પાળિયા થઈ ને પુજાવું રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું… કવિ પાળિયા વતી કહે છે કે અમારે પાળિયા થઈ ને પુજાવું છે, ઠાકોરજી થવા માં કોઈ રસ નથી.પણ આપણે પાળિયાઓ ને ભૂલી ગયા છીએ. ધર્મ, ગૌ, સ્ત્રી… અરે પારેવાં નેય બચાવવા પ્રાણ હોમી દેનારાઓ નાં પણ દાખલાઓ છે. ભારતીય ઇતિહાસ ભવ્યતા, શુરવીરતા થી ભરેલો છે. ભાભલડી નાં મ્હેણાં થી રૂંવે રૂંવે માઠું લાગ્યું અને પદમણી નાર પામવા ઘેર થી નીકળી પડેલો ઓઢો જામ હોય કે બાર બાર વરસે નવાણ ગળાવ્યાં, તોય નીર ન આવ્યાં આથી અભેસિંહ તળાવ માં હોમાઈ જાય છે. દુશ્મનો નાં હાથ માં શરીર પણ ન આવે આથી ભડભડતી આગ માં જય ભવાની બોલી ને જોહર કરનારી શૂરવીર સ્ત્રીઓ હોય.. કેવો ભવ્ય ઇતિહાસ. અઢારેય વર્ણ ની બળુકાઈ, શૌર્ય આ ભોમકા એ નરી આંખે નીરખી છે. ક્ષત્રિય હોય કે ઢોલ વગાડ નારો, કે પછી શંકર નાં પુજારી દશનામી સાધુ… જ્યાં જ્યાં જરૂર પડી છે, ત્યાં ત્યાં ઝોળી મુકી ને તલવાર ઉપાડી લીધી છે. કંઈ કેટલાય દાખલાઓ ઇતિહાસ ના ચોપડે ચડી ગયા છે. એમાનો એક શુરવીર સંત એટલે કાનપુરી બાપુ..
આ વાત છે બળધોઈ ના દરબાર ગઢ ની છે.સૌરાષ્ટ્ર નો બહારવટીયો વાલો નામેરી સાથે રહી ઘટના બનેલી છે.
આ જગ્યાએ ઘણા જૂના અવશેષ પણ જોવા મળે છે. હાલમાં પણ દરવાજા પર બંદૂક ની ગોળીઓના નિશાન જોવા મળે છે. આ એ સમય ની વાત છે, જ્યારે દેશ પર મુગલો નું આક્રમણ , અત્યાચાર ખુબ વધી ગયો હતો.
મામદ જામ નામનો માથા ફરેલ માણસ આખાય સૌરાષ્ટ્રને ધમરોળે છે.કોઈને સખે થી ધાન ખાવા દેતો નથી. લૂંટ ફાટ મચાવી દીધી છે. એના નામ નો કાળો કેર વર્તાવ્યો છે. એક દિવસ ની વાત છે. સંદેશો મળ્યો કે બળધોઇ હાથીયાવાળા ના ગઢમાં ત્રણ હજાર રૂપિયાની કોથળી તૈયાર ટપે પડી છે.આ સાંભળી મામદ તૈયાર થયો ધાડ પાડવા.આકડે મધનું પોડું ટિંગાય અને કોઈ જાનવર લાલચ થી હડપવા નો કારસો રચે એમ કારસો રચાયો.મળતિયાએ ચેતવ્યો.-” મામદ જામ ,જાવા જેવું નથી હો..અમંગળ જેવું લાગે છે. ન થવા ની થાય એવું ભાસે છે.મારું મન માનતું નથી મામદ.”
