*પ્રજાહૃદયમાં રાજ કરતા રાજા : ગોંડલ નરેશ ભગવતસિંહજીને જન્મજયંતીએ વિનમ્ર વંદન.
સૌરાષ્ટ્ર એના પ્રજાવત્સલ રાજવીઓ માટે જગમશહૂર છે. પ્રજાના દિલમાં રાજ કેમ કરી શકાય ! એના નકાશીદાર નમૂના અહીંના રાજવીઓએ આપી ને પ્રજાકલ્યાણ જ એમનું અંતિમ લક્ષ છે એમ અનેક વખત સાબિત કર્યુ છે. પોતાની રૈયતને પૂર્ણ સન્માન આપી, એની ભાવનાને અનુરૂપ રાજય વ્યવસ્થા ચલાવી, અનેક રાજવીઓએ પ્રજાહૃદયમાં માનભર્યું સ્થાન મેળવેલું. આવું સ્થાન મેળવનાર રાજાઓમાં ભાવનગરના મહારાજા કૃષ્ણકુમરસિંહજી અને ગોંડલ નરેશ મહારાજા ભગવતસિંહજી મોખરે હતા.
ગત નવમી માર્ચે ભગવતસિંહજી બાપુની પુણ્યતિથિ હતી એટલે આજે એમને યાદ કરવા છે.ગોંડલની પ્રજા જેમને ભગાબાપુના હુલામણા નામે ઓળખે છે, એ મહારાજ ભગવતસિંહજીનો જન્મ તા.ર૪-૧૦-૧૮૬૫ના ધોરાજીમાં થયો હતો. ભગાબાપુ રાજકોટની રાજકુમાર કોલેજમાં ભણી ઈ.સ.૧૮૮૭માં સ્કોટલેન્ડની એડિનબરો યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા જાય છે. ઈ.સ.૧૮૯પમાં ત્યાંની રોયલ કોલેજમાંથી તેઓ એફ.આર.સી.પી. અને એમ.ડી. થાય છે.
મહારાજા સંગ્રામસિંહજી અને મોંઘીબાની કૂખે જન્મેલા યુવરાજ ભગતસિંહજીનો રાજ્યાભિષેક રપ ઓગષ્ટ ૧૮૮૪ના રોજ સંપન્ન થાય છે. પ્રજાવત્સલ મહારાજ ભગવતસિંહજીની દીર્ઘદૃષ્ટિ અને પ્રજાકલ્યાણની એમની પ્રાથમિકતાના કારણે એ સમયે ગોંડલ સ્ટેટનો સુવર્ણ યુગ શરૂ થાય છે. એમના શાસનમાં રાજ્યમાં વિકાસના અનેક કામો થાય છે. કરોડો રૂપિયાના ખર્ચે શાળાઓ, રસ્તાઓ અને પુલો બને છે. ગોંડલ અને મોવિયા માટે એ સમયમાં પીવાના શુદ્ધ પાણીની સાત ટાંકીઓ બને છે. રાજ્યના દરેક ગામને એમના વખતમાં ટેલિફોનની સગવડતા મળે છે. રાજ્યના દરેક ગામેથી સબસલામતનો દરરોજ ટેલિફોન આવે પછી જ ભગાબાપુ સુવા માટે પોતાના ઓરડે જતા. ધોરાજી અને ઉપલેટામાં એ સમયે વીજળી અને ટ્રામની સગવડો થયેલી.અન્ડરગ્રાઉન્ડ ગટર વ્યવસ્થા અને અન્ડરગ્રાઉન્ડ વીજળીનું આયોજન એ સમયે ગોંડલ સ્ટેટે કર્યું હતું. ધોરાજી અને ઉપલેટા એ સમયે ભારતના સૌથી સુંદર શહેરોમાં માનભેર સ્થાન પામતા હતાં.
