સરસ મજાની ભરત ભરેલી થેલીમાં પાટી પેન નંખાવીને છ વર્ષની ઉમરના ચમનને ખભે બેસાડીને કાનજી પ્રથમવાર નિશાળે મુકવા ગયો.ખુદ ચમને પણ નવી નક્કોર ધોતી પહેરી હતીને ચોખ્ખા ચણાક અંગરખા સાથે માથા પર વળ ચડાવેલું ફાળિયું.દીકરા ચમન માટે તો ખાખી ચડ્ડી અને સફેદ આંગડીનો ગણવેશ છેક અખાત્રીજ ઉપર સિવડાવીને રાખેલ હતો. વર્ગખંડમાં ચમન અને કાનજી પ્રવેશ્યા એ વખતે જ બધાં બાળકો કુતૂહલવશ બન્નેને જોઈ જ રહ્યાં.
ચમનને ઉતારીને કાનજી સાહેબ આગળ બે હાથ જોડીને ઉભો રહ્યો.ચોપડામા કંઈક લખવામાં વ્યસ્ત ગુરુજીએ બે મિનિટ પછી ડોક ઊંચી કરીને ચમન સામે નજર કરી એ સાથે જ ચમને અદબ વાળી દીધી.
મગનલાલ સાહેબે મીઠો આવકાર આપીને ચમનને કહ્યું, “છોકરાનું નામ લખાવવા આવ્યા છો?” ચમને હકારમાં ડોક હલાવી એ સાથે જ સાહેબે લાકડાની પેટીમાંથી જનરલ રજીસ્ટરનો ચોપડો બહાર કાઢીને કાનજીને બધી વિગતો પુછી.
. છોકરાના બાપનું નામ કાનજી છગન સાંભળતાં જ સાહેબ આંખ ઉપર ચશ્માં સરખાં કરીને કાનજીને એકીટશે જોઈ રહ્યા.
આ શાળામાં એકથી ચાર ધોરણમાં સૌથી વધુ વર્ષ રહેનાર વિદ્યાર્થીનો રેકોર્ડ કાનજી છગનના નામે હતો. પંદર વર્ષ પહેલાંની આ ઘટના શિક્ષકો બદલાવા છતાંય દ્રષ્ટાંતરૂપે કાનજી છગનના નામે હજી અકબંધ જ હતી.
. આચાર્ય સાહેબ મગનલાલે ચમનને પાસે બોલાવીને થોડી પ્રશ્નોતરી કરી.
બેટા તારુ નામ શું?”ચમનભાઈ કાનજીભાઈ.”
“તારા પિતાજીનું નામ?” “કાનજીભાઈ છગનભાઈ'”
“તારે ભણી ગણીને શું બનવું છે?” “ડોકટર?”
ચમનના ફટાફટ જવાબો સાંભળીને સાહેબ આશ્ચર્યચકીત થઈ ચમન સામે જોઈ રહ્યા.
ત્યાં તો ચોથા ધોરણમાં ભણતો દલપત બોલી ઉઠ્યો,”સાયેબ! ચમનાની મા રમીકાકી ચાર ચોપડી ભણેલ છે.એ ઘરે ચમના સાથે અમનેય ઘણું શીખવાડે છે.
. સાહેબે કાનજી સામે નજર કરી એ સાથે જ પાંત્રીસની ઉંમરનો કાનજી પહેરણની બાંહ્ય મોઢામાં ઘાલીને ચાવવા લાગ્યો.
સાહેબે હસતાં હસતાં કહ્યું,”કાનજીભાઈ ભાગ્યશાળી છો તમે કે દીકરો અને દીકરાની મા બેય હોશિયાર મળ્યાં.” સાહેબના મોંઢેથી આટલું સાંભળ્યા પછી તો કાનજી શરમાઈને ગૂંચળું વળી ગયો.માથે બાંધેલ ફાળિયું બરાબર હોવા છતાંય ઉતારીને ફરીથી બાંધવા લાગ્યો.મગનલાલ સાહેબ પણ કાનજીના હાવભાવ જોઈને મંદમંદ હસવા લાગ્યા.
થોડીવાર પછી કંઈક યાદ આવતાં કાનજીએ પહેરણ નીચે પહેરેલ બંડીમાં હાથ નાખીને દશની નોટ અને કાગળનું પડીકું કાઢીને સાહેબના હાથમાં આપતાં કહ્યું,”લ્યો સાયેબ! આ દશ રૂપિયાના રામજી શેઠની દુકાનેથી ધોળા ટીકડા મંગાવીને છોકરાંને આપજો ને આ પડીકામાં ગોળ ધાણા છે.” આટલું કહીને
વળી પાછો કાનજી પહેરણની શાળ પકડીને આમળો ચડાવવા લાગ્યો.
