મનુષ્યજીવનમાં શક્તિ અને શુદ્ધિ બંનેની ખૂબ અગત્યતા છે કેમકે બંને વગર જીવનને તેના સાચા અર્થમાં પામી શકાતું નથી. આપણે સૌ જાણીએ છીએ કે જીવનમાં ડગલે ને પગલે શક્તિ કે ઊર્જાની જરૂરિયાત અનુભવાય છે. શક્તિ અનેક પ્રકારની હોઈ શકે શારીરિક શક્તિ, માનસિક શક્તિ, આર્થિક શક્તિ, સામાજિક શક્તિ, આત્મિક શક્તિ, ધાર્મિક કે આધ્યાત્મિક શક્તિ વગેરે. આવી અનેક પ્રકારની શક્તિપ્રાપ્તિના વિશેષ સાધનો અને સ્ત્રોત હોય છે જેમકે શારીરિક શક્તિની આવશ્યકતા હોય તો પૌષ્ટિક આહાર, નિયમિત કસરત, જરૂરી નિંદ્રા અનિવાર્ય છે. સાત્વિક આહાર-વિહાર કે પ્રાકૃતિક જીવનપદ્ધતિ દ્વારા શારીરિક ઉર્જા પ્રાપ્તિ સરળ બની છે. એવી જ રીતે માનસિક શક્તિ માટે હકારાત્મકતા એટલે કે પોઝિટિવ વિચારો તેમજ મગજને સક્ષમ રાખવા અનિવાર્ય જરૂરી ઓક્સિજન વગેરેની અનિવાર્યતા રહે છે, એ જ રીતે સામાજિક શક્તિ પ્રેમાળ સાંસારિક સંબંધો અને સમૂહ જીવનની સફળતા દ્વારા પ્રાપ્ત કરી શકાય. આર્થિક સમૃદ્ધિ દ્રઢ નિશ્ચય કઠિન પ્રયાસો અને હોશિયારી કે કુશળતા દ્વારા મેળવી શકાય. આત્મિક કે આધ્યાત્મિક શક્તિ કષાયોમુક્ત જીવન દ્વારા મેળવી શકાય એટલે કે કામ, ક્રોધ, લોભ, સ્વાર્થ, ઈર્ષા, અહંકાર વગેરેના ત્યાગ દ્વારા અને નિસ્વાર્થ પ્રેમ, મિત્રતા, નમ્રતા, ક્ષમાપના જેવા ગુણોની પ્રાપ્તિ દ્વારા મેળવી શકાય.
શક્તિ કોઈપણ પ્રકારની હોય તેની પ્રાપ્તિ માટે તીવ્ર તપશ્ચર્યાની આવશ્યકતા તો રહે જ છે એટલે કે સમજણપૂર્વકના નૈતિક અને નિયમિત પ્રયાસો વગર કોઈપણ પ્રકારની શક્તિ પ્રાપ્ત કરવી શક્ય નથી. વળી અથાક પરિશ્રમ દ્વારા મેળવેલ શક્તિમાં જો શુદ્ધિનું તત્વ ન હોય તો દરેક પ્રકારની શક્તિ વ્યર્થ છે કેમ કે અશુદ્ધ શક્તિ દ્વારા આત્મકલ્યાણ કે સમાજકલ્યાણ અસંભવ છે અર્થાત અશુદ્ધ શક્તિ કોઈનું ભલું કરવા સમર્થ નથી. એ ન તો વ્યક્તિગત લાભ આપી શકે કે ના સમાજ માટે ફાયદાકારક સાબિત થઈ શકે. દાખલા તરીકે શારીરિક શક્તિથી ભરપૂર સંપૂર્ણ તંદુરસ્ત અને સ્વસ્થ યુવાન જો પોતાની શક્તિનો દુરુપયોગ કરે, શક્તિને હિંસાત્મક કાર્યોમાં વાપરે, પોતાની શારીરિક શક્તિ દ્વારા અન્યની પીડા વધારવાનું કાર્ય કરે તો શું થાય એ આપણે જાણીએ છીએ. શાસ્ત્રોમાં આવી શક્તિને આસુરીશક્તિ કહે છે. શક્તિ તેના ગુણો અનુસાર બે પ્રકારની હોય ૧) દૈવીશક્તિ અને ૨) આસુરીશક્તિ. બંને છે તો શક્તિ જ પરંતુ આસુરીશક્તિમાં અશુદ્ધિનું પ્રમાણ વિશેષ હોય છે જેથી તેને યોગ્ય ગણવામાં આવતી નથી કે પસંદ કરવામાં આવતી નથી. જ્યારે દૈવીશક્તિમાં શુધ્ધિ સો ટચની હોવાથી તે શક્તિ ઉપયોગી સાબિત થાય છે અને લાભદાયક બને છે. જેના દ્વારા વ્યક્તિ તેમજ સમાજ સર્વનું કલ્યાણ સંભવ બને છે. એ દૃષ્ટિએ શક્તિનું મૂલ્ય તેની શુદ્ધતાને આધારે આંકી શકાય છે. જો શક્તિ મૂલ્યવાન નથી તો તે વ્યર્થ છે. આમ મારા મતે શક્તિ કરતાં વધારે મહત્ત્વની શુધ્ધિ છે.
