આજની પોઝિટિવ સ્ટોરી.
ગુજરાતમાં આરોગ્ય ક્ષેત્રે માનવતાના ભાવ સાથે કામ કરતી સંસ્થાઓ ઘણી છે. ગુજરાતને સેવાભાવી ડૉક્ટરો અને આરોગ્ય ક્ષેત્રે સેવાભાવી સંસ્થાઓની કદી ખોટ નથી પડી. ગુજરાતમાં કેટલાંક મંદિરો અને ધાર્મિક સંસ્થાઓ પણ એવાં છે જે આરોગ્યનું માતબર, નોંધપાત્ર અને સુંદર કામ કરે છે.

અમદાવાદમાં આવી જ એક સંસ્થા એટલે કામેશ્વર મેડિકલ સેન્ટર. દરિદ્ર નારાયણ દર્દીઓની સેવામાં 1990થી કાર્યરત આ આરોગ્ય મંદિરનો સંકલ્પ છે “ૐ સર્વે ભવન્તુ સુખીનઃ સર્વે સંતુ નિરામયાઃ.” અમદાવાદના નારણપુરા-અંકુર વિસ્તારમાં આ સેન્ટર આવેલું છે. આ વિસ્તારમાં ખૂબ જાણીતું કામેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. આ મંદિરે જ કામેશ્વર મેડિકલ સેન્ટરનો પ્રારંભ કર્યો છે.
સંસ્થાના પ્રમુખ શ્રી ધીરેશભાઈ ટી. શાહ કહે છે કે 1991 ના વર્ષમાં રથયાત્રાના પવિત્ર દિવસે કામેશ્વર મંદિરના ઉપક્રમે સૌપ્રથમ પેથોલોજી લેબોરેટરી અને દાંતના સારવાર વિભાગ સાથે કામેશ્વર મેડિકલ સેન્ટરનો પ્રારંભ કરાયો હતો. એ પછી સમયાંતરે આ સેન્ટરમાં ફિઝિયોથેરાપી, સોનોગ્રાફી, એક્સ-રે, વગેરે વિભાગો ઉમેરાયા. આ સેન્ટરની વિશેષતા એ છે કે અહીં મેડિકલ સાયન્સને અનુરૂપ અદ્યતનમાં અદ્યતન મશીનો- ઉપકરણો અને યંત્રો વસાવવામાં આવ્યાં છે. તદ્ઉપરાંત જે તે વિષયના નિષ્ણાત ડૉક્ટરોની અહીં સેવા લેવામાં આવે છે. ટૂંકમાં મેડિકલ સારવારની ગુણવત્તા એકદમ ટોચની. સહેજ પણ બાંધછોડ નહીં.
ચાર્જ ?
અમદાવાદની વી.એસ. હોસ્પિટલ કરતાં પણ ઓછા દરે એટલે કે રાહત દરે અહીં તબીબી માર્ગદર્શન અને સારવાર આપવામાં આવે છે. કમાણીનું સહેજે પ્રયોજન નથી, સમાજને ઉપયોગી થવાની ભાવના છે. તેથી જ તો કામેશ્વર મેડિકલ સેન્ટર ગરીબ અને મધ્યમ વર્ગ માટે વરદાનરૂપ બની ગયું છે.
કોર્પોરેટ હોસ્પિટલો કે આધુનિક હોસ્પિટલોમાં જે ચાર્જ ચાલતો હોય છે તેની સરખામણીએ 25થી 35 ટકા ચાર્જમાં અહીં તમામ પ્રકારનાં પરિક્ષણો (ટેસ્ટ) થાય છે અને તબીબી સારવાર આપવામાં આવે છે. એ રીતે આ સંસ્થા ખૂબ જ મહત્ત્વની છે. આ સંસ્થાનો લાભ લઈને અત્યાર સુધી હજારો નહીં, બલકે લાખો દર્દીઓને રાહતનો, નવી આશાનો અને નવા જીવનનો અનુભવ થયો હશે. આ સેન્ટરમાં આવતા દર્દીને આધુનિક સારવાર મળે અદ્યતન મશીનો સાથે નિષ્ણાત ડૉક્ટરનો લાભ મળે એ તો છે જ, સાથે સાથે અહીં દરેકને પ્રેમ તથા હૂંફ પણ મળે છે, એ બહુ મોટી વાત છે. તેને કારણે જ અમદાવાદના જુદા જુદા વિસ્તારોમાંથી તથા આજુબાજુનાં ગામોમાંથી પણ મોટી સંખ્યામાં દર્દીઓ અહીં સારવાર લેવા માટે આવે છે.
