પદ્માસનને મેડીટેશન આસન પણ કહેવામાં આવે છે. ઘણા લોકો તેને કમલાસન પણ કહે છે. પદમનો અર્થ કમળ થાય,એટલે તેને કમલાસન પણ કહેવામાં આવે છે. આમ જોઈએ તો પદ્માસન ખૂબ જ સહેલું છે. પણ પદ્માસનને એડવાન્સ આસનમાં મૂકવામાં આવે છે.
આ આસન બેસીને કરવાનું હોય છે. શ્વાસને છોડતા છોડતા જમણા પગને વાળીને ડાબા સાથળ પર, અને તે જ પ્રમાણે ડાબો પગ ઘૂંટણેથી વાળીને જમણાં સાથળ પર રાખવાનો હોય છે.
અને મેરુદંડ એટલે કે આપણી સ્પાઇનલ કોડ સીધી રાખીને બેસવાનું અને સાથે સાથે પગની એડીઓ નાભીને અડે તેમ રાખવાની હોય છે, અને હાથની આંગળીઓ એકબીજાને અડાડીને ડાબા હાથનું કાંડુ જમણી હથેળીમાં ગોઠવવાનું હોય છે. આ આસમને પદ્માસન કહેવામાં આવે છે.
આ આસનની પ્રેક્ટિસ શરૂ કર્યા પૂર્વે અભ્યાસોએ સવાર સાંજ 15 મિનિટ અનુલોમ વિલોમ કરવા જોઈએ, જેથી આસનનો લાભ મળી રહે. પદ્માસનમાં બેસીને અનુલોમ વિલોમ કરવાથી અધિક ફળ મળે છે.
પદ્માસનના રોજના અભ્યાસથી રક્તપિત, પ્રક્ષાગત, મલાવરોદના રોગો, દમ, અનિંદ્રા, હિસ્ટીરીયા, કેન્સર, નપુસંકતા, વ્યંધત્વ, વાયુ, અને કફ વગેરેનો નાશ થાય છે.
અનિંદ્રાના રોગીઓ માટે પદ્માસન ખૂબ જ લાભદાયી છે.
શારીરિક સ્થૂળતા ઘટાડવામાં પણ પદ્માસન ખૂબ જ ફાયદાકારક છે. મોટા મોટા યોગીઓ પણ પદ્માસનમાં બેસીને જપ, પ્રાણાયામ તેમજ ધ્યાન કરતાં હોય છે.
તદુપરાંત જૈનના તીર્થંકરની મૂર્તિઓ પણ પદ્માસનમાં જ હોય છે. પદ્માસન શા માટે દુર્લભ કહેવાય છે? તે તો જ્યારે પદ્માસનમાં બેસીને સાધના કરતા કરતા આગળ વધીએ, ત્યારે જ તેનું મહત્વ સમજાય છે. ખૂબ જ જ્ઞાની અને સિદ્ધ પુરુષોએ પદ્માસનના ગણના સર્વોત્તમ આસનોમાં કરી છે.