સાહેબે ગમ્મત ખાતર જ પુછ્યું, “કાનજીભાઈ! આ ચમનની માનું નામ શું છે?”સાહેબનું આ વાક્ય સાંભળીને કાનજીના મોં પર તો રીતસરની લાલીમા છવાઈ ગઈ.વર્ગમાં બેઠેલ નાનાં ભૂલકાંઓની શરમ આવતી હોય તેમ કાનજીનું આખું શરીર શરમથી અંગ મરોડ કરવા લાગ્યું.એટલું વળી સારૂ હતું કે સાહેબ કડક સ્વાભાવના હતા નહીંતર બાળકો તો ક્યારનાંય હસી હસીને લોથપોથ થઈ ગયાં હોત.
થોડીવાર પછી “લ્યો સાયેબ હું જાઉૈ?” કહીને કાનજી વર્ગ બહાર નિકળ્યો .દરવાજે પહોંચીને વળી પાછો આવ્યો ને ચમન પાસે જઈને ચમનને ધીમેથી કાનમાં કહ્યું,”તારી માએ કહ્યું છે કે, કોઈ છોકરાં સાથે ઝઘડતો નઈ.”કહીને કાનજી સાહેબ સામે નજર કરતો કરતો બહાર નિકળી ગયો.
. આમ તો કાનજી પુરા એસી વીઘા જમીનનો માલિક.ના એને બીજો કોઈ ભાઈ કે બહેન. કાનજી દશ વર્ષનો હતો ત્યારે એનો બાપ તો સ્વર્ગે સિધાવી ગયેલ.ઢીલા મગજની માએ કાનજીને મોટો કર્યો. કદાચ માના ગુણ જ કાનજીમાં ઉતર્યા હશે તે એય બુધ્ધિનો લઠ્ઠ પાક્યો.
કાનજી ઉંમરલાયક તો થયો પણ બિચ્ચારી માનું થોડું ઢીલું મગજ અને કાનજીની બાળકબુદ્ધિ જોઈને કોણ કન્યા આપે?એમાંય પિતરાઈ ભાઈઓનો પરિવાર તો એ જ વિચારીને બેસી ગયેલ કે, ‘કાનજી વાંઢો મરે તો જમીનનો દલ્લો એમના હાથમાં આવે! ક્યાંય પણ સગપણની વાત આવે તો પિતરાઈઓ એમાં ફાચર મારી દે.સતર અઢારની ઉંમરે લગ્ન થતાં હતાં એ સમાજનો કાનજી એમ ને એમ છવ્વીસનો થઈ ગયો. એના નસીબમાં તો રમીલા જ લખાયેલી હતી.
રમીલા આમ તો સાવ ગરીબ પરિવારની દીકરી પરંતુ એનાં માબાપે એને ચાર ધોરણ સુધી ભણાવેલી ખરી.રમીલાનાં બાળપણમાં જ લગ્ન થઈ ગયેલાં પરંતુ આણા વખતે વેવાઈને વાંકું પડતાં લગ્ન તૂટી ગયાં.એક પણ દિવસ સાસરે ના ગયેલ રમીલાનું અમદાવાદ રહેતા એક બીજવર સાથે ઘઘરણું થયું પરંતુ હાય રે રમીલાનાં નસીબ! દોઢ વર્ષનો સંસાર ભોગવીને રમીલા વિધવા થઈ.એનો પતિ અકસ્માતમાં મૃત્યુ પામ્યો.
રમીલાની ત્રીજાં લગ્ન કરવાની ઈચ્છા જ મરી પરવારી પરંતુ ગામના મુખીની સમજાવટથી રમીલાનાં માબાપે કાનજી સાથે રમીલાનું ગોઠવી દીધું.એમાંય કાનજીના પિતરાઈઓએ તો કાનજીની મા પાસે આવીને ઘણા ધમપછાડા કર્યા.કોઈએ કહ્યું આ તો કાનજીનું કુવારે નાતરૂ કહેવાય તો કોઈએ વળી કહ્યું કે, આપણા કુળમાં હજી કોઈ કુવારા છોકરાએ પરણેલું બૈરૂ લાવ્યું નથી પરંતુ થોડી ઓછી બુદ્ધિવાળી કાનજીની માને તો દીકરાનું ઘર બંધાય એમાં જ રસ હતો. વળી એકદમ સજ્જન એવા ગામના પોલીસ પટેલે આ વાતમાં રસ લીધો હતો એટલે બધાંયના હાથ હેઠા પડ્યા.