અહીં અદ્યતન મશીનોથી સચોટ અને ઝડપી પરિક્ષણો થાય છે અને પછી જરૂરિયાત હોય તે પ્રમાણે દર્દીઓને સારવાર આપવામાં આવે છે. દર વર્ષે અહીં આશરે દોઢ લાખ દર્દીઓ લાભ લઈ રહ્યા છે. જુદા જુદા વિભાગોની વાત કરીએ તો પેથોલોજી, ઓપીડી, સોનોગ્રાફી, ફિઝિયોથેરાપી, દાંત વિભાગ, એક્સ-રે વિભાગ, કાર્ડિયોગ્રામ, ડી-ઇકો, હોમિયોપેથીક, સંપૂર્ણ બોડી ચેકઅપ, મેમોગ્રાફી, ઓડીયોમેટ્રી, ડાયાલિસિસ આમ જરૂરિયાતમંદ દર્દીઓને અહીં જુદા જુદા વિભાગોનો લાભ આપવામાં આવે છે.
અત્યારે ધીરેશભાઈ ડી. શાહ તેના પ્રમુખ છે, તો મહેન્દ્રભાઈ પટેલ ઉપપ્રમુખ તરીકે આ સેન્ટરમાં સમય આપી રહ્યા છે. નટવરભાઈ પટેલ સંસ્થાના માનદ્ મંત્રી છે, કમલેશબાબુ પટેલ સહમંત્રી તરીકે ફરજ બજાવે છે. આ સેન્ટરને ધબકતું અને ધમધમતું રાખવામાં ગોરધનભાઈ પટેલ, બિપીનભાઈ પટેલ, અજયભાઈ જે પટેલ, વિજયભાઈ પટેલ, ધીરેનભાઈ અમીન, જયંતીભાઈ પટેલ, રાજીવ ઓઝા.. આ બધા ટ્રસ્ટી તરીકે માનવતાના ધોરણે ગાંઠનું ગોપીચંદન ઘસીને ફરજ બજાવી રહ્યા છે તો ડૉ. ભાસ્કર આર. શાહ આ સંસ્થામાં સીઈઓ તરીકે ફરજનિષ્ઠ છે.
ડૉ. ભાસ્કરભાઈ શાહ માહિતી આપે છે કે અહીં લગભગ રોજના 500 જેટલાં દર્દી આવે છે. કામેશ્વર મહાદેવ ચેરિટેબલ ટ્રસ્ટમાં રકમ વધી ત્યારે ટ્રસ્ટીઓએ એવું નક્કી કર્યું કે પૈસાનો સદુપયોગ કરીએ. પૈસા બેન્કમાં એમનેએમ પડી રહે એના બદલે જન સેવામાં તેનો ઉપયોગ કરીએ. એ રીતે સૌ પ્રથમ લેબોરેટરીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
તમે આ મેડિકલ સેન્ટરની મુલાકાત લો તો સૌ પ્રથમ તો સ્વચ્છતા ઊડીને આંખે વળગે અને હૃદયને પણ સ્પર્શે. અંકુર કોમ્પ્લેક્સમાં કુલ ત્રણ મજલા (માળ) પર આ સેન્ટરના જુદા જુદા વિભાગો છે. દરેક વિભાગમાં સંપૂર્ણ સ્વચ્છતા છે. સ્ટાફ એકદમ મળતાવડો અને પ્રેમાળ છે. અહીં દર્દીને રાહત ભાવે તમામ પ્રકારની સારવાર કે લેબોરેટરી ટેસ્ટ કરી આપવામાં આવે છે પરંતુ એકપણ સ્ટાફના મોં પર ઉપકારનો ભાવ દેખાતો નથી. દર્દી જાણે કે ભગવાન હોય, દર્દી અહીં આવીને આપણને સેવા કરવાનો લાભ આપે છે એવો ભાવ મેડિકલ સેન્ટરમાં ફરજનિષ્ઠ ડૉક્ટરો નર્સો, પેરા-મેડિકલ સ્ટાફ અને અન્ય સ્ટાફના ચહેરા પર આપણને સ્પષ્ટ જોવા મળે છે.
આ મેડિકલ સેન્ટર દાતાઓના અનુદાન ઉપર ચાલે છે. તેની પ્રતિષ્ઠા, નિષ્ઠા અને કામની ગુણવત્તા અને જોઈને અહીં ક્યારેય પૈસાની તકલીફ પડી નથી. મોટી સંસ્થા ચલાવી હોય તો મોટી રકમ જોઈએ. દર વર્ષે 1.5 લાખ દર્દીઓને સારવાર આપવાની હોય તો સ્વાભાવિક છે કે મોટી રકમની જરૂર પડે આમ છતાં સમાજે આ સેન્ટરને તકલીફમાં આવા દીધું નથી.
