શિલ્પા શાહ એસો.પ્રો. HKBBA કોલેજ
જીવનની સૌથી મોટી કમનસીબી એ છે કે ગરીબી શબ્દને આપણે માત્ર ધન-દોલતના સંદર્ભમાં જ સમજીએ છીએ. અને આવી આર્થિક ગરીબી બે પ્રકારની હોય ૧) સાપેક્ષ ગરીબી અને ૨) નિરપેક્ષ ગરીબી. આપણે આપણી આર્થિક સ્થિતિની સરખામણી અન્ય કોઈ સાથે કરીએ અને એની સરખામણીએ આપણી આર્થિક સ્થિતિ નબળી જણાય તો તેને સાપેક્ષ ગરીબી કહેવાય. જ્યારે જીવનની મૂળભૂત પ્રાથમિક જરૂરિયાત (રોટી-કપડા-મકાન વગેરે) પૂરી કરવા જેટલી પણ આર્થિક સગવડ આપણી પાસે જો ન હોય તો તેને નિરપેક્ષ ગરીબી કહેવાય. જેને અર્થશાસ્ત્રની ભાષામાં ગરીબી રેખાની નીચે જીવતા પરિવાર તરીકે ઓળખવામાં આવે. જે ગહન ચિંતાનો વિષય કહેવાય અને એવી ગરીબી દૂર કરવાનો સક્ષમ પ્રયત્ન દરેક દ્વારા (એટલે કે કુટુંબ સમાજ અને સરકાર દ્વારા) થવો જોઈએ. પરંતુ સરખામણીથી અનુભવાતી ગરીબી એક પ્રકારની માનસિક બીમારી છે જેનો ઈલાજ કોઈ કુટુંબ સમાજ કે સરકાર પાસે નથી. તેનો ઇલાજ તો વ્યક્તિએ પોતે જ કરવો પડે અને એ ઈલાજ વિચારોની ગરીબી દૂર કરીને જ શક્ય બને. જે સમાજ કુટુંબ કે સરકાર વિચારોથી ગરીબ છે તેણે તો ગરીબીની અસહ્ય પીડા સહન કર્યે જ છૂટકો. વળી ગરીબી શબ્દ મનુષ્ય સમાજમાં કોઈને પસંદ નથી. ગરીબી નિરપેક્ષ હોય કે સાપેક્ષ તેને દૂર કરવા મનુષ્ય કઠિન પ્રયાસ જીવનપર્યંત કરતો જ રહે છે, ક્યારેય થાકતો પણ નથી. જીવન પૂરું થઈ જાય છતાં જીવનની છેલ્લી ક્ષણ સુધી તે ધનપ્રાપ્તિના કઠીન અવિરત પ્રયત્નો કરતો જ રહે છે. પરંતુ આવો અવિરત નૈતિક પ્રયાસ તે વિચારોની ગરીબી દૂર કરવા ક્યારેય કરતો નથી કેમકે આપણે ત્યાં વિચારોની ગરીબીને ગરીબી માનવામાં આવતી જ નથી.
