ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સના એન.એસ.એસ, એન.સી.સી, એચ. એ. ગાંધીઅન સોસાયટી તથા એચ.એ.સરદાર પટેલ વિચાર મંચ ધ્વારા ભારતની આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે “ભારતની આઝાદીના ૭૫ વર્ષના લેખાજોખા” વીશે વ્યાખ્યાન રાખવામાં આવ્યું હતુ. આ કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે કોલેજના પ્રિન્સીપાલ સંજય વકીલે કહ્યું હતુ કે આઝાદી પહેલા આપણા દેશમાં ટાંકણી પણ નહોતી બનતી આજે આપણે સાયન્સ અને ટેકનોલોજીમાં જબરદસ્ત હરણફાળ ભરી છે. ગાંધીજીના સ્વપ્નનું આત્મનિર્ભર ભારત થવા તરફનું પ્રયાણ કર્યું છે. દેશની યુવાશક્તીમાં ઉત્સાહ સાથે પ્રાણ ફંકાયો છે. હર ઘર તિરંગા અભિયાનને અસાધારણ સફળતા મળી રહી છે. સરદાર પટેલનું સ્વપ્ન હતુ કે એવા અખંડ ભારતનું નિર્માણ થાય જેમાં દેશના દરેક નાગરીકને સમાન અધિકાર સાથે બંધારણ મુજબ તમામ હક અને અધિકારો પ્રાપ્ત થાય તેવા ભારતનું નિર્માણ આપણે કરી શક્યા છીએ. પ્રિન્સીપાલ વકીલે ભારત દેશને આઝાદ કરવામાં જે શહીદો થયા છે તેમને શ્રધ્ધાંજલી આપી હતી. વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતા ભારત દેશને ડૉ.આંબેડકરે જે બંધારણ આપ્યુ છે જે સર્વશ્રેષ્ઠ ગણાય છે. ભારતના છેવાડાના નાગરીકને રોટી, કપડા અને મકાન મળવુ જોઈએ એવા ભારતનું નિર્માણ થવા જઈ રહ્યું છે જે આઝાદીના અમૃત મહોત્સવની કુલશ્રુતી કહી શકાય. આ કાર્યક્રમમાં કોલેજના અધ્યાપકો તથા વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં તિરંગાયાત્રામાં જોડાયા હતા. જેમાં તેઓએ વંદે માતરમ્, જયહિન્દ તથા ભારત માતાકી જયનો જય ઘોષ કર્યો હતો. આ મહોત્સવમાં વિદ્યાર્થીઓએ ભારત દેશ પ્રત્યેની વફાદારી તથા પ્રામાણિકતા સાથે દેશના બંધારણને નિષ્ઠાપૂર્વક આદર કરવાના શપથ લીધા હતા.