ગુજરાત લૉ સોસાયટી સંચાલિત એચ. એ. કોલેજ ઓફ કોમર્સના પ્રથમ વર્ષ બી.કોમ સેમેસ્ટર-૧ માં પ્રવેશ લીધો હોય તેવા વિદ્યાર્થીઓના ઓરીએન્ટેશન પ્રોગ્રામ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમના મુખ્ય મહેમાન પ્રિન્સીપાલ સુભાષ બ્રહ્મભટ્ટે કહ્યું હતુ કે જીવનમાં સફળતા મેળવવાનો કોઈ શોર્ટ કટ હોતો નથી. કઠોર પરિશ્રમ તથા સ્માર્ટ વર્કથી આપણું લક્ષ પ્રાપ્ત કરી શકીએ છીએ. કોલેજના ૩ વર્ષનો તબક્કો જીવનનો ગોલ્ડન ટાઈમ છે. જો તેને વેડફી દઈશુ તો જીવનભર પસ્તાવા સિવાય બીજુ કાંઈ નહી બચે. કોલેજના પ્રિન્સીપાલ સંજય વકીલે પોતાના વક્તવ્યમાં કહ્યું હતુ કે કોલેજની વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લેવાથી સર્વાંગી વિકાસ થાય છે તથા આત્મવિશ્વાસ કેળવાય છે. આ કાર્યક્રમમાં કોલેજમાં થતી વિવિધ પ્રવૃત્તિઓ, સગવડો, તથા કઈ કઈ સહાય કરવામાં આવે છે તેની માહિતી આપવામાં આવી હતી. કોલેજના પ્રા.મહેશ સોનારાએ પ્રાસંગોચિત વક્તવ્ય આપી કાર્યક્રમનું સંચાલન કર્યું હતુ. કોલેજના પ્રા.માલતીબેન વાલાએ આભારવિધિ કરી હતી.