ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સ દ્વારા કાર્યરત એચ.એ. ગાંધીઅન સોસાયટીના નેજા હેઠળ આજે ૩૦ મી જાન્યુઆરીના ગાંધી નિર્વાણ દિન નિમિત્તે “ગાંધીજી સત્યના ઉપાસક” વિષય ઉપર વ્યાખ્યાનનું આયોજન કર્યુ હતુ. આ પ્રસંગે કોલેજના પ્રિન્સીપાલ સંજય વકીલે કહ્યું હતુ કે મોહનદાસ કરમચંદ ગાંધી થી મહાત્મા સુદીની સફરમાં અનેક ચઢાવ ઉતાર આવ્યા હતા.ગાંધીજીએ ભારતને આઝાદી અપાવવા મુખ્ય ચાર પ્રકલ્પો-સત્ય, અહિંસા, સર્વોદય તથા સત્યાગ્રહનો અમલ કર્યો હતો. સાઉથ આફ્રીકાથી ભારત પરત આવેલા મહાત્મા ગાંધી ઉપર ભગવદ્ ગીતા ,બાઈબલ, બુધ્ધીઝમ, જૈનીઝમ, જ્હોન રસ્કીન,ગોપાલક્રીષ્ન ગોખલે તથા લીઓ ટોલસ્ટોયની અસર હતી. ભારતીય સંસ્કૃતી,વેદો, ઉપનિષદ તથા તેની ભવ્ય પરંપરાઓ માંથી ગાંધીજીને પ્રેરણા મળી હતી. અન્યાય તથા શોષણ સામે લડવુ તથા જ્યાં સુધી તેનો ઉકેલ ના આવે ત્યાં સુધી મંડ્યા રહેવું તેવી એમની જીવનપ્રણાલી હતી. સંપૂર્ણ આધ્યાત્મિકતામાં માનવા વાળા મહાત્મા ગાંધીના વિચારોને આગળ ધપાવવાનું કાર્ય વિનોબા ભાવે, જયપ્રકાશ નારાયણ, નેલ્શન મંડેલા તથા માર્ટિન લ્યુથર કિંગ જુનીઅરે કર્યું છે. સ્વરાજ તથા સ્વદેશીમાં માનવા વાળા મહાત્મા ગાંધીની આજરોજ ૭૭મા નિર્વાણદિન નિમિત્તે કોલેજના વિદ્યાર્થીઓએ બે મીનીટ મૌન પાળી શ્રધ્ધાંજલી આપી હતી. કોલેજના પ્રા. મહેશ સોનારાએ પ્રાસંગોચિત વક્તવ્ય આપી આભારવિધિ કરી હતી.