વિકાસ ભલે ચારેકોર પોતાનો રુઆબ જમાવી રહ્યો હોય પણ અમદાવાદ રસ્તા પર રખડતા કૂતરા, ગાય,ભેંસ વગેરે માટે તો પ્રખ્યાત છે જ! મર્સિડિસથી લઈને મોટરસાઈકલ ચલાવનારા સૌ કોઈ આવા રખડતા ઢોરોથી પરેશાન છે. રખડતા ઢોરો કરતા પણ ચઢી જાય તેવી વાત છે કે રસાલા પાર્ક, એલિસબ્રીજની પાછળ આવેલી સોસાયટી તો ત્યાં વધી રહેલા હરણના કાફલાથી અત્યંત ત્રસ્ત છે.
અવારનવાર માંદા પડતા આબાલવૃધ્ધો માટે આ હરણના ઠેરઠેર પડી રહેલા મળમૂત્ર મોટું કારણ બની રહ્યા છે. રાત પડતાં જ આટલી મોટી સંખ્યામાં ત્યાં રાખવામાં આવેલા હરણોની અંદરોઅંદરી લડાઈના ઘોંઘાટથી વડિલો સરખી રીતે સૂઈ નથી શકતા અને બાળકોને અભ્યાસમાં ખલેલ પણ પડી રહી છે.
થોડાં વર્ષો પહેલાં આ હરણોની સંખ્યા માત્ર ૪-૫ હતી , જે આજે વધીને ૫૦થી પણ વધુ થઈ ગઈ છે અને તેમના મળમૂત્રની આડઅસરથી ૩૦ વર્ષ જૂના વક્ષો સૂકાઈ રહ્યા છે.
અહીં આવેલી ક્રીષ્ના સોસાયટીના રહીશ કે જેઓ સમાજમાં ખૂબ જ આગળ પડતું વ્યક્તિત્વ ધરાવે છે તેવા એક રહીશ કહે છે કે, “ અમારે માટે આજે આ હરણો એક ન્યુસન્સ બની ગયા છે અને અમે આનાથી ખૂબ જ પરેશાન છીએ. વારંવાર આ બાબતે ફરિયાદ કરતા હોવાં છતાં તંત્ર આ બાબતે નિષ્ક્રિય છે. અમે સૌ રહીશો માંગણી કરીએ છીએ કે આ હરણોને કોઈ બીજા સુરક્ષિત સ્થળે ખસેડવા આવશ્યક છે કે જ્યૈં આજુબાજુ કોઈ રહેતું ન હોય!
પાર્થિવી અધ્યારુ.
Independent Journalist