવરકર જેવાઓ સાથે બન્યો હોત તો? તો ઉપસ્થિત ટોળું બેકાબૂ બની ને જાન ની પરવા કર્યા વગર પ્રહાર કરનાર પર તૂટી પડ્યું હોત. હિંસા ને હિંસા થી જ ઠારી શકાય, શાંત કરી શકાય. વેર શમે અવેર થી, પણ દરેક કિસ્સા અલગ અલગ હોય છે. ગાંધી દરેક ને ન સમજાવી શકાય, પણ ગોડસે થી બધા ડરી જાય. આ રોકડું સત્ય સ્વીકારી લેવું જોઈએ. દરેક ગામ માં ભાભલાઓ ડાહ્યી ડમરી વાતો કરનારા મળી જ રહે,એમને ગણકારે કોણ? પણ કડિયાળી ડાંગ લઈ ને હાકોટા પડકારા કરતા લોકો થી આજે પણ અને આવતી કાલે પણ ડરવા માં આવશે.
માર ચૌદમું રતન છે એમ અમારા માસ્તર સાહેબ શ્રી પ્રવીણભાઈ શ્રીમાળી કહેતા. વાંચન ના જબરા શોખીન એટલે અમને વિદ્યાર્થીઓને પણ વાંચન તરફ પ્રેરતા. સાદાઈ,સદાચાર નું જીવન જીવતા. પણ જરૂર પડે સોટી પણ ઉપાડતા અને કહેતા – સોટી વાગે ચમચમ વિદ્યા આવે રૂમઝૂમ…!
આમ જરૂર પડે ત્યાં સોટી પણ ઉપાડવી પડતી હોય છે. દરેક વાતે, પોકળ વાતો થી દી વરે નહીં. સાપ થી લોકો ડરે છે, કેમકે એમાં ઝેર છે, પણ કાચબા થી લોકો ડરતા નથી. ડરાવવા માટે પણ, આત્મ રક્ષણ માટે પણ ફૂંફાડા મારવા જરૂરી બની જાય છે.
ગાંધી માં આવતાં ની સાથે છવાઈ જાય એવો ગુણ નહોતો. સાદાઈ થી જીવન જીવવું… આ જેમને કહેવા માં આવતું હતું એ ઓલરેડી પહેલે થી જ સાદાઈ માં જીવતા હતા, ગરીબી માં જીવતા હતા. ભભકા કરી શકે એવી મોટા ભાગના લોકો ની હેસિયત જ નહોતી. અને અહિંસા નાં પાઠ કોને ભણાવવા માં આવતા હતા? જે પહેલે થી અહિંસક જ હતા. એવું તો હતું નહીં કે હિંસક ટોળા ને અહિંસા નાં પાઠ ભણાવ્યા. ના. ગાંધી ને સાંભળવા આવતું ટોળું અહિંસક જ હતું. હિંસક લોકો ને હિંસા કરતાં અટકાવ્યા હોત તો વધુ પ્રાસંગિક લાગ્યું હોત. અને હિંસાત્મક તત્વો વાળાઓ ગાંધી ને ગાંઠતા નહોતા. ગાંધી ની બકરી, ગાંધી નો રેંટિયો, ગાંધી ની ખાદી, ગાંધી ના ત્રણ બંદર… આ બધાં પ્રતિકો ચોપડી નાં પાને રૂડાં લાગે. બકરી નું દૂધ સાત્વિક હોય તોય બકરી પર કોઈ પરિવાર નભે નહીં. ગાય નું દૂધ બકરી નાં દૂધ કરતાં હજાર ગણું વધારે સાત્વિક, તાકાતવર અને પવિત્ર હોય છે. ગાય પાળી ને અસંખ્ય પરિવારો નો નિભાવ થાય છે. પણ બકરી ને બદલે ગાય ને પ્રમોટ કરે તો ગાંધી નું સેક્યુલરિઝમ ખતરા માં પડી જાય. રેંટિયો કાંતતાં સૌ કોઈ ને આવડે નહીં. એના થી ઘર ચાલે એવું પણ નથી. એ પ્રતિક તરીકે સારો લાગે. ધંધા રોજગાર માટે રેંટિયો કાંતી ને નિર્વાહ થઈ શકે નહીં. અને બંદરો… આ પણ અજબ ગજબ હતું. શા માટે બૂરું ન જોવું? શા માટે બૂરું ન બોલવું ( દુશ્મનો માટે), શા માટે બૂરું ન સાંભળવું..?