ઈ.સ.૧૯૩૪માં પોતાના રાજ્ય શાસનના ૪૦ વર્ષની ઉજવણીના ભાગરૂપે વેરામુક્ત રાજ્યની ઘોષણા કરી એમણે ઉત્તમ શાસનનો નમૂનો પૂરો પાડ્યો હતો. પ્રજાએ એ સમયે પોતાના મહારાજની સુવર્ણતુલા કરી હતી. જે સોનુ પછીથી પ્રજાકલ્યાણ માટે વાપરવાનું નક્કી થયું હતું. કન્યા કેળવણીને ઉત્તેજન આપવા મફત શિક્ષણની વ્યવસ્થા ગોંડલ સ્ટેટે કરેલી. આજે પણ ગોંડલની વયોવૃદ્ધ મહિલાને તમે મળશો તો એમની સાક્ષરતા તમને આનંદ સાથે આશ્ચર્ય પમાડશે. અરે! એવા પણ દાખલા ગોંડલમાં મળશે કે વયોવૃદ્ધ સાસુ સાક્ષર હશે અને એમના આધેડ વહુ અભણ હોય ! મફત અને ફરજિયાત કન્યા કેળવણીના કારણે ગોંડલ રાજ્યની તમામ મહિલાઓ સાક્ષર હતી. અરે! મહારાજાએ અંગત મદદનીશ તરીકે જમનાબાઈ નામની મહિલાની નિમણૂક કરી એ જમાનામાં મહિલા સશક્તિકરણનું ઉદાહરણ પૂરું પાડેલું.
પ્રજાવત્સલ રાજવી ભગાબાપુની ન્યાયપ્રિયતા જગમશહૂર હતી. બગીચામાંથી રાજાની આજ્ઞા વિના ફળ-ફૂલ તોડવાની મનાઈ હોવા છતાં રાજકુંવર ચોકીદાર પાસે કેળાની લૂમ તોડવા હઠ કરે છે. મહારાજાની આજ્ઞા વિના તેમ ન કરવા ચોકીદાર દ્વારા જણાવાતા રાજકુંવર ચોકીદારને તમાચો મારી લૂમ તોડી આપવા મજબૂર કરે છે. રાજાને જાણ થતાં ચોકીદાર પાસે આવી રાજા ખુદ પોતાના પુત્ર વિરૂદ્ધ ફરિયાદ કરવા કહે છે. જેથી ગુનેગારને સજા થઈ શકે. કેવી અદ્ભુત! ન્યાયપ્રિયતા!
રાજના મહેમાનોના વધુ રોકાણ પ્રસંગે મહારાજશ્રી પોતાની અંગત રકમમાંથી ભોજનનું બીલ ચૂકવતાં. ગમે તેવો મોટો માણસ હોય તો પણ એણે જમવાનું બીલ ચૂકવવું પડતું. વાઈસરોય, મહાત્મા ગાંધીજી અને રવિન્દ્રનાથ ટાગોરને પણ મહારાજા ભગવતસિંહજીએ વિના સંકોચે ભોજનનું બીલ પકડાવ્યાં દાખલા છે. પ્રજાના પૈસાની પાઈ પાઈનો યોગ્ય ઉપયોગ થાય એમ મહારાજા ઈચ્છતા હતા.
પ્રજાના પ્રશ્નોનું ત્વરિત નિરાકરણ કરવા મહારાજા હંમેશા કટિબધ્ધ રહેતા. મહારાજાને એક વખત કોઈએ સાદા પહેરવેશને બદલે રાજાને શોભે એવો પહેરવેશ ધારણ કરવા જણાવેલું તો એમણે સહજતાથી કહેલું કે, “હું પ્રજા જેવો પહેરવેશ ધારણ કરું તો પ્રજાને રજૂઆત કરતી વેળાએ પોતીકાપણું લાગે અને વિનાસંકોચે પ્રજા મને રજૂઆત કરી શકે.”
એક ઉત્તમ પ્રજાવત્સલ રાજા જ આવું વિચારી શકે. એક વખત ભગાબાપુ ઘોડા પર સવાર થઈને નીકળે છે તો રસ્તામાં થાક ખાવા ભારો નીચે ઉતારીને બેઠેલી સ્ત્રી મળે છે. આ સ્ત્રી રાજાને ભારો ચઢાવવા વિનવે છે. પોતાનો પરિચય આપ્યા વિના રાજા ભારો ચડાવે છે. મહિલા સહજ બોલી ઊઠે છે.
“ગોંડલ રાજ્ય રસ્તામાં થાકલા બનાવી દે તો થાક ખાવા ઊભા રહી શકાય અને ભારો ચડાવવા માટે કોઈના આવવાની વાટ નો જોવી પડે.”
મહિલાના આવા શબ્દો કાને પડતા મહારાજા બીજા દિવસે રાજ્યના એન્જીનીયરને બોલાવીને રાજ્યના તમામ રસ્તે દોઢ-દોઢ કિ.મી.ના અંતરે બે ઊભા અને એક આડો પથ્થર મૂકી થાકલા બનાવવા હુકમ કરે છે.એક રાજાના દિલમાં એની પ્રજા માટે કેટલો પ્રેમ છે એ વાત અહીં પ્રતીત થયા વિના રહેતી નથી.