આર્થિક રીતે ગરીબી (ધનદોલતની અછત) ની પરિસ્થિતિમાં જેવી મુશ્કેલીઓનો સામનો વ્યક્તિ અને તેના પરિવારે કરવો પડે છે એવી જ મુશ્કેલીઓનો સામનો વિચારોની ગરીબીના કારણે પણ સહન કરવો પડતો હોય છે એ જો સમજાય અર્થાત વિચારોની ગરીબીની ગંભીરતા જો સમજાય તો કદાચ વ્યક્તિ સમજી શકે કે આર્થિક ગરીબી કરતા અનેકગણી ભયાનક વિચારોની ગરીબી છે. જેને કારણે જીવન વધુ અસ્તવ્યસ્ત અને દયનીય બની જાય છે. પરંતુ કમનસીબે જીવનપર્યંત મનુષ્યને એ સમજાતું જ નથી કે આર્થિક ગરીબી કરતા વિચારોની ગરીબી વધુ હાનિકારક છે એટલા માટે તે ક્યારેય વિચારોની ગરીબી તરફ ધ્યાન આપતો જ નથી કે એને દૂર કરવાનો પ્રયત્ન કરતો નથી. પરંતુ આર્થિક ગરીબી દૂર કરવા હરહંમેશ પ્રયત્નશીલ રહે છે. ધનદોલતની પ્રાપ્તિ માટે એટલે કે આર્થિક ગરીબી નિવારણ માટે તે જેટલો પ્રયત્નશીલ છે, જેટલી તનતોડ મહેનત કરે છે, સામાજિક જીવનના ભોગે અંગત ખુશીઓને કોરાણે મૂકી એટલી મહેનત જો વિચારોની ગરીબી દૂર કરવા માટે કરે તો આપોઆપ જીવનમાંથી તમામ પ્રકારની સમસ્યા દૂર થઈ જાય કેમકે દરેકના જીવનમાં મુશ્કેલીઓ ત્રણ પ્રકારની હોય છે આધિ-વ્યાધિ અને ઉપાધિ. આધિ એટલે આધ્યાત્મિક સમસ્યાઓ કે જે આત્માના વાસ્તવિક સ્વરૂપને ન સમજવાના અજ્ઞાનથી ઉદ્ભવે છે. વ્યાધિ એટલે રોગો અને બીમારી. ઉપાધિ એટલે માનસિક સમસ્યાઓ કે જે સ્વાર્થ, ઈર્ષ્યા, ક્રોધ જેવા અનેક દુર્ગુણોથી સર્જાય છે.
હવે વિચારો તમને નથી લાગતું જીવનમાં અજ્ઞાન દ્વારા ઉદ્દભવતી તકલીફો એ વિચારોની ગરીબીની દેન છે. તેમજ મનુષ્ય જીવનને પરેશાન કરતા અનેક રોગો અને બીમારી પણ નબળું મન, નેગેટિવ મન, નિરાશ મનની સ્થિતિને કારણે સર્જાય છે અર્થાત વિચારોની ગરીબીને કારણે સર્જાય છે. વિચારોની નેગેટિવિટી, વિચારોની ચંચળતા, અમર્યાદિત વિચારો કે ઇચ્છાઓની દોડ મનને અક્ષમ બનાવે છે અને ધીરે-ધીરે તેની શક્તિ ક્ષીણ કરી દે છે. જ્યાંથી અનેક પ્રકારના દુર્ગુણો જેવા કે કામ, ક્રોધ, સ્વાર્થ, અહંકાર, ઈર્ષા, લાલચ વગેરેનો જન્મ થાય છે. જે વ્યક્તિને ધનદોલતની પ્રાપ્તિ પાછળ પાગલ બનાવે છે. ગમે તેટલું ધન મેળવ્યા