સ્પર્શ – શક્તિ એક વરદાન
સરોજ- સ્મૃતિપ્રજ્ઞાકુલમ ખાતે રાહ ફાઉન્ડેશન દ્વારા જાણીતાં કવયિત્રી અને લેખિકા શ્રીમતી બીના પટેલનો કાવ્યપઠનનો એક સુંદર કાર્યક્રમ તારીખ – 25/10/2023ના બુધવારના રોજ યોજાયો હતો.
રાહ ફાઉન્ડેશનના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી જસુભાઈ કવિએ બન્ને કાવ્યસંગ્રહો વિષે કહ્યું કે મને ઘણાં સમય પછી આવા અર્થસભર કાવ્યો વાંચવા મળ્યા છે .પ્રજ્ઞાચક્ષુ બહેને શાલ ઓઢાડીને બીનાબહેનનું સન્માન કર્યું .ડો. દિનેશભાઇ પંચાલે
પુસ્તક આપીને બીનાબહેનનું અભિવાદન કર્યું.
બીનાબહેને પોતાના કાવ્યસંગ્રહો ‘સંવેદનાની સફર ‘અને ‘વો હી પુરાની રંજીશે’માંથી કાવ્યપઠન કરતાં પહેલાં , પ્રજ્ઞાચક્ષુ બહેનો માટે પોતે ,ખાસ લખેલા કાવ્યનું પઠન કરીને બહેનોનું દિલ જીતી લીધું.
દિવ્યચક્ષુ ધરાવતી બહેનોના જીવનમાં ઉત્સાહ વધે એવા એ કાવ્યનું રસપાન કરાવતાં બીનાબહેને કહ્યું ,
‘શબ્દોના કંટકોથી પાંખો ભલે વીંધાય મારી ,
શોધુ નવા આકાશનો આકાર ,
હવે મારા મક્કમ ડગલાનું કદ વધારીને ,
મારા સપના કરું હું સાકાર ‘
આ સુંદર કવિતા ‘અસ્થાના’નામની પ્રજ્ઞાચક્ષુ યુવતીએ સંગીત સાથે લયબધ્ધ રીતે કંપોઝ કરીને હવે રજૂ કરશે એવી તૈયારી દર્શાવી.
અસ્થાનાએ પોતે લખેલી ‘વૃક્ષ’ નામની કવિતાનું પઠન કરી શ્રોતાઓને વિચારતા કરી મુક્યા.મનુષ્યના જીવનમાં વૃક્ષની કેટલી અગત્યતા છે એ બતાવીને એને કહ્યું , વૃક્ષો કાપતા પહેલા સો વખત વિચાર કરવો જોઈએ.
બીનાબહેને પોતાના કાવ્યોનું પઠન કર્યું અને અગાઉ સફળ થયેલી પ્રજ્ઞાચક્ષુ બહેનોના જીવનના દ્રષ્ટાંતો આપીને ત્યાં હાજર રહેલી યુવતીઓને સકારાત્મક અભિગમ સાથે આગળ વધવા માટેની વાત કરી.
હાજર રહેલા લોકોએ તાળીઓના ગડગડાટથી તેઓને વધાવી લીધા.
સાહિત્યરસિકો અને પ્રજ્ઞાચક્ષુબહેનો સાથેનો કાવ્યપઠનનો આ કાર્યક્રમ …સબ કુછ શીખા હમને ન શીખી હોંશિયારી ફિલ્મી ગીત ગાઈને પૂરો થયો.
આગામી સમયમાં પ્રજ્ઞાચક્ષુ બહેનો માટે ફરીથી આવા સુંદર કાર્યક્રમનું આયોજન કરાશે તો તે અવશ્ય હાજરી આપશે ,એવા કહેણ સાથે સૌ છુટા પડ્યા.
આવેલા મિત્રોએ પ્રજ્ઞાચક્ષુ બહેનો દ્વારા બનાવેલા નાસ્તા પણ ખરીદ્યા.આવા અનોખાં કાર્યક્રમનું આયોજન કરવા બદલ શ્રી. જસુભાઈ કવિનો ખુબ ખુબ આભાર.