એક વખત એવું બન્યું કે શિવકુમાર શાસ્ત્રી નામના એક સજ્જન પોતાના દીકરાની સોનોગ્રાફી કરાવવા માટે અહીં આવ્યા. મેડિકલ સેન્ટરથી તેઓ એટલા પ્રભાવિત થયા કે તેમણે 11 લાખ રૂપિયાનું અનુદાન આપ્યું. આવા તો ઘણા બીજા પ્રસંગો પણ બન્યા છે.
આ સેન્ટરમાં આશરે 36 વ્યક્તિનો સ્ટાફ છે. જુદા જુદા ડૉક્ટરોની વાત કરીએ તો નિયમિત રીતે 30 ડૉક્ટરો આ સેન્ટરને પોતાની નિષ્ણાત-સજ્જતાનો લાભ આપી રહ્યા છે. કેટલાક ડૉક્ટરો કાયમી છે તો કેટલાક ડૉક્ટરો આમંત્રિત હોય છે.
અહીં કિડની ડાયાલિસિસ સેન્ટર પણ ચાલે છે. અત્યંત રાહત દરે અહીં ડાયાલિસિસ કરી અપાય છે. કુલ છ બેડ છે એટલે દરરોજ 12 વ્યક્તિનું ડાયાલિસિસ થાય છે. બહાર જે દર હોય તેના કરતાં ઘણા ઓછા દરમાં આ સેવા પૂરી પાડવામાં આવે છે.
એક વખત વડોદરા નો એક છોકરો અંકુર કોમ્પલેક્સમાં ખરીદી કરવા માટે આવ્યો હતો. એને ગભરામણ જેવું લાગ્યું એટલે તે કામેશ્વર મેડિકલ સેન્ટરમાં આવ્યો. તાત્કાલિક તેને સારવારની જરૂર હતી કારણ કે તેને હૃદય રોગનો હુમલો- એટેક આવી ગયો હતો. એ વખતે હાજર ડૉ. ભાસ્કરભાઈ અને તેમની ટીમે તાત્કાલિક મસાજ કરીને તેની ઈમર્જન્સી સારવાર કરી. એ વખતે એના પલ્સ ઝીરો થઈ ગયા હતા. જો કે મસાજને કારણે એનામાં ચેતન આવ્યું. તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવીને તેને અધિકૃત હૉસ્પિટલમાં દાખલ કરી દેવામાં આવ્યો. પછીથી એ છોકરો બચી ગયો.
આવું તો અનેક વખત બન્યું છે. આ સેન્ટરે સેંકડો લોકોને નવું જીવન આપ્યું છે.
આ સેન્ટરની વિશેષતા એ છે કે અહીં જે ડૉક્ટરો છે અથવા સ્ટાફ છે તે દર્દીઓ સાથે એક સગા અને સ્વજન જેવો સંબંધ બાંધે છે. એને કારણે દર્દીને યોગ્ય માર્ગદર્શન પણ આપવામાં આવે છે. કોઈ દર્દીને વધારે એડવાન્સ સારવારની જરૂર હોય તો ક્યાં કેવી સારવાર લેવી જોઈએ તેનું માર્ગદર્શન પણ સેન્ટર તરફથી અપાય છે.
અહીં જે સેવા આપે છે તે નિષ્ણાતીની રીતે જોઈએ તો ટોચના છે. કોઈ કોર્પોરેટ હોસ્પિટલમાં જાય તો તેમને ઘણી મોટી રકમ મળે, પરંતુ પોતાના હૃદયમાં રહેલી સંવેદનાથી પ્રેરાઈને તેઓ અહીં આવે છે. શેરિંગ બેઝ ઉપર ટ્રસ્ટ તેમને રકમ આપતી હોય છે. ઘણી વખત એવું બને કે કોઈ અત્યંત ગરીબ દર્દી પાસેથી પૈસા ન લેવાના હોય તો ડૉક્ટરો પણ એ પૈસા જતા કરે. અરે ઘણીવાર તો એવું બને કે ડૉક્ટરો સામેથી સંસ્થાને ભલામણ કરે કે આ દર્દી પાસેથી પૈસા નથી લેવાના, કારણ કે એ એની પાસે એટલી ક્ષમતા નથી.
સો વાતની એક વાતઃ આ સેન્ટર માનવતાના, પ્રેમ અને સંવેદનાના ધોરણે ચાલે છે.
જાણીતા પત્રકાર-સંપાદક શ્રી ભિખેશ ભટ્ટ કહે છે કે કોઈ મંદિર દ્વારા આરોગ્યનું આવું મેડિકલ સેન્ટર ચાલતું હોય તે કદાચ આ પહેલી ઘટના છે. અનેક ગરીબ અને મધ્યમવર્ગના લોકો માટે આ સેન્ટર આશીર્વાદરૂપ છે. બીજું, સંસ્થાના પ્રમુખ શ્રી ધીરેશભાઈ શાહ પોતે માનવતાવાદી અને સેવાભાવી છે. તેઓ પણ અનેક સંસ્થાઓ ચલાવે છે. તેમના અનુભવ અને સંપર્કોનો પણ આ સેન્ટરનો સતત લાભ મળતો રહે છે.
