આચાર્ય રજનીશ પોતાના શિષ્યોને હમેશા બાઇ પાસે જઇને જ્ઞાન લેવાની સલાહ આપતા. નાથદ્વારા એટલે ભગવાન શ્રીનાથજીનું ધામ, આ જ સ્થળે આચાર્ય રજનીશ સહિત અનેક લોકોને જ્ઞાનનો પ્રકાશ આપતા બાઇનું કર્મસ્થળ. બાઇ એટલે શ્રી ભૂરીબાઇ ‘અલખ’…મહદઅંશે મૌન જ રહેવાનું અને બને એટલા ટૂંકાક્ષરી જવાબ આપે. આપણે ભૂરીબાઇ સાથે નવી આધ્યાત્મિક યાત્રા કરવી છે.
યોગાનુયોગ વડોદરાના જાણીતા નિષ્ણાત ડો ભેસાણિયા સાહેબ ઘણીવાર મારી સાથે ભૂરીબાઇની વાતો કરતાં, તેમના એક મિત્ર દ્વારા મને ભૂરીબાઇનું પુસ્તક મળ્યું. હવે જ્યારે નાથદ્વારા જાવ ત્યારે ભૂરીબાઇના અલખ આશ્રમની મુલાકાત લેજો.
રમણ મહર્ષિના વિચારોથી પ્રભાવિત બાઇને ખાસ ભજનો સંભળાવવા માટે પધારો મારો દેશ ને વિશ્વભરમાં લોકપ્રિય કરનારા અલ્લાહરખી બાઇ (આ પણ એક ઇન્ટરેસ્ટિંગ વ્યક્તિ છે, ભવિષ્યમાં એમની પણ વાતો કરીશું) ખાસ નાથદ્વારા આવતાં.
બાઇને કોઇએ પૂછ્યું કે સંસાર ક્યારે પેદા થયો? બાઇ : જે દિવસે તું પેદા થયો…
બાઇએ એક જ પુસ્તક લખ્યું છે, જેમાં સફેદ કવર પર ” રામ” લખીને અંદર ચાર છ પાના કાળા રંગે રંગી દીધાં… પુસ્તક પણ મૌન….રામ સિવાય બધો અંધકાર છે…

◆◆◆◆◆
ભૂરીબાઇ અલખ :
જન્મ : 1892 સરદારગઢ રાજસ્થાન
નિધન : 1979 નાથદ્વારા
ભૂરીબાઇ મૌન રહેવું પસંદ, કોઈ બહુ બોલે એ પસંદ નહીં. આખા ઘરમાં તેમણે ‘ચૂપ’ શબ્દ લખાવ્યો હતાં. મહાત્મા ભૂરીબાઇના વિચારો પર ડો લક્ષ્મી ઝાલાએ પુસ્તક લખ્યું અને પીએચડી કર્યું.
ભૂરીબાઇને સવાલો પૂછવામાં આવતા અને તેનો જવાબ પુસ્તક સ્વરૂપે છે. થોડી આ પ્રશ્નોત્તરીનો અભ્યાસ કરીએ.
પ્રશ્ન : ભૂત હોય છે?
જવાબ : મનનો વહેમ છે, બાળપણની વાતો યાદ ન રાખવી.
પ્રશ્ન : અંત:કરણ શું છે?
જવાબ : મન, બુદ્ધિ અને અભિમાનની મિલાવટ
પ્રશ્ન : પાપ શું છે?
જવાબ : ઇશ્વરથી અલગ થવું
પ્રશ્ન : મૃત્યુ શું છે?
જવાબ : સમા ગયે…. અંદર કોલાહલ બંધ થાય તો ખબર પડશે કે આપણે સાવ એકલા છીએ
પ્રશ્ન : કર્મ શું છે?
જવાબ : કર્મ કરવાનું બંધ કર, ઠહર જાઓ… થક કર બૈઠ જાઓ….
પ્રશ્ન : જિંદગી શું છે?
જવાબ : કશું ખોવાયું નથી, જે જ્યાં છે એ ત્યાં જ છે. સમજણ ભૂલાતી ગઇ અને આખી જિંદગી માણસ શોધ શોધ કરે છે… છેલ્લે સ્વ ને શોધવા નીકળે છે, પાગલ…. સ્વ ને ભૂલાય જ કેવી રીતે?
પ્રશ્ન : પંચ તત્વ શું છે?
જવાબ : કોઈ પાંચ તત્વ કહે છે, કોઈ પચ્ચીસ, કોઈ ત્રણ… તુમ ઇન કો બાર બાર ક્યું ગીનતે હો?
પ્રશ્ન : ભગવાન કેમ નથી મળતા?