આટલું સાંભળી ને મામદ વિફર્યો -” હવે મૂંગો મર્ય.હું મામદ.કોઈ ના બાપ થી નો બિવું.કરો તૈયારી લૂંટ ની.” આદેશ છૂટ્યો.સાગરીતો મને કમને તૈયારી માં પડ્યા.અને મામદ જામે બળધોઇ તરફ સાંજ ટાણે વાર વહેતી કરી. ખૂંખાર ટોળકી ધમાં બાગડદા ધમાં બાગડદા કરતી મારતે ઘોડે આગળ વધી રહી છે. ધુળ ની ડમરીઓ ઉડાડતા ઘોડાં ભાગી રહ્યાં છે.સુરજ મહારાજ આથમી ગયા એવા ટાણે ખળામાં ત્રાટક્યા.લુંટ કરી.જે હાથ માં આવ્યું એને બંદી બનાવી કેદ કર્યા.ગામમાં જઇ ભડાકા કર્યા.નીકળો બહાર…એવા હાકોટા પડકારા કર્યા. ગામ માં ચીસાચીસ મચી ગઇ. કોઈ કહેતું હતું, ધાજો.. વાર આવી છે. કોઈ કહેતું હતું- ભાગો.. બીજી વાત ખોટી. આ હાકોટા પડકારા દરબાર ગઢ માં પુગ્યા. દોથા જેવડું રજવાડું. રાજ મહેલ માં બેઠા હાથીયાવાળા
મુંઝાણાં.-” કાઠિયાણી ,હવે શું ? દુશ્મન બારણે આવી પુગ્યા છે.”
આ સાંભળી ને કાઠિયાણી ની ભ્રકૂટિ તંગ થઇ.શબ્દો નહીં, જાણે અંગાર નીકળ્યા
-” ઠાકોર,ઘરમાં બેસી જાવ મારાં લુઘડાં પેરીને.બહારવટીયાઓ ને કેશું કે દરબાર ને બે ઘર છે.અમે બાઈ માણહ વારે નીકળીએ.વાત કરો છો તે….”
અસલ કાઠિયાણી નાં તીખાં વેણ સાંભળી ને દરબાર ઝાંખા પડી ગયા.-” ના ના, કાઠિયાણી…એમ કહું છું કે
સૈન્ય થોડું ને દુશ્મન ઝાઝા. નાનકડો ગરાસીયો છું. એવડું મોટું સૈન્ય પણ નથી. બળ થી નહીં, કળ થી કામ લેવું પડશે..”
ઠકરાણા બોલ્યાં -” લેખે ચડવાનો વખત આવી ગયો છે દરબાર.”
આવી વાતો વચ્ચે
દોડીને પોતાનાં ત્રીસ બંદૂક વાળાઓ સાથે હાથીયાવાળો મેડીએ ચડ્યા.ગામ માં રિડિયામણ મચી ગઈ છે. દેકારો વધતો જાય છે.બચાવો બચાવો ના પકાર ઉઠી રહ્યા છે. ક્ષત્રિય નું લોહી ઉકળ્યું. રૈયત ને રંજાડનારાઓ ને ઠાર કરવા આગળ વધ્યા. લૂંટારાઓ એ બજાર કબ્જે કરી લીધી.દરબારી માણસોએ મેડીએ થી ભડાકા કર્યા.ગામ ધુમાડા થી ઢંકાઇ ગયું.પણ બહારવટીયા દરબારગઢની દિવાલ ઠેકીને અંદર ઉતાર્યા.જોયું તો ઓરડે ઓરડે તાળા મારી દીધાં છે. બહારવટીયા એ હાકલ કરી-” એ કાઠી ,લાવ ચાવી.નકર હમણાં જાન જાસે. આ હગી નહીં થાય..!”
કોઈ રસ્તો બચ્યો નથી. ના પાડે તો જીવ જાય, હા પાડે તો ધન જાય. જીવ ની પરવા નહોતી, પણ સામે કાળઝાળ લૂંટારાઓ હતા. હાથીયાવાળાએ ચાવીઓ ઘા કરી.મામદ ના માણસો એ પહેલો ઓરડો ઊઘાડયો.અંદર દરબારગઢ અને ગામની દિકરીઓ બહારવટીયા ના ડરથી લપાઇને બેઠી હતી. લૂંટારાઓ બાઈ માણસો ને ઉઠાવી જતા. આથી સૌ થી પહેલે સ્ત્રી ધન સાંચવવા માં આવતું. એક બાઈ આગળ વધી અને ધડામ દઈને દરવાજો બંધ કરી નાખ્યો. આ ઓરડો પછી ખોલશું.પહેલાં ધન હાથવગું કરી લઈએએવા આશય થી બીજો ઓરડો ખોલી જોયું.અંદર પટારા. ધન. સોના, ચાંદી, ઝવેરાત હોવા નું લાગ્યું એટલે ઘંટી નું પડ લઇ પટારો તોડવા લાગ્યા.
