જ્યાં બહુ ભીડ ન હોય,શબ્દોનો દેકારો ન હોય ત્યાં રહેવું.
સંબંધોનું બંધન અને મહત્વાકાંક્ષાની જાળ બિછાવેલી ન હોય ત્યાં રહેવું.
આદિતીર્થવાસી ક્ષેત્ર-ખાંડા ધરમપુરથી વહેતી રામકથાનાં ત્રીજા દિવસે બાપુએ જણાવ્યું કે આપણા ઋષિમુનિઓએ કેટલું ચિંતન કર્યું છે,એ અહોભાવ માટે,ઋષિમુનિઓ આદિતીર્થવાસીઓ હતા.જે પાંદડા,ફળ અને મૂળ ખાઈને જીવતા.આ ઋષિમુનિઓએ ફળ ઓછા ખાધા છે,મૂળ વધારે ખાધા છે એટલે જ એની વાતોમાં મૂળ તત્વ દેખાય છે.યુગો પહેલા વનમાં રહેનારા,ન સ્વર્ગની કામના,ન મોક્ષ,ન રિદ્ધિ-સિદ્ધિની કામના,ન કોઈ સ્વાર્થ સિદ્ધ કરવાની કામના.તેઓ કહેતા:અસતો મા સદગમય, મૃત્યોર્મા અમૃતમ ગમય-હે ઈશ્વર અમને સત્ય તરફ લઈ જાઓ,મૃત્યુથી દૂર કરી અમૃત તરફ લઈ જાઓ- આવું કહેનારા ઋષિઓ.
બારમાસના સમયનું એક વર્ષ એને સંવત્સર કહીએ એમાં વિવિધ સંવત્સરોની વાત કરતા પ્રમોદ સંવત્સર વિશે બાપુએ કહ્યું કે સુભાષ ભટ્ટે કહેલું કે આપણે ઘર બાંધીને રહેતા હોઈએ ત્યારે આસપાસમાં ૩૦૦ થી વધારે જીવો હળી-મળીને રહેતા હોઈએ છીએ, પણ એ જ ઘરમાં આપણે બે-ચાર જણા કેમ આનંદ પ્રમોદથી રહી શકતા નથી!
બાપુએ એ પણ જણાવ્યું કે ક્યાં રહેવું જોઈએ?
૧-જ્યાં બહુ ભીડ ના હોય.૨-જ્યાં શબ્દોનો બહુ દેકારો ન હોય.૩-જ્યાં સંબંધોના બંધનની મજબૂરી ન હોય.૪-જ્યાં મહત્વકાંક્ષાની જાળ બિછાવેલી ન હોય એવી જગ્યાએ રહેવું જોઈએ.
તેરી મુશ્કિલ મેં કામ આઉં,ન આઉં;
એક આવાઝ લગા દેના,અચ્છા લગેગા!
આપણા પ્રકાંડ વેદોના પંડિત પ્રજ્ઞાવાન સાયનાચાર્ય મહારાજે ૨૧ પ્રકારના સમિધની વાત કરી છે.આમ તો યજ્ઞમાં સાત સમિધ હોમવાની વાત હોય છે.પણ એમણે ત્રિસપ્ત એટલે કે સાતના ત્રણ ગણા-૨૧ સમિધની વાત બતાવેલી છે.
રામચરિત માનસમાં સાત સમિધનું અધ્યાત્મિક રૂપ પણ બતાવેલું છે.બાપુએ કહ્યું કે એ વખતે જ્યારે અમે સાવ ગામડાના મકાનમાં રહેતા,ઘર લીંપણ, ધોળ કરીએ દીવાલોમાં અને એ દિવસોમાં દિવાલ ઉપર માટીનો ધોળ કરીને પછી ગળીથી કંઈક લખવાની વાત આવી.ત્યારે હું મારા દાદા પાસે રામચરિત માનસ ભણતો.મેં દાદાને પૂછ્યું કે તુલસીજીની કઈ ચોપાઈ લખું ત્યારે દાદાએ મને આ આધ્યાત્મિક સાત સમિધની વાત કરી:
કુપથ કુતરક કુચાલિ કલિ કપટ દંભ પાખંડ;
દહન રામ ગુનગ્રામ જિમિ ઇંધન અનલ પ્રચંડ.
