એચ.એ.કોલેજ સરદાર પટેલ વિચાર મંચ દ્વારા આજે ૩૧ મી ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસનું સેલીબ્રેશન થયુ હતુ. લોખંડી પુરુષ, દેશના પ્રથમ ગૃહમંત્રી તથા નાયબ વડાપ્રધાન સરદાર પટેલની ૧૪૮ મી જન્મજ્યંતિ નિમિત્તે “સરદાર પટેલના સપના નું ભારત” વિશે સંગોષ્ઠી રાખવામાં આવી હતી. આ પ્રસંગે કોલેજના પ્રીન્સીપાલ સંજય વકીલે કહ્યું હતુ કે સરદાર પટેલે આઝાદી પહેલાનું ભારત તથા આઝાદી મળ્યા પછીના ભારતની યાત્રામાં સિંહફાળો આપ્યો હતો.દેશને સ્વતંત્રતા મળ્યા બાદ દેશના ૫૬૫ રજવાડાઓને એક કરી ભારતને અખંડિત રાષ્ટ્ર બનાવ્યુ. આ ભગીરથ કાર્ય પુરૂ પાડવામાં સરદાર પટેલે સખત પરિશ્રમ દ્વારા દેશ પ્રત્યેની વફાદારી , પ્રામાણિકતા તથા દેશપ્રેમના દર્શન થાય છે.દેશની સ્વતંત્રતા ચળવળ દરમ્યાન ગાંધીજીના આદર્શ સૈનીક તરીકે સબળ નેતૃત્વ પુરૂ પાડ્યુ હતુ. આઝાદી મળ્યા બાદ તેઓ અસ્પૃશ્યતા,જ્ઞાતીવાદ,તથા અસમાનતાનો વિરોધ કરી આદર્શ સમાજની રચના કરવા સન્નીષ્ટ પ્રયાસ કર્યો હતો. પોતાની ધીકતી વકીલાત છોડી દેશને આઝાદ કરવામાં પોતાનું સમગ્ર જીવન સમર્પીત કરનાર સરદાર પટેલ પ્રત્યે દેશના તમામ નાગરિકો ઋણી રહેશે. સરદાર પટેલના સપનાનું ભારત એટલે લોકશાહી , સમાજવાદ તથા બિનસાંપ્રદાયિકતાને વરેલુ ભારત. આ કાર્યક્રમમાં કોલેજના પ્રા.મહેશ સોનારાએ પ્રાસંગોચિત વિચારો રજૂ કર્યા હતા. રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે યોજાયેલ આ વક્તવ્યમાં કોલેજના વિદ્યાર્થીઓએ પણ સરદાર પટેલના વિચારોને જીવનમાં ઉતારીશુ તેવો સંકલ્પ કર્યો હતો.