અમે સંસ્થાના સીઈઓ ડૉ. ભાસ્કરભાઈ અને મેનેજર દ્રષ્ટિબહેન ત્રિપાઠીને પૂછીએ છીએ કે અહીં સૌથી વધારે દર્દીઓ કયા રોગના આવે છે ? તો જવાબ મળે ડાયાબિટીસના. ડાયાબિટીસ મોટી માત્રામાં વધી રહ્યો હોવાનું તેમનું કહેવું છે. ભાસ્કરભાઈ કહે છે કે માનસિક તણાવ, જંકફૂડ, બેઠાડું જીવન, કસરતનો અભાવ, ખાવા-પીવાની અનિયમિતતા, પોષક તત્વોના આહારનો અભાવ, આ બધાને કારણે બ્લડપ્રેશર અને ડાયાબિટીસ કેવી બીમારીઓ વધી રહી છે. થોડા વર્ષો પહેલાં 45-50 કે 55 વર્ષના લોકોને જે બીમારીઓ થતી હતી તે બીમારીઓ હવે માત્ર 18-20 વર્ષના યુવાનોને પણ થાય છે. તેમણે કહ્યું કે 18 વર્ષના યુવાનને હૃદયરોગની તકલીફ થઈ હતી અને મેં તેની સારવાર કરી હતી. તેમનું કહેવું છે કે લોકોએ જીવનશૈલી બદલવાની જરૂર છે. માનસિક તણાવ હૃદયને ખૂબ નબળું કરે છે તેથી તણાવ વગરનું જીવન જીવવું જોઈએ.
સંસ્થાના પ્રમુખ ધીરેશભાઈ કહે છે કે જેમ કામેશ્વર મહાદેવના મંદિરમાં શંકર ભગવાનની, દેવોના દેવ મહાદેવની પૂજા થાય છે એ જ રીતે આ મેડિકલ સેન્ટરમાં દર્દીરૂપી જે ભગવાન છે તેની પૂજા થાય છે. અહીં પૂજાના રૂપે સારવાર કરાય છે તેનો અમને આનંદ છે. કામેશ્વર મેડિકલ સેન્ટર સમાજને સ્વસ્થ રાખવામાં પોતાની રીતે ભૂમિકા ભજવી રહ્યું છે તેનો સંતોષ છે. તેઓ ઉમેરે છે કે આ સેન્ટરને ધબકતું રાખવામાં સમાજની પણ મોટી મદદ અને હૂંફ સંસ્થાને મળે છે. અમે સમાજના દાતાઓનો પણ આભાર માનીએ છીએ.
અમે જ્યારે આ મેડિકલ સેન્ટરની મુલાકાત લીધી ત્યારે ત્યાં હાજર ઘણા બધા દર્દીઓ સાથે વાત કરી હતી. દર્દીઓ કહેતા હતા કે અમને અહીં અત્યંત રાહત દરે ઉત્તમ સારવાર મળે છે. બોનસમાં ડૉક્ટરો અને સ્ટાફનો પ્રેમ મળે છે.
ખરેખર કામેશ્વર મેડિકલ સેન્ટર હજારો લોકો માટે આશીર્વાદરૂપ બન્યું છે.
મંદિરની ઘણી બધી વ્યાખ્યાઓ થઈ શકે. મંદિર શા માટે હોય છે ? એ વિશે પણ ઘણી બધી ચર્ચા આપણે કરી શકીએ, પરંતુ કામેશ્વર મેડિકલ સેન્ટરની મુલાકાત લીધા પછી ચોક્કસ એવું લાગે કે કામેશ્વર મહાદેવ મંદિરના સંચાલક મંડળ અને ટ્રસ્ટીઓ દ્વારા ખરેખર મંદિરની એક સાચી વ્યાખ્યાને ચરિતાર્થ કરવામાં આવી છે.
(સંસ્થાના પ્રમુખ ધીરેશભાઈ શાહનો સંપર્ક નંબર 98251 88888 છે.)
Kameshwar Medical Centre
1st Floor, Ankur Commercial Centre,
Shri Madhusudan Oza Marg,
Near Ankur Bus Stand, Rang Jyot Society,
Naranpura, Ahmedabad, Gujarat 380013
Phone: 079 2747 0087
(પોજિટિવ મીડિયા માટે આલેખનઃ રમેશ તન્ના 9824034475)