એક વિચાર લેખ…
શીર્ષક: જીવનમાં જીવંતતા ઉમેરો.
જીવન ખૂબ પ્રવાહી છે. તેનું વહેતું રહેવું મહત્વનું છે. પ્રવાહમાં ક્યારેક ભરતી તો ક્યારેક ઓટ. જીવનનો પ્રવાહ ક્યારેક શાંત હોય તો ક્યારેક હિલોળા લેતો હોય. આ બધી સ્થિતિ સ્વીકાર્ય છે પરંતુ જીવનના પ્રવાહને ક્યારેય સ્થગિત ન થવા દેવાય. જીવન ઘણી પરિસ્થિતિઓમાં નબળું પડતું દેખાતું હોય છે. ન ગમતી અને ન ધારેલી સ્થિતિઓ ઊભી થાય છે અને તેમનો સામનો કરવો પડે છે. પરંતુ આ બધી પરિસ્થિતિઓ ઉપર આપણું પોતાનું નિયંત્રણ હોતું નથી માટે તેમને સ્વીકારવી જ રહી અને જીવન પ્રવાહ જીવંતતાથી પસાર કરવો જ રહ્યો તો જ તેને ભરપેટ માણી શકાશે.
આ જીવંતતા એટલે શું અને શા માટે આપણે જીવનમાં તેને અવારનવાર ઉમેરવાની જરૂર પડે છે? ઘણી નબળી ક્ષણોમાં આપણું મન વ્યગ્રતા અનુભવે છે. જીવન રસહીન લાગવા લાગે છે, ફિક્કું લાગવા લાગે છે. અમુક અણગમતી ઘટનાઓને કારણે જીવનમાંથી આનંદ, ઉમંગ, ઉત્સાહ અને રોમાંચ ગાયબ થઈ જાય છે. આવા સમયે આપણો જીવન પ્રવાહ સ્થગિત થઈ જતો દેખાય છે. અને ત્યારે સમયસર જીવનને તાજગીમય બનાવવા તેમાં જીવનમાંથી અદ્રશ્ય થઈ ગયેલા ઉપરોક્ત તત્વો ઉમેરવા પડે છે. જેમ વાહનને ગતિમાં રાખવા માટે ઇંધણની જરૂર પડે છે તેમ આપણા જીવનને પણ જીવંત રાખવા માટે અવારનવાર જીવનને સુવ્યવસ્થિત સંચાલિત કરનાર પરિબળો અને જીવંતતા ઉમેરનાર નાના નાના પ્રયત્નોની જરૂર હોય છે. જેમ રસોઈને સ્વાદિષ્ટ બનાવવા માટે નાના મોટા વ્યંજનોની જરૂર પડે છે તે જ પ્રકારે જીવનને આનંદમય બનાવવા માટે તેમાં અવારનવાર રસપ્રદ ફેરફારો લાવવા જરૂરી બની જાય છે.
જીવંતતા ઉમેરનાર આ તત્વોને આપણે ક્યાંય બહાર શોધવા જવાનું નથી. આ બધા તત્વો આપણી અંદર અથવા આપણી આજુબાજુ જ સ્થિત થયેલા હોય છે. માત્ર તેની અનુભૂતિ કરવી અને તેને અમલમાં મૂકવું જરૂરી છે. જ્યારે જ્યારે જીવનમાં આનંદ અને ઉત્સાહ ઓસરતો દેખાય અને વ્યગ્રતા સાથે ઉચાટ હાવી થતો લાગે ત્યારે ત્યારે આપણા મનને થોડા સમય માટે આપણી સમસ્યાઓથી વિકેન્દ્રિત કરીને આપણી જીવનનૌકાને કામચલાઉ ધોરણે દિશાફેર કરવાની જરૂર પડે છે. મનને ગમતી કોઈ વિશેષ પ્રવૃત્તિ થોડા સમય કે થોડા દિવસો માટે હાથમાં લઈ શકાય જેનાથી આપણી મનની વ્યગ્રતા શાંત પડે. આ પ્રવૃત્તિ આમાંની કોઈ પણ હોઈ શકે જેમકે અંગત કે ગમતી વ્યક્તિઓ, મિત્રો સાથે સમય વ્યતીત કરવો, લાંબો સમય કુદરતના સાન્નિધ્યમાં રહેવું, લાંબી ડ્રાઇવ ઉપર જવું, પતિ, પત્ની, પુત્ર, પુત્રી, પૌત્ર, પૌત્રી, ભાઈ, બહેન, માતા, પિતા આદિ સાથે સહૃદયતાપૂર્વક ગુણવત્તા ભરેલો સમય પસાર કરવો, ગમતી રમતો રમવી, ગીત-સંગીત વડે મનને પ્રફુલ્લિત કરવું, ગમતું સાહિત્યિક અથવા આધ્યાત્મિક વાંચન કરવું, ધ્યાન ધરવું, યોગા કરવા, ધાર્મિક કે સામાજિક સેવાના કાર્યોમાં જોડાવું, વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા ઈશ્વરનું સાન્નિધ્ય કેળવવું વગેરે. વ્યક્તિની પોતાની પસંદગી અનુસાર ઉપરની કોઈ પણ પ્રવૃત્તિ તેના જીવનમાં આવેલો ઠહેરાવ દૂર કરે છે અને આશ્ચર્યજનક પરિણામો આપી જીવંતતાનો ઉમેરો કરે છે તથા જીવનમાં બમણા આનંદ, ઉત્સાહ અને રોમાંચ સાથે આગળ ઉપર જિંદગી જીવવાનો જુસ્સો અને જોમ વધારી દે છે.
પાછલી ઉંમરે કોઈપણ વ્યક્તિ પ્રવૃત્તિના અભાવે અને અન્ય સામાજિક સમસ્યાઓને કારણે વધુ પડતી એકલતા અનુભવવા લાગે છે. આવા સમયે જીવન નિસ્તેજ થવા લાગે છે. જીવનમાં નિરાશા પ્રવેશે છે. વધુમાં વ્યક્તિ અંગત વર્તુળોમાં પણ ઉપેક્ષાથી ઘેરાતો જાય છે. કૌટુંબિક માળખામાં પોતાનું મહત્વ ગુમાવતો જાય છે. સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓથી ઘેરાતો જાય છે ત્યારે જીવનના આ પડાવે પોતાના જીવનને મઠારવું ખૂબ જરૂરી બની જાય છે અને તેને માટે જીવનને ગમતી પ્રવૃત્તિઓ સાથે સાંકળવાનો પ્રયોગ કરવો ખૂબ આવશ્યક બની જાય છે. આનાથી જીવનમાં આત્મવિશ્વાસ સાથે જીવંતતા ઉમેરાય છે.
વિચાર મંથન:
નિખિલ કિનારીવાળા, અમદાવાદ