કાળા – બજારિયો વચ્ચેથી મેં મારી જાતને અલગ તારવી છે.
હા,હું એક સ્ત્રી છું..!
પુરુષોનાં પ્રબળ વર્ચસ્વમાંથી સાંગોપાંગ અલગ તરી આવી છું.
મને પણ મારી ઓળખ બનાવવા માટે ઘણો બધો સંઘર્ષ કરવો પડ્યો છે.
મેં ઘણી બધી વિટંબણાઓ વચ્ચેથી નવી કેડીઓ કંડારી છે.
આ ઘેટાઓનાં ટોળાંમાં મારે મારું આગવું અસ્તિત્વ સાબિત કરવા ઘણો સંઘર્ષ કરવો પડ્યો છે…!
હું જન્મી કે તરત જ પુરુષપ્રધાન સમાજમાં ડગલે ને પગલે લિંગભેદનો શિકાર થવા માંડી.રૂઢિગત સમાજે કાયમ જ મને શારીરિક રૂપથી દુર્બળ સમજી છે.મારી સાથે ઘર અને સમાજ બંને જગ્યાએ કાયમ જ શોષણ,અપમાન અને ભેદભાવ કરવામાં આવ્યો છે.
સિંધુતાઈ સપકલ,સાવિત્રિબાઈ ફુલે,ઈલાબહેન ભટ્ટ, કિરણ બેદી, સુધા મૂર્તિ,સુષ્મા સ્વરાજ, નિર્મલા સીતારામન,સીડ્સ મધર તરીકે ઓળખાતા રાહીબાઈ પોપારે જેવી દેશની કેટલીય સક્ષમ મહિલાઓ અને કોન્ડોલીસા રાઈઝ,ઈન્દ્રા નૂઈ, સુનીતા વિલિયમ અને જેવી જાણીતી અને કેટલીય અજાણી મહિલાઓને પણ આવી લિંગભેદની નીતિનો ખૂબ જ બહાદુરીથી સામનો કરીને દેશ અને દુનિયામાં પોતાની આગવી ઓળખ બનાવી જ છે ને..?
તેઓ પોતપોતાનાં ક્ષેત્રોમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યુ છે..!
તો ……
હું પણ તેમનાં જેવી જ એક સ્ત્રી છું..!
મારી અંદર પણ જમાનાની સામે લડી ,સંઘર્ષ કરી મારી આગવી અને અનોખી ઓળખ ચોક્કસ બનાવીશ..!
હું શક્તિ સ્વરૂપા છું,હાર નહીં માનું…!
કાળા ડિબાંગ વાદળો,અઘરાં સંજોગો અને અઢળક મુશ્કેલીઓને હરાવીને પણ લાખોમાં એક બનીને નિખરીશ…!
આ બધું કરવાની ક્ષમતા કે ત્રેવડ મારામાંથી ક્યાંથી આવશે..?
આવો સવાલ તમને થતો હશે ..!
એનો ઉત્તર છે, સકારાત્મકતા..!
સનાતન સત્ય હકીકત છે કે પુરુષ પ્રધાન સમાજમાં લગભગ દરેક સ્ત્રીઓ દિવસમાં કેટલાય અપમાનોને અવગણીને,શારીરિક સતામણીને સહન કરીને,માનસિક ત્રાસને વેઠીને પોતાનો ચહેરો હસતો રાખે છે .
તો એનું કારણ એમની અંદર પ્રચુરમાત્રામાં રહેલી સકારાત્મકતા જ છે…!
એનાં લીધે જ ઢગલો નકામી અને નાની વાતોને અવગણીને સ્થિરતાથી આગળ વધી રહી છે,પોતાનું સ્થાન બનાવી શકી છે અને પોતાનું અસ્તિત્વ ટકાવી શકી છે, તો હું પણ એ વાત જ ધ્યાનમાં રાખીશ …!
આ અહેસાસને મારાં અસ્તિત્વને પામવાની શક્તિ બનાવીશ,તો જ હું આ ટોળામાંથી અલગ તરી આવીશ..!
-©️ૠતંભરા વિશ્વજીત ઠાકર.