બાદ પણ તે સતત સાપેક્ષ ગરીબીનો અહેસાસ કરે છે. આપણે સૌ જાણીએ છીએ કે સાપેક્ષ ગરીબી અર્થાત સરખામણી કરવાથી ઉદ્ભવતી અભાવની ભાવનાનો તો કોઈ ઈલાજ જ નથી. ટૂંકમાં જીવનની તમામ સમસ્યાઓ જેવી કે આધિ-વ્યાધિ-ઉપાધિ પાછળ ધનદોલતની ગરીબી નહીં પરંતુ વિચારોની ગરીબી જવાબદાર છે. વળી ધનદોલતની દ્રષ્ટિએ આપણે જ્યારે આપણી જાતને અન્યથી ઉતરતી અનુભવીએ છીએ એટલે કે સાપેક્ષ ગરીબીનો અનુભવ કરીએ છીએ ત્યારે તેને દૂર કરવાનો ભગીરથ પ્રયાસ અવશ્ય કરીએ છીએ. આપણું સમગ્ર જીવન ધનદોલત પ્રાપ્તિના ધ્યેય પાછળ હોમી દઈએ છીએ. તો પછી આ જ પ્રકારની કાર્યપદ્ધતિ વિચારોની ગરીબી દૂર કરવા માટે કેમ અપનાવતા નથી. એ તો એક આશ્ચર્યની જ વાત છે. લગભગ દરેક ક્ષણે આપણે કોઈ ને કોઈ સામાજિક કે વ્યાવસાયિક સંબંધો અન્વયે અનેક હોશિયાર કુશળ બુદ્ધિમાન જ્ઞાની માણસના સંપર્કમાં આવતા જ રહીએ છીએ, ત્યારે ક્યારેક આપણે આપણી પોતાની જાતને સાપેક્ષ રીતે નબળી અક્ષમ અનુભવીએ પણ છીએ. તે જ ક્ષણે ખરેખર આપણી વિચારોની ગરીબી (અજ્ઞાન અકુશળતા નબળાઈ) દૂર કરવાનો પ્રયત્ન થવો જોઈએ. આર્થિક ગરીબી દૂર કરવા આપણે જેટલા સક્રિય હોઈએ છીએ એટલા જ સક્રિય વિચારોની ગરીબી દૂર કરવા માટે પણ હોવા જોઈએ. પરંતુ કદાચ આપણે ક્યારેય અનુભવ્યું જ નથી કે વિચારોની ગરીબી પણ એક ભયંકર પ્રકારની ગરીબી છે કે જે તમામ પ્રકારની ગરીબી જેવી કે આધ્યાત્મિક ગરીબી, માનસિક ગરીબી, સામાજિક ગરીબી, આર્થિક ગરીબી વગેરેની જનની છે. જેને દૂર કરવાથી અનેક પ્રકારની બીજી ગરીબી આપોઆપ દૂર કરી શકાય છે.
હિંદુધર્મસંસ્કૃતિ વાસ્તવમાં વિચારોની સંસ્કૃતિ છે. આપણી ધર્મસંસ્કૃતિમાં એટલા ઉમદા વિચારો અને જ્ઞાન પડેલું છે કે તેના યથાર્થ ઉપયોગ અને યોગ્ય સમજણ દ્વારા જીવનની દરેક સમસ્યાનું સમાધાન મેળવી શકાય છે. પરંતુ આપણને તો આપણી ધર્મસંસ્કૃતિ પ્રત્યે પણ ગૌરવની ભાવના નથી. હિન્દુત્વના નામે હિંસક બનવા આપણે હંમેશાં તૈયાર થઈ જઈએ છીએ પરંતુ સાચા અર્થમાં હિંદુ ક્યારેય બની શકતા નથી. ધર્મના નામે સંપ્રદાયના નામે હિંસક બનવું એ વાસ્તવમાં વિચારોની ગરીબી છે. ચીન દેશમાં