આ બધાની વચ્ચે ગોંડલ નરેશનું ગુજરાતને અને એની પ્રજાને માટે સૌથી મોટું યોગદાન જો કોઈ હોય તો એ છે, ગુજરાતી ભાષાનો એમના દ્વારા તૈયાર કરવામાં આવેલ અદ્વિતીય અને અનન્ય શબ્દકોષ “ભગવદ્ગોમંડળ.” નવ ભાગ અને ૯ર૭૦ પૃષ્ઠોમાં પથરાયેલો આ ગ્રંથ ર૬ વર્ષની અથાક મહેનત અને રૂ. પ.પ૦ લાખના માતબર ખર્ચે તૈયાર કરવામાં આવે છે.આ ગ્રંથ તૈયાર કરવા માટે પહેલી ઓક્ટોબર ૧૯૨૮માં મહારાજ “ભગવદ્ગોમંડળ કોશ કચેરી” ચાલુ કરે છે. મહારાજા સ્પષ્ટ પણે માનતા હતા કે તૈયાર થનાર શબ્દકોશમાં ગુજરાતી પ્રજાની બોલચાલની ભાષા પ્રતિબિંબિત થતી હોય.ગ્રંથનો પ્રથમ ભાગ તા.રપ/૦૮/૧૯૪૪ના પ્રકાશિત થાય છે. જેમાં ૯૦ર પેઈજ અને ર૬,૬૮૭ શબ્દોનો સમાવેશ થતો હતો. નવમો ગ્રંથ તા.૦૯/૦૩/૧૯પપના રોજ પ્રગટ થાય છે. નવ વોલ્યુમમાં વિભાજિત આ જ્ઞાનકોશનો પ્રથમ ભાગ પ્રકાશિત થયો એના ચારેક માસ પૂર્વ તા.૯/૩/૧૯૪૪ના રોજ મહારાજાનું અવસાન થઈ ચૂક્યું હતું. મહારાજ ખુદ આ ગ્રંથને નજરે નિહાળવા હયાત નહોતા રહી શક્યા.ગ્રંથ કુલ નવ ભાગ, ૯ર૭૦ પૃષ્ઠોમાં ફેલાયેલો હતો. ગ્રંથમાં કુલ ર,૮૧,૪૭૭ શબ્દો અને પ,૪૦,૪પપ અર્થો તથા ર૮૧પ૬ રૂઢિપ્રયોગોનો સમાવેશ કરવામાં આવેલો. આ ગ્રંથ અદ્ભુત સમર્પણભાવથી તૈયાર કરાવીને ભગવતસિંહજીએ ગુજરાતી પ્રજા, ગુજરાતી ભાષા અને ગુજરાતી સંસ્કૃતિની બહુ મોટી સેવા કરી છે. “ભગવદ્ગોમંડળ”ના નવ ગ્રંથોની કુલ કિંમત એ સમયે રૂ. પ૪પ હતી, પણ રાજ્યાશ્રયના કારણે પ્રજાને એ ફક્ત રૂ.૧૪૬માં મળતો હતો. ગુજરાતી ભાષાનું અણમોલ ઘરેણું “ભગવદ્ગોમંડળ” માટે સમગ્ર ગુજરાત મહારાજાનું સદૈવ ઋણી રહેશે.
ગોંડલ નરેશ ઉદાર સખાવતો માટે પણ જાણીતા હતા. બિહારની કુદરતી આપદા સમયે એ વખતે એમણે માતબર રકમ આપેલી. પુનાની ‘ફુર્ગ્યુસન કૉલેજ’માં મહારાજાએ દાન કરતા કોલેજ તરફથી બિલ્ડિંગ પર મહારાજા કે પૂર્વજોનું નામ લખવા જણાવાતા, તેમ કરવા ભગવતસિંહજીએ ચોખ્ખી ના પાડી દીધેલી. મહારાજાએ કૉલેજ સંચાલકોને આપેલા દાનના બદલે કોલેજને પોતાનું નામ નહીં આપતા દર વર્ષે ગોંડલ રાજ્યના વિદ્યાર્થીઓ માટે અભ્યાસ અર્થે કેટલીક સીટો અનામત રાખવા જણાવેલું. રાજ્યના અનેક વિદ્યાર્થીઓએ પછીથી રાજ્યની અનામત સીટો પર પ્રવેશ મેળવી આ કૉલેજમાંથી ઉચ્ચ અભ્યાસ કર્યો હતો.
એક પ્રજાવત્સલ રાજવી કેવો હોય એનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ ગોંડલ નરેશ મહારાજા ભગવતસિંહજી હતા. આવા મહારાજાને વંદન.
– રવજી ગાબાણી