’ત્રીજુ ઘર ત્રેખલ કહેવાય.’ – એ લોક બત્રીસીએ ચડેલ વાક્યનો તો રમીલાનેય ડર હતો કે ત્રીજું ઘર સફળ ના થાય પરંતુ માબાપની ઈચ્છાને કેમ કરીને ઠેલવી? માબાપ તો આજે છે ને કાલે નહીં હોય! ભાઈ ભાભી થોડાં આખો જનમ વેંઢારશે? જેવાં મારાં કરમ ને લેખ?એકદમ સમજુ રમીલાએ મનને મનાવી લીધું.એમાંય સાસરે જતી વખતે ઘરની બહાર નિકળતાં જ ગાય આડી ઉતરી…..
ભાવિના ગર્ભમાં શું છુપાયેલું છે એ પામર માનવી તો શું જાણી શકે? પરંતુ ગાય આડી ઉતરી એમાં રમીલાના હ્રદયમાં નવું જોમ ઉભરાઈ આવ્યું.
સાસરીમાં પગ મુકતાં જ રમીલાએ સાસુ અને પતિની હકિકત જાણી લીધી.સાસુને પગે લાગીને આવતાં વેંત ઘરની ચીજ વસ્તુઓને વ્યવસ્થિત કરવા લાગી ગઈ રમીલા.એણે બે દિવસમાં તો સાસુ અને પતિના સ્વાભાવને ઉંડાણપૂર્વક જાણી લીધો. ચારે બાજુથી ‘ઉંટની કોટે બકરુ! ‘ ‘કાગડાની કોટે રતન.’ ‘ગાંડો ધણી ને રાંડીરાંડ બૈરૂ. ‘ -જેવાં કાનના પરદા ફાડી નાખે એવાં વાક્યો રમીલાના કાને પડી રહ્યાં હતાં પરંતુ ત્રીજા દિવસે કાનજી સાથે ખેતરમાં પગ મૂક્યો ત્યારે માથું વાવે એવી એક જ શેઢે એંસી વીઘા જમીન જોઈને રમીલાની આંખમાંથી અશ્રુધારા વહી પડી.
રમીલાએ સાડલાના છેડા વડે ઝટપટ આંસુ લુંછી નાખ્યાં. નીચી નમીને એણે માભોમની મૂઠ્ઠી માટી હાથમાં લીધી.એ મુઠ્ઠી માટીને માથે અડાડીને રમીલા લાગણીભીના અવાજે બોલી,”હે ધરતીમાતા! તારા ખોળે માથું નાખીને વિનવું છું કે, કણનું મણ કરીને મારા પરિવારને આબાદ કરજે મા!”
. આ સાથે રમીલાના મગજમાં ઝબકારો થયો.’કાકા કુટુંબીઓના બેહુદા વર્તનનું કારણ એંસી વીઘા જમીન છે એ નક્કી.’એ મનમાં ને મનમાં પોકારી ઉઠી,’સાવ ભોળા આદમીનું ઘર બાંધીને રહીશ તો ખરી પરંતુ એના ઘરને આબાદ ના કરૂ તો મારુ નામ રમીલા નહીં! ગાંડા જેવી સાસુનેય સગી જનેતાની જેમ ના રાખુ તો તો મારા ગરીબ માવતરની આબરૂ લાજે.’
બસ! આજની ઘડી ને કાલનો દા’ડો! રમીલા પાછું વળીને જોયા વગર તનતોડ મહેનત કરવા લાગી.અને એમાં ગાંડા ઘેલા કાનજીનો સાથ તો હોય જ ને! આમેય કાનજી મહેમનતમાં તો ક્યાં પાછો પડે એમ હતો? રમીલાનું માર્ગદર્શન તેની સાથે જ હતું.
લોકનિંદાને રમીલાએ મનમાંથી જ કાઢી નાખી હતી.ગમે તેટલી મશ્કરીઓ પણ આ કાનેથી પેલા કાને કરી લેતી હતી રમીલા.
દોઢ બે વર્ષના લગ્ન જીવનમાં તો ભગવાને પરિવારને હરખઘેલો બનાવી દીધો.પ્રથમ ખોળે જ ચમનનો જન્મ થયો.સવા બે મહિને ચમનને ગામમાં આવેલ શીવજીના મંદિરે પગે લગાડવા લઈ જવામાં આવ્યો એ સમયના દ્રશ્યે તો આખા ગામને તાજ્જુબીમાં ગરકાવ કરી દીધું હતું.વાગતા ઢોલે મંદિરે જતી વખતે કાનજીએ ધોતી, પહેરણ સાથે માથે લાલ પાઘડી ધારણ કરી હતી એ જોઈને તો કોઈ માની શકે એમ નહોતું કે આ કાનજી છે.રમીલાના નેણનો કાનજી પર જાદુ છવાયો હતો કે શું? કે પછી મક્કમ ટટ્ટાર ચાલે ચાલી રહેલી રમીલાની નકલ કરી રહ્યો હતો કાનજી! જે હોય તે પરંતુ સૌને આ કજોડું આજે ઉત્તમ જોડું લાગી રહ્યું હતું.
