ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સના સ્ટડી સર્કલના નેજા હેઠળ ગુજરાતના લબ્ધપ્રતિષ્ઠત કવિ નર્મદની ૨૪મી ઓગષ્ટની જન્મજયંતી નિમિત્તે વિશ્વ ગુજરાતી ભાષા દિવસનું સેલીબ્રેશન કરવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે કોલેજના પ્રિન્સીપાલ સંજય વકીલે કહ્યું હતુ કે માતૃભાષાના ભોગે પ્રગતી થઇ શકતી નથી. કોઈપણ વ્યક્તીની માતૃભાષા પોતાના વિચારો વ્યક્ત કરવા માટે સૌથી શ્રેષ્ઠ માધ્યમ છે. ગુજરાતી ભાષામાં સૌ પ્રથમ આત્મકથા “મારી હકીકત” નર્મદે લખી હતી જે આજે ખુબજ મોટા પ્રમાણમાં વંચાય છે. અંગ્રેજોના કાર્યકાળ દરમ્યાન નર્મદે સમાજસુધારક, આધુનીક ગુજરાતી સાહિત્યના પ્રણેતા, નાટ્યકાર, નિબંધલેખક, ઉચ્ચ કક્ષાના વક્તા અને મહાકવી તરીકે ગુજરાતી ભાષાનો ઉપયોગ કરી પ્રચાર અને પ્રસાર કર્યો હતો. કવિ નર્મદ કહેતા હતા કે “મને ફાકડું અંગ્રેજી ન આવડવાનો અફસોસ નથી. પણ મને કડકડાટ ગુજરાતી આવડવાનો ગર્વ છે.” આ રીતે નર્મદે ગુજરાતી ભાષા પ્રત્યે પોતાના પ્રેમ તથા લાગણી વ્યક્ત કરી હતી. કોલેજના પ્રા.મહેશ સોનારાએ પ્રાસંગોચિત વ્યક્તવ્ય આપ્યુ હતુ તથા કાર્યક્રમનું સંચાલન કર્યું હતુ. આ સમારંભમાં કોલેજના વિદ્યાર્થીઓ તથા અધ્યાપકોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી.