મોરબીના જાગીરદાર રણમલજી દેદા (જાડેજા) ના કપરા સમયમાં રાણી અને બંને કુંવર મોહમ્મદ બેગડા થી પોતાને સુરક્ષિત રાખવા મોરબીના મોટા દહીસરા નામના પંખીના માળા જેવડા ગામમાં આવ્યા છે.
રાણીએ ભોજા મકવાણા ની ડેલી ખખડાવી અને આ તો આહીર નું આંગણું, ઓળખતા હોય કે નય પણ આવકાર આભ જેવડો મળે.
રાણી સાહેબે ડેલી ખખડાવી ત્યાં અંદરથી અવાજ આવ્યો “ભલે પધાર્યા બેન વયા આવો”
રાણી સાહેબે ભોજા મકવાણા ને ભાઈ માનીને આખી વાત કરી અને ભોજા મકવાણા આહિરે કહ્યું, “બેન તમે આહીર ના આશરે છો અને આહીર ના આશરે આવેલા ની વારે ચઢવા કોઈ આવે તો એના મૂળિયાં ઉખેડી નાખું હો. મૂંઝાતા નય બેન.”
બંને કુંવરો અને રાણી સાહેબ ને ભોજા બાપાએ એમના ઘરમાં રહેલા કૂવામાં સંતાડી દીધા અને આ બાજુ અમદાવાદ ના બાદશાહ મોહમ્મદ બેગડા ને ખબર પડી કે મોટા દહિસરાનો આહીર છે જેણે રાણી અને કુંવર ને સાચવ્યા છે.
મોટી ફોજ ભેગી કરી બેગડો મોટા દહિસરા ના પાદરમાં આવ્યો અને સૈનિકોને મોકલી ભોજા મકવાણા ને બોલાવવામાં આવ્યા.
“બોલી જા ભોજા કે રાણી અને કુંવર કયા છે તો તને જાતો કરું” પણ આ તો આહીર નો દીકરો આંગણે આવેલા ને આમ આપી દયે તો તો આશરા ધર્મ લાજે.
ભોજા બાપાએ નવાબ ને કીધું કે, “હું તો નાનકડા ગામનો નાનો એવો માણસ હું વળી આવડી મોટી હિંમત કેમ કરું કે નવાબ ના દુશ્મનને સાચવું?”
પણ નવાબને પૂરેપૂરી ખાતરી કે ભોજા બાપા પાસે જ બંને કુંવરો અને રાણી સાહેબ છે તેમ છતાં ભોજા બાપા માનવા તૈયાર ન થયા.
અંતે નવાબે દીવાલમાં હોલ પાડવા મટે હાથેથી ચલાવવાની શારડી મંગાવી અને ભોજા બાપા ને કહ્યું, “છેલ્લી વખત વિચારી લે નહિતર હવે તને યાતનાઓ ભોગવવી પડશે”
ભોજા બાપાએ પોતાની વાતથી રતીભાર ફર્યા નહિ અને અંતે એમના હાથ અને પગમાં શારડીઓ ચાલવા લાગી અને લોહીની શેરું ફૂટવા લાગી.
ત્યારે કોઈક ટોળામાં ઉભેલા માણસે કહ્યું કે એની માતાને બોલાવો એ દીકરાનું દુઃખ નહિ જોઈ શકે અને કહી દેશે. ભોજા મકવાણા ના માતાને તેડાવવામાં આવ્યા અને દીકરાની હાલત જોઈને માતા હચમચી જાય એની બદલે પોતાના આવેશ પર કાબૂ કરીને ભોજા મકવાણા ના માતા તેમની પાસે આવ્યા અને લોહીની વહેતી ધારામાં હાથ બોળી એને સૂંઘીને ચાલતા થયા.
નવાબે કહ્યું કે “તમે એના માતા છો તમારો દીકરો આટલી પીડા ભોગવે છે તો તમને કાઈ દુઃખ નથી થતું.?”
ત્યારે ભોજા મકવાણા ના માતા એ એક આહીરાણી ને શોભે એવો જવાબ આપ્યો કે “મારા દીકરા ના લોહીમાં હજી મારા ધાવણ ની ફોરમ આવે છે. આ તો શારડી મુકાવી છે હજી તો એને કદાચ આનાથી પણ કપરી સજા કરશો તો પણ મારો ભોજો નઈ બોલે એટલો મને વિશ્વાસ છે.”
આજે પણ મોટા દહિસરા ના ઇ પાદરમાં ભોજાબાપા મકવાણા ની પ્રતિમા અડીખમ ઉભી છે અને એમનો પાળિયો ત્યાંથી માંડ ૫૦૦ મીટરના અંતરમાં છે, એમનું એ ઘર આજે પણ એમના બલિદાનની યાદ અપાવે છે અને એ કૂવો જેમાં રાણી અને કુંવર સાચવ્યા હતા એ પણ આજે અડીખમ ઊભો છે…
આવા વીર પુરુષ ભોજાબાપા મકવાણા ની પુણ્યતિથિ નિમિતે એમને શત શત વંદન 🚩