ઘરકામ,ખેતીની સંભાળ સાથે ચમનના શિક્ષણ પ્રત્યે સતત ધ્યાન રાખતી ચાર ચોપડી ભણેલ રમીલા ખરેખર કાનજીના પરિવારની તારણહાર બની ગઈ.
. સમય વીતતો ગયો.ચમન નવમા ધોરણમાં હતો ત્યારે રમીલાની સાસુનું નિધન થયું.રમીલા કાનજી સાથે આખા કૌટુંબિક ભાઈઓને લઈને છેક હરિદ્વાર જઈને અસ્થિ વિસર્જન તેમજ મોક્ષવિધિ કરાવી આવી.એમાંય ઘેર આવ્યા પછી આખા ગામને જમાડ્યું ત્યારે તો રમીલાની વિવેક બુદ્ધિએ ગામના સીમાડા વટાવી દીધા.સમાજમાં કાનજીના પરિવારની વાહવાહ થઈ ગઈ.
સમયનું વહેણ અવિરત વહેતું રહ્યું.ગાંડા માનવીના પરિવારમાંથી ડોકટરી લાઈનમાં જનાર ચમન આ ગામનો પ્રથમ વિદ્યાર્થી બન્યો. જોતજોતામાં એમબીબીએસ પુરૂ કરીને જ્યારે ચમન ઘેર આવ્યો ત્યારે ગામલોકોએ ભવ્ય સ્વાગત સાથે એનું સન્માન કરવાનું ગોઠવ્યું.
સત્કાર સમારોહમાં ગામના સરપંચે જ્યારે કહ્યું કે,”ચમનને ડોક્ટર બનાવવાનું સંપૂર્ણ શ્રેય રમીલાવહુના ફાળે જાય છે એટલે આપણે એમનું પણ સન્માન કરશું.”ત્યારે રમીલા જાહેરમાં પ્રથમ વખત કાનજીનો હાથ પકડીને એને સ્ટેજ તરફ દોરી ગઈ.
. કાનજીના ચહેરાના હાવભાવ કંઈક જુદા જ લાગતા હતા આજે.કાયમની ટેવ મૂજબ એ એક હાથે પહેરણની બાંય તો જરૂર આમળી રહ્યો હતો પરંતુ એની આંખોમાંથી ચોધાર આંસુ ટપકી રહ્યાં હતાં અને એટલે જ તો ચમને દોડતા આવીને કાનજીને વચ્ચેથી જ ઉંચકી લીધો અને સ્ટેજ પર લઈ ગયો.
સ્ટેજ પર રમીલાના સન્માન માટે લાવેલ હાર અને શાલ ચમને રમીલાના બદલે કાનજીને આપવાની વાત સરપંચને કરી ત્યારે સરપંચ પણ લાગણીમય બની ગયા.
સરપંચ કાનજીના ગળામાં હાર પહેરાવીને શાલ ઓઢાડી રહ્યા હતા ત્યારે ચમન અને રમીલા કાનજીને પગે પડીને વંદન કરી રહ્યાં હતાં.એ દ્રશ્ય ગામલોકો ક્યારેય નહીં ભૂલી શકે. સાથેસાથે લોકોની તાળીયોનો ગડગડાટ કાનજીની નાદાનિયતને પલાયન કરી રહ્યો હતો.
તાળીઓનો ગડગડાટ પુરો થતાં જ કાનજી ધીમે ધીમે કંઈક બોલવાની કોશિષ કરી રહ્યો હતો પરંતુ શબ્દો નિકળતા નહોતા. ચમન આ બધું જોઈ રહ્યો હતો એટલે કાનજીનો ઉત્સાહ વધારતાં એ બોલ્યો, “બોલો બાપુ બોલો! બે શબ્દો બોલો બાપુ!
દીકરાના પ્રોત્સાહન અને પત્ની રમીલાના મૂક ઈશારાથી ખરેખર કાનજીના મોંઢેથી થોડા શબ્દો નિકળીને જ રહ્યા,”ચોથા દિવસે અમારા ઘેર આખા ગામનો જમણવાર રાખવો છે.આ ગાંડા કાનજીના ઘેર આવશોને સૌ?”
. પ્રથમ તાળીની શરૂઆત તો રમીલાએ કરી પરંતુ ગામલોકોની એ તાળીઓની ગૂંજ પંદર મિનિટ સુધી ગુંજતી રહી……
====================.