પોતાના સાગરીતો ને પાનો ચડાવતા મામદ હાકોટા પડકારા કરી રહ્યો છે.-” હા લૂંટો બેલીઓ લૂંટો.મારા ભાઇઓ..બધુંય લુંટી લ્યો.મોટો માલ હાથ લાગ્યો છે..” એમ પટકારો કરતો ફળિયા માં ઊભો છે. દરબાર નાસીપાસ થઇ ગયા. કોઈ રસ્તો જડતો નથી. કોણ બચાવે? કોઈ કારી ફાવતી નથી. જરાક ચું ચાં કર્યા ભેગો બંદૂક નો ભડાકો થાય અને ખેલ ખતમ. મનોમન મહાદેવ નું સ્મરણ કરે છે. આરદશ માંડે છે.- હે મહાદેવ, હે ભોળિયાનાથ, હે જગત પિતા…. ઉગાર આ નરાધમો થી. એવી કાકલૂદી દરબાર ગઢ માં થઈ રહી છે.
અને કદાચ, જાણે કે સ્તુતિ સાંભળી લીધી હોય એમ એક શંકર નો પુજારી બાવાજી માં જોમ આવી ગયું. નામ કાનપુરી. આવું ક્યારેય જોયું નહોતું. આથી સાંઢિયા ના કાઠાની ઓથે કાનપુરી બાવો છુપાઇને બેઠો છે. પાતળો બાંધો, મજબૂત શરીર રચના. ફરકતી મૂંછો, ઘાટી દાઢી, સફેદ પેરણ -ઓછાડ, માથે આંટાળી પાઘડી, ગળા માં રુદ્રાક્ષ અને માળાઓ, મોટી આંખો…શંકર નો પુજારી. દશનામી સાધુ. યુદ્ધ કે તલવારો થી કોઈ લેવા દેવા નથી. હરિ ભજન કરવું ને ભોળાનાથ ની પૂજા કરવી એ જ કર્મ ને એજ ધર્મ. પણ જાણ્યું કે મારા ગામ ના રાજવી સંકટ માં છે, મારા ગામ ની બાઈ માણહ ની આબરૂ ઉપર ઉતરી આવી છે. આવા ટાંકે જો હું સંતાઈ રહું તો તો મારી સાધુતા લાજે.મારી જનેતા નું ધાવણ લાજે. કાલે કોક મહેણું મારે, કે ફટ રે બાવા, તારી નજર સામે ગામ ની આબરૂ લૂંટાઈ ગઈ અને તું બાયલા ની જેમ સંતાઈ ગયો? આટલું સમજાઇ ગયું.આથી ,રોમરોમ માં શુરાતન વ્યાપી ગયું.
કાં મરું, કાં મારું..રસ્તા બે જ હતા.પણ કેમ આગળ આવવું? સામે કાળમુખા દૈત્યો ભરી બંદૂકે ઉભા હતા.જરાક સંચાર થાય તો ભડાકો કરે.ઠાર મારે. રણ મેદાન હોત તોય જગ્યા અને મોકળાશ મળત. તો બુંગિયા ઢોલ નાં તાલ પર રિડિબાંગ ધ્રિબાંગ રિડિબાંગ ધ્રિબાંગ ની મર્દાના થાપ વચ્ચે યુદ્ધ ખેલી જાત. પણ અહીં એવો કોઈ મોકો નહોતો. જે કરવું તે ત્વરિત કરવું. જરાક ચુક અને પ્રાણ સ્વાહા. પોતાનોય જીવ જાય અને ગામ ની બેન દીકરીઓ ની આબરૂ લૂંટાય એ અલગ. ઉપર થી રાજવી ને પણ ઠાર કરે. આ બધું ઘટવા નું હતું. એ અટકાવવા માટે કંઇક કરવું પડે. પણ શું? આસપાસ નજર દોડાવી.પોતાની પાસે જ કાઠી દરબારો જેનાં ઊપર થાળી રાખીને જમે તે પડધી નામની પીતળની નાની બેઠક પડેલી. મનોમન તાગ મેળવી લીધો.જો આનો ઘા કરવા માં આવે અને નિશાન ચુક ન થાય તો દુશ્મન નાં રામ રમી જાય.
