ગુજરાત લૉ સોસાયટી સંચાલિત એચ. એ. કોલેજ ઓફ કોમર્સ ધ્વારા “પાણી બચાવો અભિયાન” વિષય ઉપર વક્તવ્ય રાખવામાં આવ્યુ હતુ. અમદાવાદના જાણીતા પર્યાવરણવાદી તથા પાણીનો ઉપયોગ કેમ કરવો તથા પાણીને કેવી રીતે બચાવી શકાય તેની જાગૃતી ફેલાવવા ઘણા વર્ષોથી કામ કરતા મનીષ કેડીઆએ કહ્યું હતુ કે વરસાદનું પાણી આપણે બચાવવું પડશે તેના માટે વિવિધ ઉપાયો બતાવ્યા હતા. રોજબરોજના ઉપયોગમાં પાણીનો ઉપયોગ કરકસર કરીને વાપરવુ જોઈએ. કપડા ધોવાની રીત, સ્નાન કરવાની રીત, એસીમાંથી નીકળતા પાણીનો ઉપયોગ, ઘર વપરાશમાં પાણીનો ઉપયોગ કેવીરીતે કરવો તેનું સચોટ માર્ગદર્શન આપ્યુ હતુ. કોલેજના પ્રિન્સીપાલ સંજય વકીલે કહ્યું હતુ કે પાણીએ કુદરત તરફ મળેલી ભેટ છે. આપણે પાણી બનાવી શકતા નથી. આપણા દેશની વસતીને ધ્યાનમાં રાખીને ખુબજ કરકસર કરીને પાણીનો ઉપયોગ કરવો જોઈએ. વિશ્વમાં મીઠા પાણીનો જથ્થો ધીરે ધીરે ઓછો થતો જાય છે. જો આપણે પાણી બચાવીશું નહી તો કદાચ ત્રીજુ વિશ્વયુધ્ધ પાણી માટે પણ થઇ શકે છે. હવા, પાણી તથા ખોરાક માનવજાત માટે અનિવાર્ય છે. આજના યુવાનોમાં પાણીની ગંભીરતા સમજાવવી જોઈએ તથા તેનો અમલ થાય તેનું પણ ધ્યાન રાખવું જોઈએ. કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓએ હું પાણી બચાવીશ તેના શપથ લીધા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કોલેજના પ્રા.ચેતન મેવાડાએ કર્યું હતુ.