ઓમ કૉમ્યુનિકેશન દ્વારા તા.૧૬ એપ્રિલે રવિવારે સાંજે ૦૫-૩૦ કલાકે ગોવર્ધનસ્મૃતિ મંદિર સભાગૃહ,ગુજરાતી સાહિત્ય પરિષદ,અમદાવાદ ખાતે ‘પુસ્તક પરિચય’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.
સંપાદક ઝવેરચંદ મેઘાણી લિખિત પુસ્તક ‘સૌરાષ્ટ્રની રસધાર ભાગ-૧’ વિશે લોકસાહિત્ય સંશોધક અંબાદાન રોહડિયાએ અને જ્ઞાનપીઠ પુરસ્કૃતસર્જક રાજેન્દ્ર શાહ કૃત પુસ્તક ‘ધ્વનિ’ વિશે સાહિત્યકાર સુમન શાહે પુસ્તકનો આસ્વાદલક્ષી પરિચય કરાવી વક્તવ્ય આપ્યું.સમગ્ર કાર્યક્રમનું સંચાલન કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ કર્યું.આ પ્રસંગે વિદ્યાર્થીઓ,સાહિત્યકારો અને પુસ્તકપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતાં.આ કાર્યક્રમને માણવા કોઈપણ પ્રકારની પ્રવેશ ફી રાખવામાં આવી ન્હોતી.
——-
શ્રી અંબાદાન રોહડિયા :
——–
સૌરાષ્ટ્રની રસધાર ભાગ-૧ એ ૧૯૨૩માં પ્રકાશિત થયો.આજે સો વર્ષ થયા.મેઘાણીએ સંપાદન કાર્ય કર્યું એની સાથે નવલકથા અને અનુવાદક તરીકે પણ સર્જનાત્મક લેખન કાર્ય કર્યું છે.મેઘાણીનું અનુવાદન કાર્ય અનુસર્જન બની ગયું છે.મેઘાણીએ સંપાદન કાર્ય કર્યું એ પ્હેલાં ગિજુભાઈ બધેકાએ લોક્વાર્તાનું શાસ્ત્ર આપેલું હતું.સૌરાષ્ટ્રની રસધારમાં મેઘાણીએ એવી લોકવાર્તાઓ પસંદ કરી કે જે વાર્તાઓથી સૌરાષ્ટ્રની સાંસ્કૃતિક અસ્મિતાનો પરિચય થાય.
શ્રી સુમન શાહ :
——–
2001માં કવિ રાજેન્દ્ર શાહ જ્ઞાનપીઠ એવૉર્ડ થી સન્માનિત થયા.17વર્ષની વયે કાવ્યસર્જન શરૂ કર્યું અને 17 વર્ષની વયે રાજેન્દ્ર શાહ દાંડીકૂચમાં જોડાય છે.તેઓ સ્વાતંત્રસેનાની હતા.તેમણે કારાવાસ પણ ભોગવ્યો છે.સર્જકને પામવા માટે સર્જકની સૃષ્ટિમાં ઊંડે ઉતરવું પડે આ એવા સર્જક છે.રાજેન્દ્ર શાહ કાવ્યકવિ છે એટલા જ મોટા ગીતકવિ છે.જયારે કવિનું નામ ભૂલાઈ જાય એ કવિનો શબ્દ મહાન સમજવો.રાજેન્દ્ર શાહની એવી અનેક રચનાઓ છે જેમાં લોકોને કવિનું નામ નથી ખબર પણ રચના,એના શબ્દો ખબર છે.