એક કહેવત છે કે “જે માણસ પહેલો હાથ ઉપાડે તે કબૂલ કરે છે કે વિચારો ખૂટી પડ્યા છે” કેમકે જ્યારે ઉમદા વિચારો મનુષ્યજીવનમાં ખૂટી પડે ત્યારે જ મનુષ્ય હિંસક બને. એટલા માટે જ કદાચ દરેક ધર્મનો પાયો અહિંસામાં રહેલો છે. જ્યાં જનૂન છે ત્યાં વિચાર નથી હોતો કેમકે જનૂન પશુવૃત્તિ છે અને પશુઓ વિચારોથી હંમેશા વંચિત હોય છે. ભારતીય સંસ્કૃતિ વિચારસંસ્કૃતિ હોવાથી ત્યાં વેદો-ઉપનિષદોના માધ્યમ દ્વારા વિચારોની અમીરી પ્રાપ્ત કરવાનું શીખવવામાં આવે છે. જીવનના અંતિમ ક્ષણ સુધી જો ઉમદા વિચારોનો વૈભવ ખૂટે નહીં તો સમજવું કે આપણે સાચા હિન્દુઓ છીએ અને એનો અર્થ એ બિલકુલ નથી કે હિન્દુત્વનું રક્ષણ ન કરવું કેમ કે હિન્દુત્વનું રક્ષણ એટલે ઉમદા વિચારવૈભવનું રક્ષણ એ તો દરેક હિન્દુસ્તાનીને પ્રથમ નૈતિક ફરજ છે, એ ટકી રહે એટલા માટે જ જીવનમાં ધર્મની આવશ્યકતા છે કેમ કે માત્ર યથાર્થ ધર્મ એટલે કે યોગ્ય આચરણ શું કરાય અને શું ન કરાય (do’s and don’ts) ની સમજણ દ્વારા જ વિચારોની ગરીબી દૂર કરી શકાય. વળી વિચારોથી ગરીબ માણસ ક્યારેય સાચો ધનવાન બની શકતો જ નથી. અયોગ્ય રસ્તે કદાચ ધન મળી જાય તો પણ એ ધન એને સુખ કદાપિ ન આપી શકે કેમ કે મૂળભૂત રીતે તે ગરીબ (વિચારોથી ગરીબ) જ છે.
મનુષ્ય સમાજની કરુણતા એ છે કે તે વિચારોની ગરીબીને ગરીબી સમજતો જ નથી. વિચારોની ગરીબી તેને આર્થિક ગરીબી જેટલી પીડાદાયક લાગતી જ નથી જેથી તેને દૂર કરવા તે સક્રિય થઇ શકતો નથી. ધનવૈભવ કરતા વિચારોનો વૈભવ અનેકગણો મહાન છે કેમકે તે આનંદવૈભવનો મુખ્ય સ્ત્રોત છે એ તો સમજવું જ પડે. જીવનને સમસ્યામુક્ત કરવું હોય, શાંત અને સુખી તેમજ સુરક્ષિત કરવું હોય, ઉત્સાહસભર અને આનંદિત કરવું હોય તો વિચારોનો વૈભવ વધારવો પડે. વિચારોની ગરીબી દૂર કરવી પડે. વિચારોની ગરીબી અન્ય તમામ ગરીબી કરતા સૌથી વધુ ઘાતક છે એ સ્વીકારવું પડે કેમકે જ્યાં સુધી કોઈ બાબત સમજાય નહીં, સ્વીકારાય નહીં ત્યાં સુધી તેના નિવારણ અંગે સક્રિય બની શકાય નહિ. તો આવો વિચારોની ગરીબી દૂર કરવા આજે જ અબ ઘડી સક્રિય અને પ્રયત્નશીલ બનીએ.