આર્થિક રીતે સદ્ધર માણસ એટલે કે આર્થિક રીતે શક્તિવાન માણસ જો અશુદ્ધ હોય અને તેની આર્થિક સમૃદ્ધિનો દુરુપયોગ કરે, દારૂ-જુગાર-સટ્ટો વગેરે કાર્યોમાં પૈસાનો ઉપયોગ કરે તો તેનું અહિત તો નક્કી જ છે પરંતુ દેશનું પણ અહિત થાય છે કેમ કે તે દ્વારા દેશના સાધનોનો અયોગ્ય ઉપયોગ થાય છે. માંગ આધારિત અર્થતંત્રમાં દારૂ-જુગાર-સટ્ટાના ક્ષેત્રમાં મૂડીરોકાણ વધતા દેશના મર્યાદિત સાધનોની ફાળવણી કે પ્રાપ્યતા જરૂરી અને અનિવાર્ય ક્ષેત્રમાં ઘટે છે જેના લીધે સમાજના નબળા વર્ગને સહન કરવાનો વારો આવે છે. ગરીબ અને મધ્યમ વર્ગ પર સર્વથા અવળી અસર પડે છે. આમ આર્થિક શક્તિનો દુરુપયોગ કે આર્થિક અશુદ્ધિ સમગ્ર સમાજજીવનને નર્ક સમાન બનાવી મૂકે છે. આમ શક્તિનું મહત્વ માત્ર તેની શુદ્ધિને આધીન છે. શારીરિક શક્તિનો સેવાના કાર્યમાં વપરાશ તેની શુદ્ધિ દર્શાવે છે. આર્થિક શક્તિનો સર્વના કલ્યાણમાં ઉમદા અને નૈતિક ઉપયોગ તેની શુદ્ધતાના દર્શન કરાવે છે. જેના દ્વારા સમગ્ર રાષ્ટ્ર પ્રગતિના પંથે આગળ વધી શકે છે. ટૂંકમાં પૈસા કમાવવા કરતાં વધુ અગત્યનો તેનો વપરાશ છે. મૂડીની માત્રા કે પ્રમાણ જો શક્તિ દર્શાવતું હોય તો તેનો ઉપયોગ તેની શુદ્ધિ દર્શાવે છે. પૈસો કમાવા કરતાં વિશેષ મહત્વનું આપણે તેને કેવી રીતે અને ક્યાં વાપરીએ છે તે છે.