જવાબ : તપતા નહીં હૈ વહ તપ હૈ, જપતા નહીં હૈ વો જપ હૈ, બોલતા નહીં હૈ વહ સત્ય હૈ… બોલતા હૈ વહ ગપ્પ હૈ… સંપ્રદાય, મત, શાસ્ત્ર, ગુરુ જેવા નામે ગુપ્ત જ્ઞાન આપવામાં આવે છે એમાં ન પડો. ખોખલા સમુદ્ર છે, જેમાં મોતી નથી પણ છીપલા જ છે…
પ્રશ્ન : ઇશ્વર ક્યાં મળે?
જવાબ : એડ્રેસ શોધ આપણે બંને ત્યાં જઇએ…
પ્રશ્ન : સંસારની મોહ માયાથી મુક્તિ ક્યાં મળે?
જવાબ : શક્ય જ નથી… ચૂપચાપ એક જગ્યાએ બેસી જાવ…
પ્રશ્ન : સુખ દુઃખ શું છે?
જવાબ : માનતે હૈ ઇસ લિયે હૈ…
પ્રશ્ન : જ્ઞાન કેવી રીતે મળે?
જવાબ : મેં કોઈ દુકાન નથી ખોલી… નક્કી તો કર શું જોઈએ છે?
પ્રશ્ન : કોઈ માર્ગ બતાવો
જવાબ : મુઝે ચાહિયે એ છોડી દો.
પ્રશ્ન : કોઈ ઉપદેશ આપો
જવાબ : દુનિયા જોતા રહો, ઉપદેશ મળતા રહેશે.
પ્રશ્ન : વિકાર કેમ આવે છે?
જવાબ : જાગતા રહો તો કૂતરું ઘરમાં ઘૂસે?
પ્રશ્ન : આત્મા શોધવો છે…
જવાબ : ખોવાયો છે?
પ્રશ્ન : દુઃખમાંથી મુક્તિ મળે?
જવાબ : મળે, એ તરફ ધ્યાન ન આપો. માનીએ છીએ એટલે છે. બીજાના દુઃખ આપણને અસર કરતાં નથી, મારું અને મૈં આવે છે ત્યારે તકલીફ પડે છે.
પ્રશ્ન : ભવિષ્ય શું છે?
જવાબ : કશું થવાનું નથી, જોયા કરો… બધું તમારું છે એ કલ્પનામાંથી બહાર નીકળો…
●●●●●
પ્રશ્ન : વિચારો બહુ આવે છે, એનો પ્રવાહ અટકતો નથી.
જવાબ : ચૈતન્ય આવશે ત્યારે પણ નહીં અટકે….
પ્રશ્ન : તપસ્યા એટલે શું?
જવાબ : સહન કરવું
પ્રશ્ન : વૃત્તિ અટકતી નથી…
જવાબ: રોકવી પણ નહીં, અટકી એ દિવસે તમે પૃથ્વી પર નથી.
પ્રશ્ન : મનને કેવી રીતે રોકવું?
જવાબ : મન ફન હોતું નથી, દુનિયા જોવી, આપોઆપ પ્રશ્નો થાય અને જવાબ મળવા માંડે એટલે માર્ગ મળશે. સિનેમામાં એક જ દ્રશ્ય હોય તો જોવું ન ગમે.
પ્રશ્ન : આત્મા શું છે?
જવાબ : યુવાનીમાં ઇશ્વર સ્મરણ કરો, ઘડપણની રાહ ન જુઓ. બાકી એની જવાબદારી સાક્ષાત્કારની છે.
પ્રશ્ન : બાઇ, જ્ઞાન કહો
જવાબ : પહેલાં તારું અજ્ઞાન બોલવા માંડ…
પ્રશ્ન : તમે કહો છો સાધુ સંતોના દર્શનથી પાપોનો નાશ થાય
જવાબ : એના માટે એ સાધુ હોવો જરૂરી છે….
પ્રશ્ન : મારો દરેક સમય પવિત્ર અને નિર્મળ કેમ નથી?
જવાબ : તમે મનનો ઠેકો લીધો છે?
પ્રશ્ન : હસ્તરેખા કેવી રીતે ભવિષ્ય કહે છે?
જવાબ : માતાના પેટમાં મુઠ્ઠી વાળી અને રેખાઓ પડી. આ રેખાઓમાં ભૂત ભવિષ્ય કશું નથી. ભગવાન મય થાવ
પ્રશ્ન : હું પણું કેવી રીતે કાઢું?
જવાબ : આજ હું પણું છે…
પ્રશ્ન : સંશય શું છે?
જવાબ : આખો દિવસ હાયવોય કરવી.
પ્રશ્ન : બધા સમજતા કેમ નથી?
જવાબ : બધા બધું જ સમજે છે, પણ સમજતા ડરે છે.
પ્રશ્ન : કલ્પના કેવી રીતે છૂટે?
જવાબ : મને જોઇએ છે એ વાત છોડશો તો કોઈ કલ્પના વિચાર પરેશાન નહીં કરે….
લેખન અને સંકલન
Deval Shastri🌹