ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સના એન.એસ.એસ. વિભાગ દ્વારા “ ટ્રાફીક અવેરનેશ સેફટી વીક” નું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમ અમદાવાદ શહેર ટ્રાફીક પોલીસ, નહેરૂ યુવા કેન્દ્ર તથા ATCC ના સહયોગથી કરવામાં આવ્યો હતો. શહેરના ટ્રાફીક પોલીસના એસીપી મોદીસાહેબ, પીઆઈ પાંડોર સાહેબ,ડો. પ્રવીણ કાનાબાર તથા પ્રિતેશ ઝવેરીએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યુ હતુ. આ પ્રસંગે કોલેજના પ્રિન્સીપાલ સંજય વકીલે કહ્યું હતુ કે ભારત દેશમાં રોડ અકસ્માતોથી હજારોના મૃત્યુ થાય છે. આના કારણે દેશનો વિકાસ તો રૂંધાય છે પરંતુ મૃત્યુ પામતી વ્યક્તીનું કુટુંબ બરબાદ થઇ જાય છે. અકસ્માતોથી લોકો અપંગ થાય છે જેનાથી જીવન જીવવુ દોહ્યલુ થઇ જાય છે. લાઈસન્સ વગર વાહન ચલાવવુ ગુનો છે છતાંપણ આજના માબાપ પોતાના સંતાનોને લાઈસન્સ વગર વાહન ચલાવવા આપે છે.ઓવર સ્પીડ, બેદરકારીભર્યુ ડ્રાઈવીંગ તથા ટ્રાફીકના નિયમોના ઉલ્લંઘનથી અકસ્માતો સર્જાય છે. ટ્રાફીક નિયમ જાગૃતિના આ કાર્યક્રમમાં પીપીટીથી વિદ્યાર્થીઓને અકસ્માતથી બચવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ. કોલેજના વિદ્યાર્થીઓએ અંતમાં શપથ લીધા હતા કે હું ટ્રાફીક નિયમોનું પાલન કરીશ. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન તથા સંચાલન પ્રા .એચ.બી.ચૌધરી તથા પ્રા. ચેતન મેવાડાએ કર્યું હતુ. કોલેજના પ્રા.જય મિસ્ત્રીએ આભારવિધિ કરી હતી. આ કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓની જાહેર રેલી કાઢી ટ્રાફીકના નિયમોનું પાલન કરતા સૂત્રોચ્ચાર કર્યા હતા. આ કાર્યક્રમમાં ૪૦૦થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.