શક્તિની જેમ શુધ્ધિ પણ શારીરિક, માનસિક, આર્થિક, સાંસારિક, આત્મિક અને ધાર્મિક હોઈ શકે. શારીરિક શુધ્ધિ એટલે શરીરનું સંપૂર્ણ સ્વચ્છ અને વિષમુક્ત (detox) હોવું. માનસિક શુધ્ધિ એટલે તણાવમુક્ત સંપૂર્ણ વિધાયક મન. આર્થિક શુધ્ધિ એટલે નીતિમત્તા સાથે કમાયેલ સંપત્તિનો યથાર્થ અને નૈતિક ઉપયોગ. સામાજિક શુધ્ધિ એટલે ફરિયાદ અને અપેક્ષા વગરના પ્રેમાળ અને તંદુરસ્ત સંબંધો. આત્મિક કે અધ્યાત્મિક શુધ્ધિ એટલે સંપૂર્ણપણે ઈશ્વરની શરણાગતિયુક્ત જીવન, જેમાં ન કોઈ ઈચ્છા હોય કે ન કોઈ હતાશા અને અફસોસ. શક્તિવાન માણસ કદાચ શુદ્ધ ન હોય એવું બની શકે પરંતુ શુદ્ધ માણસ શક્તિમાન ન હોય તે કદાપિ શક્ય નથી. તન-મન-ધન અને આત્માથી શુદ્ધ મનુષ્ય હંમેશા પૂર્ણ શક્તિશાળી હોવાનો. શુદ્ધ શક્તિની જરૂર દરેક યુગમાં સમાજને રહી છે. બાકી શક્તિ તો દેવો અને અસુરો બંને પાસે સરખી જ હોય છે, કદાચ અસુરોની શક્તિ કળિયુગ જેવા યુગમાં વધી જાય એવું સંભવ છે. છતાં કોઈ યુગમાં આસુરીશક્તિને પસંદ કરવામાં આવતી નથી. એ દર્શાવે છે કે શુદ્ધિ વગરની શક્તિ એકડા વગરના મીંડા સમાન છે, જેનું કોઈ મૂલ્ય નથી.
આજનો સમાજ શક્તિનો પુજારી છે. તે શારીરિક, માનસિક, આર્થિક શક્તિ વધારવાનો સતત અવિરત પ્રયત્ન અંગત સફળતા અને સમૃદ્ધિ માટે કરે છે. પરંતુ કમનશીબે તે શુધ્ધિ અંગે બેદરકાર છે જેથી તમામ પ્રકારની શક્તિ હોવા છતાં વ્યક્તિગત અને સામાજિક પીડામાં અવિરત વધારો થઇ રહ્યો છે. આજનો યુવાન જિમ દ્વારા સિક્સ એપ્સસ બનાવે છે, આકર્ષક દેખાય છે પરંતુ એ શારીરિક શક્તિનો ઉપયોગ શું કરવો એ અંગેના અજ્ઞાનને કારણે શક્તિ ઉપયોગી કે સહાયક સાબિત થઈ શકતી નથી. આર્થિક રીતે સદ્ધરતા પ્રાપ્ત કરતાં લગભગ કોઈ વ્યક્તિને એ ખબર નથી હોતી કે વાસ્તવમાં પૈસાનો ઉપયોગ ક્યાં અને કેવી રીતે થવો જોઈએ. જ્યાં સુધી એ વિવેકપ્રાપ્તિ નહીં થાય અર્થાત તન-મન-ધન અંગેની આંતરિક શુદ્ધિ અંગે વ્યક્તિ બેફિકર કે બેદરકાર રહેશે ત્યાં સુધી જીવન મુશ્કેલ જ રહેવાનું. કારણ કે શારીરિક, આર્થિક, માનસિક કે આત્મિક શક્તિ મેળવવાનું યથાર્થ કારણ ન સમજાય એટલે કે શુદ્ધિનું મહત્વ કે અનિવાર્યતા ન સમજાય ત્યાં સુધી તો શક્તિનો દુરુપયોગ સ્વાભાવિક બનવાનો, જે દ્વારા વ્યક્તિગત તેમ જ કૌટુંબિક અને રાષ્ટ્રની પીડામાં માત્ર વધારો થવાનો એ નિશ્ચિત છે. એટલા માટે હું માનું છું કે શક્તિપ્રાપ્તિ પહેલા શુદ્ધિની વિભાવનાને સમજવી આવશ્યક છે કેમકે શુદ્ધિ વિનાની શક્તિ સર્વથા નકામી અને અર્થહીન છે. એટલે કે શુદ્ધિ વગરની શક્તિ એકડા વગરના મીંડા સમાન છે.