વિકલાંગ બંદરો માં થી પ્રેરણા શા માટે લેવી? જે બોલી નથી શકતો તે જોઈ તો શકે, જોઈ શકતો નથી તે સાંભળી તો શકે, સાંભળી શકતો નથી તે બોલી તો શકે જ… જ્યાં ખોટું થઈ રહ્યું હોય એ સંદર્ભ માં આ ત્રણ વાંદરા ને મૂક્યા છે. દ્રષ્ટાંતો લેવાં જ હતાં તો અનેક હતાં. પણ, રામાયણ,મહાભારત કે ગીતાજી માં થી બહુ ઓછું પીરસાયું છે. વેદ,પુરાણ,ઉપનિષદ… “મહાત્મા ” તરીકે કહેવા નું યુગો પુરાણું ઘણું હતું. પણ ગાંધી આ સૌ થી પર ( ઉપર પણ વાંચી શકો છો ) હતા. હિંદુત્વ અથવા ભારતત્વ નાં પ્રચારક અથવા હિમાયતી બન્યા હોત તો કદાચ હત્યા જ ન થઈ હોત. એનો અર્થ એ પણ નથી કે તેઓ ભારત ની વિરૂદ્ધ હતા. પણ પાકિસ્તાન તરફી, મુસ્લિમ તરફી એમનો ઝુકાવ ખુબ વધ્યો હતો. હિંદુ હિત ની વાત કરવી એનો અર્થ એ નથી કે મુસ્લિમ નું અહિત કરવું. મુસ્લિમો ને જે જોઈતું હતું તે આપી દેવાયું હતું. ત્યાર બાદ પણ કોઈ પણ હિંદુ વાદી નેતાઓ ( સાવરકર જેવા કેટલાય લોકો હિંદુવાદી હતા. આજે જે વિરોધ પક્ષો વિરોધ કરી રહ્યા છે એનાં મૂળ માં હિન્દુત્વ વાદી ની છબી જ કારણભૂત છે.) ગાંધી ની માનસિક સ્વસ્થતા બાબતે એક કિસ્સો મળે છે કે તેઓ સૂતા હતા ત્યારે સાપ શરીર પર થી પસાર થઇ જાય છે. પણ માનસિક સ્થિરતા ની સાથે ડર પણ હતો. જ્યારે ભગત સિંહ જેવા રંગ દે બસંતી ચૌલા ગાતાં ગાતાં ફાંસી નાં ગાળિયા ને ચૂમી લઈ ને મોત ને વ્હાલું કર્યું હતું. આ કેમ ભૂલાય? ગોડસે પાસે દયા યાચિકા દાખલ કરવા નો ઓપ્શન હતો. પણ એ માણસ ને દયા જોઈતી નહોતી. ફાંસી આપવા ની હતી. મક્કમ પગલે ફાંસી ને માંચડે ચડી જાય છે. કોઈ કાકલૂદી નહીં. કોઈ પસ્તાવો નહીં. કોઈ ગ્લાનિ નહીં. શા માટે ગાંધી ની હત્યા કરી એ કોર્ટ માં વિસ્તાર થી કહ્યું હતું.( દરેક વ્યક્તિએ ગોડસે નું અંતિમ ભાષણ સાંભળી લેવું જોઈએ.) આ પણ માનસિક સ્થિરતા ની પરાકાષ્ઠા જ હતી. એક ઝૂઠ પીરસવા માં આવ્યું છે કે આઝાદી ગાંધી, નહેરુ, કોંગ્રેસે અપાવી. આ કાળું ઝૂઠ છે. રાજકિય આગેવાની જરૂર લીધી હતી, ક્રેડિટ લેવી જ હોય તો થોડી લઈ શકો, પણ અમેજ આઝાદી અપાવી એ છેતરવાની વાત છે.
ઘણાં નેતાઓ, જે
તૃષ્ટીકરણ કરતા આવ્યા છે.ત્યારે પણ અને આજે પણ.સતત,સતત અને સતત…
બધું એક હદ સુધી જ સારું લાગે :- સાદાઈ, સદાચાર, બ્રહ્મચર્ય,અહિંસા..એટસેટરા, એટસેટરા, એટસેટરા…!!!
*અવતરણ*
શું ગાંધી એટલા પ્રસ્તુત હતા, જેટલા પેશ કરવામાં આવ્યા હતા?
જવાબ સૌ સૌ ની મુનસફી પર આધારિત છે.