ઑનર્સ બિલ્ડિંગ ઑડિટોરિયમ (આત્મા હૉલ),આશ્રમ રોડ, અમદાવાદ ખાતે ગુજરાત સાહિત્ય અકાદમી
અને ઓમ કૉમ્યુનિકેશનના સંયુક્ત ઉપક્રમે નાટ્યલેખક, નિબંધકાર,પિંગળશાસ્ત્રી રણછોડભાઈ ઉદયરામ દવેની પુણ્યશતાબ્દીની ઉજવણી નિમિત્તે ‘નાટ્યહોત્રી’ સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું.
રણછોડભાઈના જીવન વિશે આસિસ્ટન્ટ પ્રો.દીપક ભટ્ટે,રણછોડભાઇનાં નાટકો વિશે નાટ્યકાર ડૉ. શૈલેશ ટેવાણીએ અને ‘રણપિંગળ’ વિશે પ્રો.નિયતિ અંતાણીએ મનનીય વક્તવ્ય આપ્યું.સમગ્ર કાર્યક્રમનું સંચાલન કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ કર્યું. આ પ્રસંગે સાહિત્યકારો અને સાહિત્યપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતાં. આ કાર્યક્રમને માણવા કોઈપણ પ્રકારની પ્રવેશ ફી રાખવામાં આવી ન્હોતી.
—
દીપક ભટ્ટ :
—
રણછોડભાઈ ઉદયરામ દવે એ ગુજરાતી ભાષા,સાહિત્ય, ઇતિહાસ અને રંગભૂમિનું એવું નામ છે જેણે ગુજરાતના સંસ્કાર ઘડતરમાં મહત્વનો ભાગ ભજવ્યો છે. રંગભૂમિ પર ગુજરાતી ભાષામાં નાટક ભજવાય અને બહુ સફળતા મેળવે એવા કથાનક પર મૌલિક અને અનુવાદિત નાટકો લખ્યાં અને ભજવ્યાં.શિષ્ટ નાટકો માટે લોકરૂચી કેળવાય એનો મૃત્યુ પર્યંત ખ્યાલ રાખ્યો.
—-
શૈલેશ ટેવાણી :
—
‘હુઝૂર આસિસ્ટન્ટ’,’દીવાન બહાદુર’ જેવા ખિતાબો એ જમાનામાં મેળવનાર,વડોદરા ખાતે 1912માં ભરાયેલી સાહિત્ય પરિષદના પ્રમુખ રહેલા અને ગાંધીજીના સાઉથ આફ્રિકાથી આગમન પહેલાંના પાંત્રીસ વર્ષે જે સુધારાની હવા જામેલી તેમાં પારસી રંગભૂમિ અને ભવાઇના નિંદનીય તત્વોથી કંટાળેલા એવા પિંગળશાસ્ત્રી,બહુભાષાવિદ્દ,બહુશ્રુત રણછોડભાઇએ રંગભૂમિ પર ટંકશાળ પડે તેવા 1200-1500 જેટલાં પ્રેક્ષકોને ડોલાવતાં નાટકો આપ્યા.જેના સેંકડો શો થયા. સ્ત્રીસુરક્ષા,સ્ત્રીશિક્ષણ અને લગ્નપ્રથાના દુષણો સામે એમણે ‘જયકુમારી વિજય’,’નળ દમંયતી’,’ઓખા હરણ’ જેવાં ઉત્તમ નાટકો આપ્યા.’હરિશ્ચંદ્ર’ નાટકથી તેઓ જાણીતા બન્યા.’લલિતા દુઃખદર્શક’ નાટકે ઐતહાસિક સ્થાન આપ્યું. રણછોડભાઈ ઉદયરામ આપણાં ‘પાયોનિયર’ નાટ્યકાર છે.
—
નિયતિ અંતાણી :
—
૧૯૦૨માં શ્રી રણછોડરામ ઉદયરામે લખેલો ‘રણપિંગળ’ ગ્રંથ છંદક્ષેત્રે સીમાચિહન જેવો છે. કુલ પંદરસો કરતાં વધુ પૃષ્ઠોમાં વિસ્તરેલા ત્રણ ભાગમાં વહેંચાયેલા આ ગ્રંથના પહેલા ભાગમાં વૈદિકછંદ, માત્રામેળ જાતિ અને વર્ણમેળ છંદ વિશે વિગતે માહિતી આપી છે. બધા જ માત્રામેળ અને અક્ષરમેળ છંદો, તેમના અનેક પેટાભેદ સાથે સમજાવાયા છે. તો બીજા ભાગમાં પિંગળ વિષયક ગણિતનું વિસ્તારથી વિવેચન કર્યું છે. ત્રીજા ભાગમાં ડિંગળ અથવા મારવાડી ગીત રચના, વૈદિક છંદ અને ફારસી કવિતા રચનાનો સમાવેશ થાય છે. ત્રણ ભાગમાં વહેંચાયેલા ત્રીજા ભાગના પહેલા વિભાગમાં ફારસી કવિતારચનાની સમજ આપી છે; બીજા વિભાગમાં વૈદિક છંદની વિગતો અપાઈ છે અને ત્રીજા વિભાગમાં પિંગળ અથવા મારવાડી ગીતરચના આપવામાં આવી છે. છંદનો વિસ્તારપૂર્વક પરિચય મેળવવા માટે આ પુસ્તક એ જમાનાનું એક અજોડ કાર્ય છે. રણછોડભાઈએ ગુજરાતી નાટક અને રંગભૂમિની સેવા જેવી જ મહત્વની સેવા ‘રણપિંગળ’ આપીને કરી છે.