પ્રેસનોટ :
ઓમ કૉમ્યુનિકેશન દ્વારા તા.૦૩ ડિસેમ્બર રવિવારે સાંજે ૦૫-૩૦ કલાકે મીલ ઑનર્સ બિલ્ડિંગ ઑડિટોરિયમ ( આત્મા હૉલ ),સિટી ગોલ્ડ સિનેમાની સામે,આશ્રમ રોડ,અમદાવાદ ખાતે ‘પુસ્તક પરિચય’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સાહિત્યસર્જક કાકાસાહેબ કાલેલકરના પુસ્તક ‘ ઉગમણો દેશ ‘ વિશે ડૉ. જયેન્દ્રસિંહ જાદવે અને સાહિત્યસર્જક પ્રિયકાન્ત મણિયારના પુસ્તક ‘ પ્રતીક ‘ વિશે કવિ વિનોદ જોશીએ અભ્યાસલક્ષી વક્તવ્ય આપી પુસ્તકનો પરિચય કરાવ્યો.સમગ્ર કાર્યક્રમનું સંચાલન કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ કર્યું હતું. આ પ્રસંગે કવિ પ્રિયકાન્ત મણિયારના પુત્ર નિગમ મણિયાર પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા તેમજ સાહિત્યકારો, સાહિત્યપ્રેમીઓ અને પુસ્તકપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતાં.આ કાર્યક્રમને માણવા કોઈપણ પ્રકારની પ્રવેશ ફી રાખવામાં આવી ન્હોતી.
—-
જયેન્દ્રસિંહ જાદવ :
—
આઝાદી પછી 1954માં જયારે પહેલીવાર કાકાસાહેબ જાપાન ગયા ત્યારે તેમને પૂછવામાં આવ્યું કે 1923ની આસપાસ આપને આમંત્રણ આપવામાં આવ્યું હતું ત્યારે કેમ સ્વીકાર ન્હોતો કર્યો? ત્યારે કાકાસાહેબે કહ્યું કે એ સમયમાં મને કોઈ પૂછે કે તમારા દેશનો રાષ્ટ્રધ્વજ કયો ? ત્યારે મારે જવાબ શો આપવો? આમ કાકાસાહેબ કાલેલકર સ્વાભિમાન દર્શાવતા એક દેશપ્રેમી પણ જણાય છે.જાપાનને નિપ્પોન કહેવાય છે.જેનો અર્થ જ ઉગમણો દેશ થાય છે.કાકાસાહેબ જણાવે છે કે પ્રવાસ વર્ણનોમાં ઇતિહાસ કે વૈજ્ઞાનિક સંદર્ભોની ભરમાર કરવાની જરૂર નથી.વર્ણન એવું હોવું જોઈએ કે વાંચનાર પોતે પ્રવાસની અનુભૂતિ કરી શકે.
—
વિનોદ જોશી :
—
કવિ પ્રિયકાન્ત મણિયાર શબ્દને સંબોઘી જે વાત કવિતામાં કરે છે તે અનન્ય છે.ભાષા કેવી ઉપેક્ષી છે એ કવિના ભાષાદર્શન પરથી ખ્યાલ આવે.પ્રિયકાન્ત મણિયાર ‘પ્રતીક’ કાવ્યસંગ્રહમાં શબ્દ સાથેના સાયુજ્યને પ્રમાણિત કરે છે.અભાવ અને ખાલીપો એ કવિના તમામ કાવ્યોમાં જોવા મળે છે.