વાર કરવો કોના ઉપર? મારવો તો આગેવાન ને.સરદાર ને જ પાડી નાખવો. તો જ લૂંટ અટકે. નાના મોટા સાગરીત ને મારવા થી લૂંટ અટકે નહીં. આવી ગણતરી કરી ને આસપાસ નજર ફેરવી. નજર મામદ જામ પર ઠરી. સરદાર હોય એમ વાણી અને વર્તન થી લાગ્યું. આને જ પાડી નાખું. જે થાય એ જોયું જશે. આવું મનોમન નક્કી કરી ને
કાનપરીબાપુએ પિતળ ની પડઘી ઝડપ થી ઊપાડી લીધી અને કોઈ કંઈ સમજે, વિચારે એ પહેલાં ગળગળતી દોટ મૂકી.જય ગીરનારી નાં બુલંદ નાદ કરતાં બાવાજીએ પિતળની પડધી નો કારમો ઘા કર્યો.ઘા બરોબર મામદના માથા પર પડ્યો.ફટાક દઇ ને નારિયેળ ફાટે એમ મામદની ખોપરી ફાટી ગઈ.આંખનુ રતન પણ ફોડી નાખ્યું. લોહી ની પિચકારીઓ ઉડી. પણ મામદ ગાંજ્યો જાય એમ હતો નહીં. ફાટેલા માથે અને ફૂટેલી આંખે
-અરે તારી તો…. કહેતો મામદ પાછો ઉભો થયો ને બાવાજી નાં શરીર પર ધડાધડ ગોળીઓ ચલાવી.ઓગણીસ ઓગણીસ છરાએ કાનપુરી ગોસ્વામી બાપુ ના શરીરને વિંધી નાખ્યું. ધ્રૌપટ નીકળી ગઈ છે.હાં બાવાજી, ખમાં બાપ, એવા ભલકાર દરબાર ગઢ માં થવા લાગ્યા. દુશ્મનો ને તાબે થવા સીવાય નો કોઈ આરો સૂઝતો નહોતો. ત્યાં એક સાધુ એ આવી ને બાજી પલ્ટી નાખી. બાઈયું માં જોમ આવી ગયું. ગોળીઓ થી શરીર વીંધાઈ ગયું હતું. ઉગરવા નો આરો નહોતો રહ્યો. મૃત્યુ આવી પોગ્યું હતું. સામે ઘાયલ વાઘ ની જેમ મામદ ત્રાડો નાખતો બંદૂક ચડાવતો હતો. ક્દાચ વધુ લોકો નો ઘાણ કાઢી નાખે. વીસ માં એક ઓછી ગોળીઓ શરીર માં ધરબાઈ ગઈ હતી. આખાય શરીર માં થી લોહી ના ફુંવારા ફૂટતા હતા. થોડીક ક્ષણો હતી હવે. મામદ ને પાડી નાખવા ફરી એકવાર દોટ મુકી.દોડીને મામદની ભેઠે લટકતી તલવાર ખેંચીને તેનાં જમણાં ખંભા ઊપર જે ગીરનારી કહી ઝીંકી દીધી.તલવાર ઠેઠ કમર સુધી ઊતરી ગઈ. અત્યાર સુધી લૂંટવા માં પડ્યા દુશ્મનો આ રૌદ્ર રૂપ જોઈ ને નાઠા. મામદ મરાણો.. મામદ મરાણો.. દુશ્મનો માં રાડારાડી મચી ગઇ. મામદ ની લોથ ઢળી પડી. મામદ ના સાગરીતો ભાગ્યા.શત્રુને મારીને પછી બાવલિયો પડયો. જે ગીરનારી… ઓમ નમો નારાયણ.. ના નાદ કર્યા અને કાનપુરી નાં પ્રાણ પંખેરું ઉડી ગયાં.
રાજકોટ નાં બળઘોઈ નું દરબારગઢ પ્રાણ ત્યાગી ને પણ બચાવી લીધું.
આજે પણ કાનપુરી નાં બેસણાં છે. પાળિયો પૂજાય છે. દરબાર નાં સગાવાલાઓ અને સૌ કોઈ આ દૈવી પુરુષ ને વંદે છે, પૂજે છે.
કવિ એ કહ્યું છે કે.
જનની જણ તો ભક્ત જણ કાં દાતા કાં શૂર, નહીં તો રેજે વાંઝણી, તારું મત ગુમાવીશ નૂર…
આવા મહાન આત્મા ને કોટિ કોટિ વંદન.