વિચારોની ગરીબી એટલે રાગ-દ્વેષયુક્ત વિચારો
વિચારોની ગરીબી એટલે અતિશય સ્વાર્થી વિચારો કે જે અન્યને ખતમ કરીને પણ પોતાને ધનવાન બનાવે, વિચારોની ગરીબી એટલે અહંકારયુક્ત વિચારો
વિચારોની ગરીબી એટલે લોભ-લાલચયુક્ત જીવન
વિચારોની ગરીબી એટલે અતિશય નેગેટિવ વિચારો
વિચારોની ગરીબી એટલે દુનિયામાં બધાને દુષ્ટ સમજવાની વૃત્તિ કે અન્યના દોષ જોવાની વૃત્તિ
વિચારોની ગરીબી એટલે માત્ર પોતાની જાતને સર્વગુણ સંપન્ન સમજવાની વૃત્તિ
વિચારોની ગરીબી એટલે હરઘડી કોઈની ઈર્ષા કરવાની ફિતરત
વિચારોની ગરીબી એટલે કોઈપણ ભોગે (અન્યના અહિત દ્વારા પણ) પોતાનું ભલું કરવાની તમન્ના
વિચારોની ગરીબી એટલે સતત ભવિષ્યની ચિંતા કરવાની કુટેવ
વિચારોની ગરીબી એટલે અવિરત શોકમગ્ન રહેવું કે ઉત્સાહવિહીન જીવન જીવવું
વિચારોની ગરીબી એટલે ક્યારેય કોઈને સહાય કરવાની ઈચ્છા પેદા ન થવી
વિચારોની ગરીબી એટલે કોઈના પર દયા ન આવવી કે કરુણાની લાગણી ન જન્મવી
વિચારોની ગરીબી એટલે પૈસા સિવાય જીવનમાં અન્ય કોઈ બાબતને મહત્વ ન આપવું
વિચારોની ગરીબી એટલે આપણાથી વિરોધી વિચારો કે વૃત્તિ ધરાવતા વ્યક્તિઓને ખોટા કે પોતાના દુશ્મન સમજવા અને તેનો તિરસ્કાર કરવો
માત્ર એક જ અમીરી એવી છે કે જે દરેકને એક સાથે ધનવાન બનાવે છે અને એ છે વિચારોની અમીરી. એ તો સર્વવિદિત છે કે આર્થિક અમીરી અન્યને ખતમ કરી પ્રાપ્ત થતી હોય છે કેમ કે ધનસંપત્તિ સંસારમાં મર્યાદિત છે એક વ્યક્તિ તે વધુ એકત્ર કરે એનો અર્થ એ છે કે કોઈકનો હક છીનવાઈ ગયો છે. સ્ટોક માર્કેટમાં આપણે જાણીએ છીએ કે એક વ્યક્તિ ત્યારે જ મેળવે છે જ્યારે અન્ય ગુમાવે છે. એ જ રીતે બિઝનેસમાં એક વ્યક્તિ ત્યારે જ અમર્યાદિત ધનસંપત્તિ એકત્ર કરી શકે છે જ્યારે તે અનૈતિક વ્યવહાર કરે અથવા અન્યનો હક મારે અને શોષણ કરે. માત્ર વિચારોની અમીરી એવી છે કે જે એકના અમીર થવાથી સાથે સંપર્કમાં આવતા અન્ય સૌને અમીર કરે છે અને તેમાં પોતાનું કશું ગુમાવવું પણ પડતું નથી. સામાન્ય રીતે તમારી સંપત્તિ તમે જ્યારે કોઈ અન્યને આપો ત્યારે આપણી સંપતિ થોડી ઓછી થવા સંભવ છે. પરંતુ વિચારોની સંપતિ આપવાથી પોતાનું પણ વધે છે અને અન્ય પણ અમીર બને છે. આમ વિચારોની સંપત્તિ આપતા અનેકગણી થાય છે. જે મેળવે છે તે પણ સતત અવિરત અમીર બનતો જાય છે વળી તે અન્યને આપતો રહે તો ધીરે-ધીરે સૌ કોઈ આપોઆપ અમીર બની જાય છે. તમને નથી લાગતું સાચી અમીરી એને જ કહેવાય જેમાં સર્વનું કલ્યાણ સમાયેલું હોય. સાચો ધર્મ પણ એને જ કહેવાય એટલા માટે તો વિચારોનો વૈભવ વિચારોની સંપત્તિ વિચારોની અમીરી વધારવાની સલાહ દરેક ધર્મમાં અપાય છે કેમકે એ એક માત્ર સાચી અમીરી છે. જેને મેળવ્યા પછી ગરીબ થવાની સંભાવના સંપૂર્ણપણે સમાપ્ત થઈ જાય છે. તો આવો વિચારોની ગરીબી દૂર કરી સાચા અર્થમાં સૌ કોઈ અમીર બનીએ.