એટલે કે આપણે ખોટે રસ્તે ન જઈએ,કુતર્ક ન કરીએ ખરાબ પ્રકારની ચાલ અને કળિયુગના માર્ગે ન ચાલીએ,કપટ ન કરીએ,જેવા નથી એવા દેખાવાનો દંભ ન કરીએ,પાખંડ ન કરીએ આ બધું જ રામના ગુણગ્રામરૂપી પ્રચંડ અગ્નિમાં હોમી દઈએ. સાયનાચાર્યએ પુરુષસૂક્તનું ભાષ્ય લખ્યું ત્યાં ૨૧ સમિધો લખતા જણાવ્યું:૧૨ મહિનાનું એક સંવત્સર એ સમિધ છે.આપણે ત્યાં બાર મહિનાનું સંવત્સર છે તેઓએ કહ્યું કે છ નહીં પણ પાંચ ઋતુ છે.એટલે કે વર્ષાઋતુ અને શરદઋતુ એક સમાન છે.એ જ રીતે ત્રણ લોક-સત્યલોક,પૃથ્વીલોક અને પાતાળલોક જેને હું સત્ય પ્રેમ અને કરુણાલોક કહું છું-એ પણ સમિધ છે.અને આદિત્ય એટલે કે સૂર્ય પણ સમિધ જ છે.એ શાશ્વત નથી ક્યારેક એ પણ સમાઈ જશે.આ બધું જ મળીને ૨૧ બને છે એ ૨૧ સમિધ છે.
એ પણ જણાવ્યું કે એક વર્ષ પછી ફરી આ આદિતીર્થ ક્ષેત્રમાં કથા માટે સોનગઢ બાજુ કથા લઈને આવીશ.
કથા પ્રસંગમાં શિવચરિત્ર અને શિવવિવાહનાં પ્રસંગનું ગાન કરવામાં આવ્યું
અમૃતકણિકાઓ:
૬૦ સંવત્સરો:
આપણે ત્યાં ૬૦ સંવત્સરો છે.તેમાં બ્રહ્માના-૨૦,વિષ્ણુનાં-૨૦ અને રૂદ્રનાં-૨૦ માનવામાં આવે છે.
આ ૬૦ સંવત્સરોનાં નામ આ મુજબ છે:
૧-પ્રભવ ૨-વિભવ ૩-શુક્લ ૪-પ્રમોદ ૫-પ્રજોત્પતિ ૬-અંગિરષ ૭-શ્રીમુખ ૮-ભાવ ૯-યુવા ૧૦-ઘાત ૧૧-ઇશ્વર ૧૨-બહુધાન્ય ૧૩-પ્રમાથી ૧૪-વિક્રમ ૧૫-વૃષ ૧૬-ચિત્રભાનુ ૧૭-સ્વભાનુ ૧૮-તારણા ૧૯-પાર્થિવ ૨૦-વ્યય ૨૧-સર્વજીત ૨૨-સર્વહારી ૨૩-વિરોધી ૨૪-વિકૃત ૨૫-ખાર ૨૬-નંદન ૨૭-વિજયા ૨૮-જય ૨૯-મન્મંથ ૩૦-દુર્મુખિ ૩૧-હેવિલંબી ૩૨-વિલંબી ૩૩-વિકારી ૩૪-શાર્વરી ૩૫-પ્લવ ૩૬-શુભાકૃત ૩૭-શોભાકૃત ૩૮-ક્રોધી ૩૯-વિશ્વાસુ ૪૦-પરાભવ ૪૧-પ્લવંભ ૪૨-કીલક ૪૩-સૌમ્ય ૪૪-સાધારણ ૪૫-વિરોધિકૃત ૪૬-પરિધાવી ૪૭-પમાદીચા ૪૮-આનંદ ૪૯-રાક્ષસ ૫૦-નળ ૫૧-પીંગલ ૫૨-કાળયુક્તિ ૫૩-સિધ્ધાર્થિ ૫૪-રૌદ્રી ૫૫-દુર્મતિ ૫૬-દુંદુભિ ૫૭-રૂદિઉદ્ગારિ ૫૮-રક્તાક્ષી ૫૯-ક્રોધના ૬૦-અક્ષય-ક્ષય.